ભારતમાં ઓબીસી સમાજના અધિકારો પર સૌથી વધુ તરાપ પડી રહી છે અને છતાં આ સમાજ આજે પણ ઘોર નિંદ્રામાં છે. સરકારી ભરતીઓમાં મનુવાદીઓ દ્વારા સૌથી ઓબીસી સમાજના હકોનો ભોગ લેવાય છે અને છતાં ઓબીસી સમાજ તેમના હકો માટે લડવાને બદલે ‘અમે દલિતો કરતા ઉંચા..’ ના આભાસી જગતમાં રાજી રહીને મનુવાદીઓની જાળમાં ફસાઈને હિંદુ બનીને ખુશ છે. આવી સ્થિતિમાં મનુવાદીઓને તેમના હકો છીનવી લેવા મોકળું મેદાન મળી ગયું છે. ઓબીસી સમાજ સાથે કેવી છેતરપિંડીઓ થઈ રહી છે તેનું આ ઘટના તો એક ઉદાહરણ માત્ર છે. સાથે જ આ ઘટના પરથી દેશમાં શા માટે જાતિ આધારિત વસ્તી ગણતરી જરૂરી છે તે પણ સમજાય છે.
નકલી ઓબીસી સર્ટિફિકેટ પર 40 વર્ષ નોકરી કરી
મામલો મધ્યપ્રદેશનો છે પણ તે આખા દેશના ઓબીસી સમાજને લાગુ પડી શકે તેમ છે. અહીં એક બ્રાહ્મણ શખ્સે નકલી ઓબીસી સર્ટિફિકેટ કઢાવીને 40 વર્ષ સુધી પોલીસની નોકરી કરી હતી. મામલો ઇન્દોરના સત્યનારાયણ વૈષ્ણવનો છે.
આ પણ વાંચો: નકલી ST સર્ટિફિકેટ કઢાવી બ્રાહ્મણ યુવક Deputy Collector બની ગયો
સત્યનારાયણનો જન્મ ૭ જૂન ૧૯૬૪ના રોજ થયો હતો. ૧૯ વર્ષની ઉંમરે, ૪ ઓગસ્ટ ૧૯૮૩ના રોજ તે પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે જોડાયો હતો. એ દરમિયાન સત્યનારાયણે પોતે બ્રાહ્મણ હોવા છતાં ઓબીસી કોરી જાતિનું નકલી જાતિ પ્રમાણપત્ર કઢાવીને રજૂ કર્યું હતું. આ નકલી સર્ટિફિકેટ પર તેણે 40 કરતા વધુ વર્ષ સુધી નોકરી કરી હતી. પરંતુ વર્ષ 2006માં એસપી ઓફિસને તેના નકલી સર્ટિફિકેટ અંગેની ફરિયાદ મળી હતી.
નામ સત્યનારાયણ પણ કામ અસત્યનું કર્યું
ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો હતો કે સત્યનારાયણના પિતા રામચરણ વૈષ્ણવ, તેમના મોટા ભાઈ શ્યામલાલ વૈષ્ણવ અને નાના ભાઈ ઈશ્વર વૈષ્ણવ બધા વૈષ્ણવ બ્રાહ્મણ છે. જ્યારે એસપી ઓફિસે સમગ્ર મામલાની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે સત્યનારાયણ કોરી નહીં પણ બ્રાહ્મણ હતો. પોલીસે 2013 માં કેસ નોંધ્યો અને કોર્ટમાં ચલણ રજૂ કર્યું. સત્યનારાયણને 2026 માં નિવૃત્તિ લેતા પહેલા 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
નકલી જાતિ પ્રમાણપત્રના 7 હજારથી વધુ કેસ 15 વર્ષથી પેન્ડિંગ
મીડિયાએ જ્યારે આ બાબતની વધુ તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે રાજ્ય સ્તરની તપાસ સમિતિ પાસે 15 વર્ષથી નકલી જાતિ પ્રમાણપત્રોના 7 હજારથી વધુ કેસ પેન્ડિંગ છે. જ્યારે કોર્ટમાં આવા 17 હજારથી વધુ કેસ સુનાવણી માટે પેન્ડિંગ છે. દેશમાં શા માટે જાતિ આધારિત વસ્તી ગણતરી જરૂરી છે તેની પણ આ કૌભાંડ પરથી સમજણ પડે છે.
નકલી જાતિ પ્રમાણપત્ર પર નોકરી મેળવવાના 350 કેસ
મધ્યપ્રદેશમાં નકલી પ્રમાણપત્રો સાથે સરકારી નોકરી મેળવવાના 350 થી વધુ કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. રાજેન્દ્ર સિંહના પ્રશ્નના જવાબમાં મંત્રી વિજય શાહે આ વર્ષે જાન્યુઆરીમાં વિધાનસભામાં આ માહિતી આપી હતી.
સરકારે પોતાના જવાબમાં જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં નકલી જાતિ પ્રમાણપત્રો અને નકલી વિકલાંગ સર્ટિફિકેટ કઢાવી સરકારી નોકરી મેળવવાના 350 થી વધુ કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, જેમાંથી 232 કેસોની તપાસ ચાલી રહી છે. જ્યારે 24 અધિકારીઓ અને કર્મચારીઓ દોષી સાબિત થયા હતા.
તપાસ સમિતિની આળસઃ 15 વર્ષથી કેસો અટવાયા
સરકારી કર્મચારીઓ અને રાજકીય વ્યક્તિઓના જાતિ પ્રમાણપત્રોની તપાસ માટે સરકારે રાજ્ય સ્તરીય ચકાસણી સમિતિની રચના કરી છે. અનુસૂચિત જાતિ વિભાગના ઉચ્ચ અધિકારીને સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવે છે. હાલમાં મુખ્ય સચિવ ઇ રમેશ કુમાર આ સમિતિના અધ્યક્ષ છે.
સામાન્ય વહીવટ વિભાગ (GAD) ને સ્પષ્ટ સૂચનાઓ છે કે જો જાતિ પ્રમાણપત્રમાં કોઈ શંકા હશે તો આ સમિતિ ત્રણ મહિનાની અંદર તપાસ કરશે અને કાર્યવાહી કરશે. પરંતુ તેનાથી ઉલટું રાજ્યમાં 14-15 વર્ષથી તપાસ પેન્ડિંગ છે. સરકારી નોકરીઓમાં શંકાસ્પદ જાતિ પ્રમાણપત્રોના 17 હજારથી વધુ કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. આવી સ્થિતિમાં ન્યાય મળતા સુધીમાં કોઈ વ્યક્તિ નોકરી કરીને નિવૃત્ત પણ થઈ જાય છે. આટલા મોટા કૌભાંડ વિશે ઓબીસી સમાજને જાણ છે ખરાં? આવું ગુજરાતમાં પણ અનેક મામલામાં થયું છે, પણ તેની વાત ફરી ક્યારેક.
આ પણ વાંચો: બોલીવૂડની ફિલ્મોમાં હીરો દલિત કે OBC કેમ નથી હોતો?