બિહારના મુઝફ્ફરપુરમાં માણસાઈને શરમજનક સ્થિતિમાં મૂકતો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 11 વર્ષની દલિત બાળકી પર નરાધમોએ પહેલા બળાત્કાર ગુજાર્યો અને બાદમાં ધારદાર હથિયાર વડે તેનું ગળા પર ઘા કરી દીધાં હતા. જેમાં બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા બાળકીને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડાઈ હતી. પરંતુ હોસ્પિટલ પહોંચ્યાં બાદ બેડ ખાલી ન હોવાથી તેને કલાકો સુધી એમ્બ્યુલન્સમાં રાખવામાં આવી હતી. જ્યાં યોગ્ય સારવાર ન મળવાથી તેનું મોત થઈ ગયું હતું.
શું છે આખો મામલો?
મામલો મુઝફ્ફરપુરના કુઢણી પોલીસ સ્ટેશનનો છે. ૨૬ મેના રોજ ગામનો એક શખ્સ ચોકલેટની લાલચ આપીને બાળકીને ખેતરમાં લઈ ગયો હતો. જ્યાં તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો. આ પછી બાળકીને ગંભીર હાલતમાં સારવાર માટે શ્રી કૃષ્ણ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (SKMCH) લઈ જવામાં આવી. તેની છાતી, હાથ, પેટ, જાંઘ સહિત 20 થી વધુ જગ્યાએ છરીના ઘા હતા. ઉપરાંત, હાથ પર ઘણી જગ્યાએ દાંતના કરડવાના નિશાન હતા.
આ હોસ્પિટલમાં જ્યારે બાળકીની સ્થિતિમાં કોઈ સુધારો ન થયો ત્યારે તેને પટના મેડિકલ કોલેજ હોસ્પિટલ (PMCH) માં રિફર કરવામાં આવી, જ્યાં બેડના અભાવે તેને કલાકો સુધી એમ્બ્યુલન્સમાં જ રાહ જોવી પડી. રવિવાર, 1 જૂનના રોજ તેનું મૃત્યુ થયું. મૃતક બાળકીના કાકા વીરેન્દ્ર પાસવાલે આરોપ લગાવ્યો છે કે પીડિતાનું મોત સારવારમાં વિલંબને કારણે થયું. જો તેણીને યોગ્ય સમયે સારવાર આપવામાં આવી હોત તો કદાચ તેનો જીવ બચાવી શકાયો હોત.
સ્વરપેટીપર વાગ્યું હોવાથી બાળકી બોલી શકતી નહોતી
પોલીસના જણાવ્યા મુજબ, છોકરીના ગળા અને છાતી પર કાપના નિશાન હતા. પોલીસે કહ્યું કે આરોપીએ તેનું ગળું કાપીને તેણીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે તેની સ્વરપેટીને ભારે નુકસાન થયું હતું, અને તે બોલી શકતી નહોતી. આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે કેસ નોંધવાનો ઈનકાર કર્યો
બાળકીના પરિવારનો આરોપ છે કે મુઝફ્ફરપુરના તુર્કી પોલીસ સ્ટેશને કેસ નોંધવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે ગુનેગાર તે જ ગામનો પ્રભાવશાળી વ્યક્તિ છે. જ્યારે ચિંતિત પરિવાર મુઝફ્ફરપુર મહિલા પોલીસ સ્ટેશન પહોંચ્યો, ત્યારે તેમની ફરિયાદ નોંધવામાં આવી અને પીડિતાને તબીબી તપાસ માટે મોકલવામાં આવી. એ પછી, મહિલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અદિતિ કુમારીએ બાળકી પર બળાત્કાર થયો હોવાની પુષ્ટિ કરી અને કહ્યું કે સંબંધિત કલમો હેઠળ આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: નશીલા લાડુ ખવડાવી પૂજારી-સાધકોએ યુવતી પર ગેંગરેપ કર્યો
રાહુલ ગાંધીએ ટ્વિટ કરી વિરોધ નોંધાવ્યો
આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં પણ ખળભળાટ મચાવ્યો છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે બેદરકારીને કારણે મુઝફ્ફરપુરમાં એક સગીર દલિત છોકરીનું મૃત્યુ થયું. ‘X’ પર રાહુલ ગાંધીએ લખ્યું, “મુઝફ્ફરપુરમાં એક સગીર દલિત છોકરી સાથેની ક્રૂરતા અને પછી સારવારમાં બેદરકારી અત્યંત શરમજનક છે. જો તેણીને સમયસર સારવાર મળી હોત તો તેનો જીવ બચાવી શકાયો હોત. પરંતુ ડબલ એન્જિનની સરકારે સુરક્ષા તો દૂર, જીવ બચાવવામાં પણ ભારે બેદરકારી દાખવી. પીડિત પરિવારને ન્યાય ન મળે ત્યાં સુધી અમે ચૂપ નહીં બેસીએ. ગુનેગારો અને બેદરકાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.”
પટનામાં ભારે વિરોધ પ્રદર્શનો થયા
દલિત બાળકીના મૃત્યુ બાદ, પટનામાં ભારે વિરોધ પ્રદર્શન થયા હતા. કોંગ્રેસના કાર્યકરોએ રસ્તાઓ રોકી દીધા હતા અને મુખ્યમંત્રી નીતિશ કુમાર અને આરોગ્ય પ્રધાન મંગલ પાંડે વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસના નેતા આદિત્ય પાસવાને પીએમસીએચના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટને બરતરફ કરવાની માંગ કરી હતી અને આરોગ્ય પ્રધાન મંગલ પાંડેના રાજીનામાની પણ માંગ કરી હતી.
પટના મેડિકલ કોલેજ હોસ્પિટલે સ્પષ્ટતા કરી
પીએમસીએચના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. અભિજીત સિંહે જણાવ્યું હતું કે, “બાળકીને સૌપ્રથમ 26 મેના રોજ ગરદન અને આંતરિક ઇજાઓ સાથે મુઝફ્ફરપુરના એસકેએમસીએચમાં લાવવામાં આવી હતી. પીડિતાને પીએમસીએચમાં દાખલ કરવામાં આવતાની સાથે જ, તબીબી સ્ટાફે તાત્કાલિક તેને સારવાર આપવાનું શરૂ કર્યું હતું. તેને આઈસીયુમાં લઈ જવામાં આવી હતી અને તમામ વિભાગોના ડૉક્ટરોએ આખી રાત તેની સારવાર કરી હતી. ડૉક્ટરે એમ્બ્યુલન્સમાં તેની તપાસ કરી અને પછી તેને દાખલ કરવામાં આવી.”
પીડિતાના પરિવાર દ્વારા લગાવવામાં આવેલા બેદરકારીના આરોપોને નકારી કાઢતા સિંહે કહ્યું કે, જો આવી ઘટના કોઈની સાથે બને છે, તો પરિવાર બેદરકારીનો આરોપ લગાવશે. આ કેસ વિશે જાણ્યા પછી, અમે તરત જ તેની સક્રિય સારવાર શરૂ કરી દીધી હતી. પણ કમનસીબે બાળકીને બચાવી શક્યા નહોતા.
આ પણ વાંચો: દલિતની હત્યા થાય ત્યારે ‘સમરસતા’ ક્યાં જતી રહે છે?: નરેશ મહેશ્વરી