વડાપ્રધાન મોદીની વાકછટાઓને લઈને વિપક્ષો અનેક વાર તેમને અભિનેતા ગણાવીને ટીકા કરતા રહે છે. પરંતુ બે દિવસ પહેલા રાજસ્થાનમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ખુજ સીએમ ભજનલાલ શર્માએ વડાપ્રધાનને અભિનેતા ગણાવતા કોંગ્રેસ સહિતના વિપક્ષોને ટીકા કરવાની તક મળી ગઈ હતી.
વાત જાણે એમ હતી કે, સીએમ ભજનલાલ શર્મા 9 માર્ચે આઈફા એવોર્ડ સમારોહ માટે જયપુર પહોંચ્યા હતા. આ દરમિયાન મીડિયાકર્મીઓએ તેમને પૂછ્યું કે તેમનો પ્રિય અભિનેતા કોણ છે? મુખ્યમંત્રીએ આ પ્રશ્નનો જવાબ સ્મિત સાથે આપ્યો અને કહ્યું, “નરેન્દ્ર મોદીજી.”
તેમનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું. એ પછી વિપક્ષી નેતાઓએ તેમને અને પીએમ બંનેને ઘેર્યા છે. રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખ ગોવિંદ સિંહ ડોટાસરાએ X પર લખ્યું, “અમે આ વાત ઘણા સમયથી કહી રહ્યા છીએ કે મોદીજી નેતા નથી પણ અભિનેતા છે. જોકે મોડેથી પણ, ભાજપ સરકારના મુખ્યમંત્રીઓ પણ કહેવા લાગ્યા છે કે મોદીજી નેતા નથી પણ અભિનેતા છે. તેઓ કેમેરા કૌશલ્ય, ટેલિપ્રોમ્પ્ટર, કોસ્ચ્યુમ અને ભાષણોમાં નિષ્ણાત છે.”
આ પણ વાંચો: શું અનામત ગરીબી દૂર કરવાની કોઈ યોજના છે?
કોંગ્રેસના નેતા પવન ખેરાએ સીએમ ભજનલાલ શર્માને ટેગ કરીને કહ્યું, “તમે સાચા છો ભજનલાલજી, પીએમ મોદી એક સારા અભિનેતા છે. પણ શું તમને નથી લાગતું કે ક્યારેક તેઓ ઓવરએક્ટિંગ કરવા લાગે છે?”
આમ આદમી પાર્ટીએ પણ પોતાના X હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો અને કહ્યું, “ભાજપના મુખ્યમંત્રીઓ અને નેતાઓ પણ માને છે કે દેશમાં પીએમ નરેન્દ્ર મોદીથી મોટો અભિનેતા કોઈ થયો નથી અને ક્યારેય થશે પણ નહીં.”
આ સમગ્ર મામલે ભાજપની પ્રતિક્રિયા પણ આવી છે. પાર્ટી પ્રવક્તા લક્ષ્મીકાંત ભારદ્વાજે દાવો કર્યો હતો કે મુખ્યમંત્રીને પૂછવામાં આવેલો પ્રશ્ન તેમના ‘પ્રિય હીરો’ વિશે હતો. કોંગ્રેસ પર પ્રહાર કરતા ભારદ્વાજે કહ્યું કે કોંગ્રેસીઓ એક પરિવારના પગે ઘૂંટણિયે પડી રહ્યા છે, જૂઠાણા અને છેતરપિંડીની પરંપરા ચાલુ રાખીને વીડિયો એડિટિંગ કરીને નકલી સ્ક્રિપ્ટ લખવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો: આભડછેટથી કંટાળી કાલબેલિયા સમાજે પોતાના બાળકોની અલગ સ્કૂલ ખોલી