ગાંધીનગરમાં પ્રવીણ ગઢવી સાહેબની સ્મૃતિમાં ગુણાનુવાદ સભા યોજાઈ

સવાયા દલિત સાહિત્યકાર તરીકે જાણીતા પૂર્વ સનદી અધિકારી, ખરા માનવવાદી પ્રવીણ ગઢવી સાહેબની સ્મૃતિમાં ગુણાનુવાદ સભા યોજાઈ.
praveen gadhvi

સંનિષ્ઠ શબ્દસાધક અને સમગ્ર ગુજરાત તેમજ રાજ્ય બહાર જેમની સવાયા દલિત સાહિત્યકાર તરીકેની આગવી ઓળખ છે એવા પ્રવીણ ગઢવીના અકાળે નિધન બાદ ગાંધીનગર ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતી મહોત્સવ સમિતિ, દલિત અધિકાર સંઘ, ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી, સમાજ કલ્યાણ ખાતાના અભૂતપૂર્વ નિવૃત્ત અધિકારીઓનું મંડળ અને રેશનલ સમાજ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ગુણાનુવાદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

praveen gadhvi

સભાનું મંચ સંચાલન કરતા જાણીતા ઉદઘોષક પ્રવીણ શ્રીમાળીએ વક્તાઓને આમંત્રણ આપતાં પહેલાં ભીમ સંદેશ વાંચી સંભળાવ્યો હતો. “પોતાના ગરીબ અને અભણ બાંધવોની સેવા કરવી એ દરેક સુશિક્ષિત વ્યક્તિનું કર્તવ્ય છે. ઉચા હોદ્દા પર પહોંચ્યા બાદ આપણા સમાજના લોકો પોતાના જ ભાંડુઓ પ્રત્યે દુર્લક્ષ કરશે તો દલિત સમાજ નબળો બની જશે એમાં શંકા નથી.”

praveen gadhvi

આ ગુણાનુવાદ સભામાં વહીવટી તંત્રમાં સંવેદનશીલ અધિકારી, માનવવાદી અને સવાયા દલિત સાહિત્યકાર એમ ત્રણ પ્રકારે પ્રવીણ ગઢવીને મૂલવીને વકતવ્યો રજુ થયા હતા. સંવેદનશીલ સનદી અધિકારી તરીકે તેમણે ગરીબ, વંચિત શોષિત પછાત વર્ગ માટે માનવીય અભિગમ દાખવી સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડી ઉમદા કામગીરી કરી તે વિશે બલદેવ આગજા, ભીખાભાઈ અમીન, સમાજ કલ્યાણ ખાતાના અભૂતપૂર્વ નિવૃત્ત અધિકારીઓનું મંડળના મહિલા પ્રતિનિધિ સરોજબેન દેસાઈ, મહામંત્રી વી. એલ. જાદવ, ડૉ. બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતી મહોત્સવ સમિતિ ગાંધીનગરના પ્રમુખ સી. જે. રાઠોડ, રેશનલ સમાજ ગાંધીનગરના પંકજ પટેલ, વિગેરેએ ગઢવી સાહેબની અદભૂત કાર્યશૈલીને યાદ કરી ભાવાંજલિ અર્પણ કરી હતી.

આ પણ વાંચો: નદીમાં પડવાથી એક સાથે ચાર દલિત દીકરીઓના મોત

praveen gadhvi

પાંચ દાયકાની દિવંગતની સાહિત્ય સફરના સર્જનને મૂલવીને વકતાઓએ જણાવ્યું હતું કે સામાજિક પ્રતિબધ્ધતા સાથે કવિતા સર્જન કરી રહેલા આ સર્જક પાસે આદર્શ કે પ્રેમના સુફિયાણા સંવેદનો નથી પણ સમાજના દલિત વર્ગને વેઠવી પડતી રૂઢિગત વર્ણવ્યવસ્થાનો વલોપાત છે જેથી તેમની કવિતામાં આક્રોશ છે, અજંપો છે અને એ જ પરિપ્રેક્ષ્યમાં દલિત સાહિત્યના ભાથામાં ૫૦ જેટલા પુસ્તકો જેમાં વાર્તા, કવિતા, અભ્યાસલેખો ઉપરાંત ૪૨ રેશનલ કાવ્યો અને રેશનલ વાર્તા સંગ્રહ સંશય આ બધું મળીને ગુજરાતી દલિત સાહિત્યને એક નૂતન પરિમાણ સાંપડયું એમ એવા વિચારોને સાંકળીને ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીના મંત્રી અને ‘હયાતી’ સામયિકના તંત્રી હરિશ મંગલમે અકાદમીના પ્રમુખ તરીકે વર્ષો સુધી સેવા આપનાર પ્રવીણ ગઢવી સાહેબની પ્રતિબદ્ધતાને યાદ કરીને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.

praveen gadhvi

કવિ રમણ વાઘેલાએ દિવંગતની અસરદાર અને કટાક્ષ સાથેના આક્રોશ ને રજુ કરતી કૃતિઓ સંભળાવી હતી. ડૉ. રાજેશ મકવાણા, બલદેવ આગજા, નરસિહદાસ વણકર, સોમ વાઘેલા, વરિષ્ઠ સાહિત્યકાર કેશુભાઈ દેસાઈ, નિવૃત્ત અધિક સચિવ કે. જી. વણઝારા વગેરેએ ભાવાંજલિ સાથે વકતવ્યો આપ્યા હતા.

સાહિત્યિક પરિવેશમાં ઉછેર, અભ્યાસ, વાંચનને કારણે પ્રવીણભાઈ ને નાનપણથી જ શબ્દનો રંગ લાગ્યો હતો તે સંદર્ભમાં વાત કરીને નિવૃત્ત વરિષ્ઠ સનદી અધિકારી અને ચારણી સાહિત્યના ઉપાસક વી. એસ. ગઢવી અને ઘનશ્યામ ગઢવીએ દિવંગતને અનુરૂપ લોકસાહિત્યના દુહા-સાખીઓ  વર્ણવીને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.

praveen gadhvi

ગુજરાત સરકારના નાયબ સચિવ અને પ્રવીણ ગઢવી સાહેબના સુપુત્ર આસવ ગઢવીએ પિતાએ આપેલી શિખામણ કે જીવનમાં કયારેય પ્રયત્નોથી થાકી નહીં જવુ એને જીવનમંત્ર બનાવી તેમની છત્રછાયામાં અમે પિતા-પુત્ર કરતાં સહૃદયી મિત્રો બનીને રહ્યા હતા જે થકી આજે હું આ હોદ્દા પર પહોંચ્યો છું જે રૂણ હું ચુકવવા અસમર્થ છું.

આ સભામાં કેનેડાથી નટુભાઈ પરમારે મોકલેલ લાગણીસભર સંદેશો વસંત જાદવે વાંચી સંભળાવ્યો હતો. એવી જ રીતે અભૂતપૂર્વ નિવૃત્ત અધિકારીઓનું મંડળના પ્રમુખ પી. એમ. ચાવડાએ વડોદરાથી મોકલાવેલ રૂણ અદા કરતો સંદેશો વાંચી સંભળાવ્યો હતો. રેશનલ સમાજના પ્રમુખ ભાનુપ્રસાદ પુરાણીએ મોકલાવેલ સંદેશો પંકજભાઈ પટેલે વાંચી સંભળાવ્યો હતો.

આ પણ વાંચો: અસામાજિક તત્વોએ જ્યોતિબા ફુલેની પ્રતિમા ખંડિત કરી

આ સભાના અધ્યક્ષ સ્થાનેથી ભાવાંજલિ અર્પણ કરતાં નિવૃત્ત વરિષ્ઠ સનદી અધિકારી અને ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીના માનદ્ સલાહકાર શ્રી પી. ડી. વાઘેલાએ જણાવ્યું હતું કે “અમરેલી કલેકટર તરીકેના તેમના કાર્યકાળ દરમ્યાન ગરીબો, વંચિતો, તમામ પછાત વર્ગના જરૂરિયાતમંદ પરિવારોને ફાજલ જમીન ફાળવણીમાં ઉદાહરણ રૂપ કામગીરી કરી હતી. તેમની સંવેદનશીલતાને કારણે વંચિત વર્ગનીલગભગ ૩૦૦૦ એકર જેટલી જમીન બચી ગઇ હતી. ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીની અન્ન ધમ યોજના પણ પ્રવીણ ગઢવીએ સુચવેલી યોજના છે.”

આભાર વિધિ દલિત અધિકાર સંઘ ગાંધીનગર જિલ્લાના પ્રમુખ કાન્તીભાઈ પરમારે કરી હતી. સમગ્ર સભાનું મંચ સંચાલન જાણીતા ઉદઘોષક પ્રવીણ શ્રીમાળીએ કર્યુ હતું. આ ગુણાનુવાદ સભામાં પ્રવીણ ગઢવી સાહેબના પરિવારજનો, સગાસંબંધી, ગઢવી સમાજના આગેવાનો ઉપરાંત વરિષ્ઠ નિવૃત્ત સનદી અધિકારી શ્રી વિજય રંચન, ખ્યાતનામ દલિત સાહિત્યકાર દલપત ચૌહાણ તેમજ સાહીલ પરમાર, પુરસોતમ જાદવ, દિનુ ભદ્નેસિયા, ભાનુભાઈ દવે, સાહિત્યના ભાઇબંધ નિરવ પટેલનો પરિવાર, યોગેન્દુ ચૌહાણ, ગાંધીનગરના તેમના નિકટના સાથી મિત્રો અનીશ માંકડ, માધુભાઈ ચૌધરી, ગાંધીનગરના સાહિત્યપ્રેમી નાગરિકો ભૂપેન્દ્ર શ્રીમાળી, મનુભાઈ રેવર, શ્રીમતી જે.કે.અંતાવ, વિઠ્ઠલભાઈ પરમાર, હર્ષદભાઈ લેઉવા, રમણભાઈ મકવાણા, ગોવિંદભાઈ પરમાર, મનસુખભાઈ સોલંકી, દલિત અધિકાર સંઘના શહેર પ્રમુખ ચંદ્રવદન એડવોકેટ જયારે અમદાવાદથી વિડીયો શુટિંગ માટે પધારેલા રણજીત ગઢવી, જ્યોત્સના આહીર, લંકેશ ચક્રવર્તી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

(અહેવાલ: પ્રવીણ શ્રીમાળી)

આ પણ વાંચો: ‘સવાયા દલિત સાહિત્યકાર’ પ્રવીણ ગઢવીની અણધારી વિદાય

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું ગુજરાત કોંગ્રેસ અને તેના સવર્ણ નેતાઓ દલિતો સાથે ભેદભાવ રાખે છે?
0
Would love your thoughts, please comment.x
()
x