રક્તપિત્તિયાઓની સેવા કરતા પાદરીના હત્યારાને સજા માફ કરી છોડી મૂકાયો

Graham Staines murder case: રક્તપિત્તિયા આદિવાસીઓની સેવા કરનાર પાદરી અને તેમના બે પુત્રોને જીવતા સળગાવી દેનાર હત્યારાને સરકારે જેલમુક્ત કરી દીધો છે.
Graham Staines murder case

Graham Staines murder case: ઓરિસ્સા(Odisa)માં રક્તપિત્તથી પીડિત આદિવાસીઓની નિસ્વાર્થભાવે સેવા કરનાર અમેરિકી મિશનરી ગ્રેહામ સ્ટેન્સ(Graham Staines) અને તેમના બે બાળકોને જીવતા સળગાવી દેનાર હત્યારા મહેન્દ્ર હેમ્બ્રમ(Mahendra Hembram)ની આજીવન કેદની સજા માફ કરીને ઓડિશાની ભાજપની મોહન માંઝી સરકારે તેને જેલમુક્ત કર્યો છે.

ગ્રેહામ સ્ટેન્સ (Graham Staines) એક ઓસ્ટ્રેલિયન પાદરી હતા. 30 વર્ષથી તેઓ ઓડિશાના આદિવાસી વિસ્તારોમાં રક્તપિત્તના દર્દીઓની સેવા કરતા હતા. 22-23 જાન્યુઆરી 1999 ની રાત હતી. ગ્રેહામ તેમના બે પુત્રો, 10 વર્ષના ફિલિપ અને 6 વર્ષના ટિમોથી સાથે તેમની જીપમાં સૂઈ રહ્યા હતા. ત્યારે જ કેટલાક લોકોએ તેમની જીપને આગ લગાવી દીધી. ગ્રેહામ સ્ટેઇન્સ અને તેમના બે પુત્રો જીપમાં જ જીવતા સળગીને મરી ગયા. આ ઘટનાએ સમગ્ર ઓરિસ્સાને હચમચાવી નાખ્યું હતું.

આ પણ વાંચો:  પોલીસ, અધિકારીઓ અને સરકારે મળી એટ્રોસિટી એક્ટને પાંગળો બનાવ્યો

આ કેસમાં એક વર્ષમાં 51 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ૧૪ દોષિત ઠર્યા અને 3 લોકોને સજા થઈ હતી. સજા પામેલાઓમાંના એક મહેન્દ્ર હેમ્બ્રમ હતો. કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી. પરંતુ 25 વર્ષની જેલની સજા બાદ હવે તેને છોડી દેવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ ઓડિશા રાજ્ય સજા સમીક્ષા બોર્ડે(Odisha State Sentence Review Board) મહેન્દ્ર હેમ્બ્રમ(Mahendra Hembram)ની મુક્તિની ભલામણ કરી હતી. એ પછી કોર્ટે જેલમાં ‘સારા વર્તન’ના આધારે હેમ્બ્રમને મુક્ત કરવાનો આદેશ આપ્યો. મહેન્દ્રને ૨૫ વર્ષની ઉંમરે સજા ફટકારવામાં આવી હતી. હવે ૫૦ વર્ષીય હેમ્બ્રમ બુધવારે જેલમાંથી બહાર આવ્યો હતો. તેનું સ્વાગત કરવા માટે તેના સમર્થકો જેલ બહાર આવી પહોંચ્યા હતા, તેમણે મહેન્દ્રને ફૂલનો હાર પહેરાવ્યો અને ‘જય શ્રી રામ’ ના નારા લગાવ્યા.

દારા સિંહ નામનો આરોપી હજુ જેલમાં

હેમ્બ્રમ ઉપરાંત દારા સિંહ પણ ગ્રેહામ સ્ટેન્સને તેમના પુત્રો સાથે જીવતા સળગાવી દેનારાઓમાં મુખ્ય ગુનેગાર છે. કોર્ટે તેને ફાંસીની સજા ફટકારી હતી. જોકે, બાદમાં તેને આજીવન કેદમાં બદલી નાખવામાં આવી. આ કેસમાં દારા સિંહ એકમાત્ર ગુનેગાર છે, જે હજુ પણ જેલમાં છે. તેની મુક્તિ માટે સતત ઝુંબેશ પણ ચલાવવામાં આવી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી મોહન માંઝી જ્યારે ક્યોંઝરના ધારાસભ્ય હતા ત્યારે તેમણે પણ આ ઝુંબેશને ટેકો આપ્યો હતો.

૧૪ દોષિતમાંથી ૩ને સજા થઈ

ગ્રેહામ સ્ટેઇન્સ(Graham Staines) પર ધર્માંતરણનો આરોપ હતો. આ શંકાના કારણે તેમની હત્યા કરવામાં આવી હતી. ૧૯૯૯ થી ૨૦૦૦ દરમિયાન આ કેસમાં કુલ ૫૧ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આમાંથી ૩૭ લોકોને શરૂઆતની સુનાવણી દરમિયાન નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. દારા સિંહ અને મહેન્દ્ર હેમ્બ્રમ સહિત 14 લોકોને કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. બાદમાં, ઓરિસ્સા હાઈકોર્ટે વધુ 11 લોકોને નિર્દોષ જાહેર કર્યા. ત્રણ લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા; જેમાં હેમ્બ્રમ અને ચેંચુ હંસદાને આજીવન કેદ અને દારા સિંહને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. ઘટના સમયે સગીર ચેંચુ હંસદાને અપીલ બાદ 2008 માં છોડી મૂકવામાં આવ્યો હતો. હવે ભાજપની મોહન માંઝી સરકારે મહેન્દ્રની આજીવન કેદની સજા પણ માફ કરી જેલમુક્ત કરી દીધો છે.

આ પણ વાંચો: દલિત નેતા મંદિરમાં જતા ભાજપ નેતાએ ગંગાજળ છાંટી મંદિર ‘પવિત્ર’ કર્યું

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x