કોઈ ગામની દરેક શેરી કે નાકે જો પોલીસ જવાનો જોવા મળે તો આપણા મનમાં માત્ર બે જ આશંકા જાગે – કાં તો કોઈ મોટા નેતા આવવાના હોય અથવા તો કોઈ મોટો ગુનો બન્યો હોય. જો કે, આ બંને કારણો સિવાય એક ત્રીજું કારણ એવું પણ હોઈ શકે કે, કોઈ દલિત યુવકના લગ્ન હોય અને તેની જાન કે વરઘોડા પર સવર્ણ જાતિના ગુંડા તત્વો હુમલો કરે તેવી દહેશત હોવાથી યુવકના લગ્નમાં પોલીસ સુરક્ષા આપવામાં આવી હોય.
અખાત્રીજ દરમિયાન દેશભરમાં હાલ લગ્નની સિઝન જામી છે. એ સાથે જ દલિત વરરાજાની જાન કે વરઘોડા પર સવર્ણો દ્વારા હુમલો થવાની ઘટનાઓ પણ સમયાંતરે સામે આવતી રહે છે. દેશમાં મહિલાઓ પર સૌથી વધુ અત્યાચાર રાજસ્થાનમાં થાય છે અને તે દલિત અત્યાચારો માટે પણ એટલું જ કુખ્યાત છે. અહીં અનેકવાર દલિતો પર અત્યાચારની જઘન્ય ઘટનાઓ સામે આવતી રહે છે. આવી જ એક જાતિવાદને ઉજાગર કરતી ઘટનામાં એક દલિત પરિવારે તેમના પુત્રના લગ્નમાં સવર્ણ જાતિના ગુંડાઓના હુમલાની આશંકાને પગલે પોલીસ સુરક્ષા માંગવી પડી હતી. એ પછી ભારે પોલીસ સુરક્ષા વચ્ચે દલિત યુવકનો વરઘોડો નીકળ્યો હતો.
170 પોલીસ જવાનોની સુરક્ષા વચ્ચે વરઘોડો નીકળ્યો
રાજસ્થાનના ઘણાં વિસ્તારોમાં અસ્પૃશ્યતા અને દલિત વરરાજાને ઘોડી પરથી નીચે ઉતરવા માટે મજબૂર કરવાના અનેક કિસ્સાઓ સામે આવે છે. અહીંના રાજસમંદમાં પણ દલિત વરરાજાના વરઘોડા દરમિયાન સવર્ણ ગુંડાઓ હુમલો ન કરે તે માટે 170 પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા અને ડ્રોન કેમેરાની મદદથી વરઘોડા પર નજર રાખવામાં આવી હતી, એ પછી જ વરઘોડો શાંતિથી નીકળી શક્યો હતો. વરરાજાના ભાઈએ 2022 ની એક જૂની ઘટનાનો ઉલ્લેખ કરીને પોલીસ સુરક્ષા આપવા માટે સ્થાનિક એસપીને પત્ર લખ્યો હતો.
પોલીસ સુરક્ષા વચ્ચે દલિત વરરાજાનો વરઘોડો નીકળ્યો
રાજસમંદના ચારભુજા પોલીસ સ્ટેશનના ટાડાવાડા ગુજરાન ગામમાં દિનેશ મેઘવાલના લગ્નમાં 170 થી વધુ પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા અને સમગ્ર ગામ પર ડ્રોન કેમેરા દ્વારા નજર રાખવામાં આવી હતી. જેથી કોઈ સવર્ણ ગુંડાઓ દલિત વરરાજાના વરઘોડા પર હુમલો ન કરી શકે અને વરઘોડો શાંતિથી નીકળી શકે.
આ પણ વાંચો: ‘માન્યવર’ બનવું સહેલું છે, ‘બહેનજી’ બનવું અઘરું છે
વરરાજાના ભાઈ સુરેશે એસપીને પત્ર લખીને સુરક્ષાની માંગ કરી હતી અને અનુસૂચિત જાતિ આયોગને પણ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પત્ર લખ્યો હતો, જેના પગલે પોલીસે સુરક્ષા પુરી પાડી હતી અને પોલીસ પ્રોટેક્શન હેઠળ દલિત વરરાજાનો વરઘોડો નીકળ્યો હતો.
પોલીસ સુરક્ષા હેઠળ વરરાજા ઘોડીએ ચઢ્યાં
રાજસમંદના એસપી મનીષ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે વરરાજાના ભાઈઓએ તેમને વરઘોડા પર સવર્ણ જાતિના લોકો દ્વારા હુમલો થવાની ભીતિ વ્યક્ત કરતો એક પત્ર લખ્યો હતો. જેના પર એડિશનલ એસપીના નેતૃત્વમાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા અને કડક સુરક્ષા વચ્ચે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન, વરરાજાના પરિવારે ભીમ સેના અને અન્ય સંગઠનોના લોકોને પણ બોલાવ્યા હતા. વરઘોડામાં ભીમ સેનાના અધિકારીઓ પણ હાજર હતા.
વરઘોડાએ સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી
ઉલ્લેખનીય છે કે, ભારત દેશમાં આજે પણ જાતિવાદી તત્વો દલિત વરરાજા ઘોડી પર બેસીને નીકળે તે સહન કરી શકતા નથી. જેના કારણે તેમના વરઘોડા કે જાન પર સવર્ણ જાતિના લોકો દ્વારા હુમલાઓ કરવામાં આવે છે. ઘણી વખત દલિત વરરાજાને ઘોડી પરથી નીચે ઉતારવાનો વિવાદ એટલો ઉગ્ર બની જાય છે કે સમગ્ર સમાજમાં તણાવની સ્થિતિ સર્જાય છે.
આ કારણે, કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પોલીસે દરમિયાનગીરી કરીને વરઘોડો અને ઘોડી પર બેસવા જેવા સામાજિક કાર્યક્રમોની વિધિઓ પૂર્ણ કરવી પડે છે. રાજસમંદમાં પણ પોલીસ સુરક્ષા હેઠળ વરરાજાનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જે સ્થાનિક સ્તરે ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.
આ પણ વાંચો: મેઘાણીનગરમાં AMC સામે પડી દલિતોએ ડો.આંબેડકરનું સ્ટેચ્યૂ મૂક્યું