ડો.આંબેડકરના નામે બનેલી લાઈબ્રેરીમાંથી દલિત સમાજના બાળકોને જ બહાર કાઢી મૂકવામાં આવે તેવું તમે ક્યાંય સાંભળ્યું છે? જો ના, તો હરિયાણાનો આ કિસ્સો વાંચો. અહીંના ભિવાની જિલ્લાના તોશામ તાલુકાના દૂલ્હેડી ગામમાં જાતિવાદી તત્વોના આતંકનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગામમાં બાળકોના શૈક્ષણિક વિકાસ માટે બનાવવામાં આવેલી ડૉ. ભીમરાવ આંબેડકર લાઈબ્રેરીમાં ઘૂસીને સ્થાનિક સવર્ણ ગુંડાઓએ તેમાં અભ્યાસ કરી રહેલા દલિત વિદ્યાર્થીઓને લાકડીઓના જોરે ધમકાવીને ત્યાંથી બહાર હાંકી મૂક્યા હતા. આ ઘટનાને પગલે દલિત સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો છે.
ડો.આંબેડકર લાઈબ્રેરીમાં દલિત બાળકોને નો એન્ટ્રી
પીડિત વિદ્યાર્થીઓએ ઘટનાની વિગત આપતા જણાવ્યું કે, ગામમાં આવેલી ડૉ. ભીમરાવ આંબેડકર લાઈબ્રેરી આમ તો તમામ જ્ઞાતિના બાળકો માટે ખુલ્લી છે અને ત્યાં કોઈ પણ આવીને અભ્યાસ કરી શકે છે. પરંતુ ગામના કેટલાક જાતિવાદી તત્વોને દલિત અને પછાત વર્ગના બાળકો શિક્ષણ મેળવે તે મંજૂર નથી. આ જ માનસિકતા સાથે આ જાતિવાદી ગુંડાઓ લાકડીઓ લઈને લાઈબ્રેરીમાં ધસી આવ્યા હતા અને શાંતિપૂર્વક વાંચી રહેલા દલિત બાળકો પર રોફ જમાવી, માર મારવાની ધમકી આપીને તેમને રૂમની બહાર કાઢી મૂક્યા હતા. આ ઘટના પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય દલિત બાળકો ભણી-ગણીને આગળ ન વધે તેવો હોવાનો આક્ષેપ પીડિતોએ લગાવ્યો છે.

આ પણ વાંચો: દલિત સગીરાને ત્રણ યુવકો ઘરેથી ઉઠાવી ગયા, દુષ્કર્મ આચર્યું
ભીમ આર્મીના કાર્યકરો દલિત બાળકોની મદદે આવ્યા
આ શરમજનક મામલાની જાણકારી સ્થાનિક સ્તરે ‘ભીમ આર્મી’ ના સંગઠનને આપવામાં આવી હતી. દલિત બાળકો સાથે થયેલા આ અન્યાય બાદ ભીમ આર્મીના હોદ્દેદારો અને કાર્યકરો તુરંત દૂલ્હેડી ગામ ખાતે પહોંચ્યા હતા. તેમણે પીડિત બાળકોને હિંમત આપી કાનૂની અને સામાજિક મદદ પૂરી પાડી હતી. ભીમ આર્મીની દરમિયાનગીરી અને સંરક્ષણ હેઠળ આ બાળકોને ફરીથી લાઈબ્રેરીમાં અભ્યાસ કરવા માટે મોકલવામાં આવ્યા છે. જોકે, આ સુરક્ષા વચ્ચે પણ બાળકોમાં હજુ પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
“દલિતો શું કરશે, એટ્રોસિટીનો કેસ જ કરશે ને?”
વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, ગામના ગુંડાઓએ તેમને ખુલ્લેઆમ ધમકી આપી છે કે જો તેઓ ફરીથી અહીં દેખાશે તો તેમને લાકડીઓથી મારવામાં આવશે. આ લુખ્ખા તત્વોને કાયદાનો પણ ડર ન હોય તેમ તેમણે જણાવ્યું હતું કે, “દલિતો બહુ બહુ તો શું કરશે, એટ્રોસિટીનો કેસ જ કરશે ને?” જાતિવાદી ગુંડાઓની આ દાદાગીરી સાબિત કરે છે કે તેમને એટ્રોસિટી જેવા ગંભીર કાયદાની પણ કોઈ બીક નથી અને દલિત સમાજ પોતાના હક માટે અવાજ પણ ન ઉઠાવે તેવી સ્થિતિ પેદા કરવા માંગે છે.
આ પણ વાંચો: દલિત બાળકી પર રેપનો પ્રયાસ કરનાર પૂજારીને બ્રાહ્મણોએ ટેકો આપ્યો!

પોલીસે કોઈ જ કાર્યવાહી ન કરી
આ સમગ્ર મામલામાં સૌથી આશ્ચર્યજનક અને ચિંતાજનક બાબત એ છે કે અત્યાર સુધી સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા પીડિતોની કોઈ સત્તાવાર સુનાવણી કરવામાં આવી નથી. પોલીસની આ નિષ્ક્રિયતાને કારણે દલિત સમાજમાં એવો સંદેશ જઈ રહ્યો છે કે તેમની સુરક્ષા વહીવટીતંત્રના ભરોસે નહીં પરંતુ તેમના પોતાના હાથમાં જ છે. હવે જોવાનું એ રહેશે કે ભીમ આર્મીની મદદથી લાઈબ્રેરી પરત ફરેલા આ દલિત બાળકો આગામી સમયમાં કોઈ પણ પ્રકારના ભય વિના નિયમિતપણે પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકશે કે કેમ.
આ પણ વાંચો: ગર્ભવતી દલિત મહિલાની 19 લોકોના ટોળાએ માર મારી હત્યા કરી











