મેંને ગરીબી બહોત નજદીક સે દેખી હૈ..જેવી ડાયલોગબાજી કરીને મતો મેળવનાર પીએમ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારેપ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના (PMUY) હેઠળ આપવામાં આવતા રાહત દરના એલપીજી (LPG) સિલિન્ડરોની સંખ્યામાં મોટો કાપ મૂક્યો છે. સરકારના નવા નિર્ણય અનુસાર, હવે ગરીબ પરિવારોને વર્ષ દરમિયાન મળતા સબસિડીયુક્ત રસોઈ ગેસ સિલિન્ડરોની સંખ્યા વાર્ષિક 9 થી ઘટાડીને માત્ર 4 કરી દેવામાં આવી છે. 14.2 કિલોગ્રામ વાળા એલપીજી સિલિન્ડરની કિંમતમાં 29 રૂપિયાનો વધારો કરાયા બાદ આ સત્તાવાર જાહેરાત સામે આવી છે.
ગ્રામીણ વિસ્તારની મહિલાઓને ચૂલાના ધુમાડા અને પ્રદૂષણથી મુક્ત કરવા માટે શરૂ કરાયેલી આ યોજનાના સબસિડી દાયરામાં ઘટાડો થવાને કારણે ગરીબ પરિવારો પર આર્થિક બોજ વધશે.

આ પણ વાંચો: દલિત બાળકી પર રેપનો પ્રયાસ કરનાર પૂજારીને બ્રાહ્મણોએ ટેકો આપ્યો!
પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન મુજબ, દેશના આશરે 10.5 કરોડ (105 મિલિયન) ઉજ્જ્વલા લાભાર્થીઓને હવે વર્ષ દરમિયાન માત્ર પ્રથમ 4 રિફિલ (સિલિન્ડર) પર જ 300 રૂપિયા પ્રતિ સિલિન્ડર લેખે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) સબસિડી મળવાપાત્ર રહેશે. પેટ્રોલિયમ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી પ્રવીણ એમ. ખનૂજાએ આ અંગે સ્પષ્ટતા કરી છે કે દેશના તમામ 33.37 કરોડ રસોઈ ગેસ ગ્રાહકોને હજુ પણ બજાર કિંમતની સરખામણીએ અંદાજે 700 રૂપિયા પ્રતિ સિલિન્ડર સસ્તો એલપીજી રિફિલ મળી રહ્યો છે.
સરકાર દ્વારા આ આકરો નિર્ણય લેવા પાછળ સરકારી તેલ કંપનીઓની નાણાકીય ખોટ અને વધતું સબસિડી બિલ મુખ્ય કારણો છે.
મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા મુજબ, સરકારી તેલ કંપનીઓ હાલમાં પણ પ્રત્યેક 14.2 કિલોગ્રામના એલપીજી રિફિલ પર 700 રૂપિયા, પેટ્રોલ પર 6 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 30 રૂપિયા પ્રતિ લીટરનું નુકસાન (અંડર-રિકવરી) ભોગવી રહી છે. આ ઉપરાંત, પશ્ચિમ એશિયા (West Asia) માં ચાલી રહેલા યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય ઉર્જા બજારમાં ભારે અસ્થિરતા સર્જાઈ છે.

આ પણ વાંચો: દલિત સગીરાને ત્રણ યુવકો ઘરેથી ઉઠાવી ગયા, દુષ્કર્મ આચર્યું
પરિણામે, વર્ષ 2025-26 માં ઘરેલું એલપીજી પરની કુલ નાણાકીય ખોટ વધીને 60,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે, જે તેના અગાઉના વર્ષે 41,337કરોડ રૂપિયા હતી. આ નુકસાનની ભરપાઈ કરવા માટે કેન્દ્રીય કેબિનેટે તેલ કંપનીઓને 30,000 કરોડ રૂપિયાના વળતરની મંજૂરી આપી હતી, જેના કારણે વધતા બજેટના બોજને હળવો કરવા સરકારે સબસિડી મર્યાદિત કરી છે.
આ કાપ પાછળ સરકારે ઉજ્જ્વલા ગ્રાહકોની સરેરાશ વપરાશના આંકડાનો તર્ક રજૂ કર્યો છે. કેબિનેટના સત્તાવાર ડેટા અનુસાર, ઉજ્જ્વલા પરિવારોની વાર્ષિક સરેરાશ વપરાશ ૪ સિલિન્ડરની મર્યાદાની આસપાસ જ રહે છે. આંકડાકીય વિગતો મુજબ, વર્ષ 2019-20 માં ઉજ્જ્વલા લાભાર્થીઓએ વાર્ષિક સરેરાશ અંદાજે 3 સિલિન્ડર લીધા હતા.
ત્યારબાદ વર્ષ 2022-23 માં લાભાર્થીઓ દ્વારા સરેરાશ 3.68 સિલિન્ડર અને વર્ષ 2024-25 માં સરેરાશ 4.47 સિલિન્ડરનો વપરાશ કરવામાં આવ્યો હતો. આ વાસ્તવિક વપરાશના આંકડાને આધાર બનાવીને જ સરકારે ઉજ્જ્વલા યોજના હેઠળ વાર્ષિક સબસીડીયુક્ત સિલિન્ડરોની સંખ્યા 4 નક્કી કરી છે.
આ પણ વાંચો: યુપીમાં ડૉ. આંબેડકરના અસ્થિ કળશ સ્મારક મુદ્દે મોટો જંગ!











