ગુજરાતમાં દલિત-આદિવાસી સામે ભયાનક જાતિવાદી હુમલાઓ અને GPSC ભરતી પ્રક્રિયામાં મૂળનિવાસી સમાજ (SC, ST, OBC) ઉપર થઈ રહેલા જાતિવાદી અન્યાય સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે પોરબંદરમાં સ્વયં સૈનિક દળ (SSD) દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. પોરબંદર જિલ્લામાં સ્વયં સૈનિક દળ (SSD) દ્વારા એક ખૂબ ગંભીર અને તાત્કાલિક ન્યાયની માંગ સાથે ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રીને જિલ્લા કલેક્ટર મારફતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં શું રજૂઆત કરવામાં આવી?
આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં દલિત અને આદિવાસી સમાજના લોકો સામે હિંસક અત્યાચાર, સામાજિક બહિષ્કાર, દુષ્કર્મ, અને હત્યા જેવી જઘન્ય ઘટનાઓમાં દિનપ્રતિદિન ભયજનક રીતે વધારો થઈ રહ્યો છે. માત્ર સામાજિક નહીં પરંતુ વહીવટી સ્તરે પણ ઊંડો જાતિવાદ પ્રવર્તી રહ્યો છે. તાજેતરના ઉદાહરણો દર્શાવે છે કે કેવળ “બેટા” કહી દેવા પર હત્યા, લસ્સી પીવા ગયેલા યુવાનો પર હુમલો, અને સગીર છોકરીની વેચાણ અને ગેંગરેપ જેવી ઘટનાઓ છેલ્લા ત્રણ-ચાર માસમાં બની છે, છતાં પણ તંત્ર અને સરકાર આંખ આડા કાન કરીને બહેરી-મૂંગી બનીને બેસી રહી છે, પોલીસ દ્વારા આવા ગુનાઓમાં યોગ્ય કાનૂની પગલાં લેવામાં ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે. જેની સામે યોગ્ય પગલાં લેવામાં આવે છે.
આ પણ વાંચો: GPSC એસસી, એસટી, ઓબીસી એકલવ્યોના અંગૂઠા કાપે છે: મેવાણી
જીપીએસસીમાં મૂળનિવાસીઓને થતા અન્યાય સામે રજૂઆત કરાઈ
આ ઉપરાંત GPSC (ગુજરાત જાહેર સેવા આયોગ) જેવી સંસ્થાઓમાં પણ ભરતી પ્રક્રિયામાં ઊંડો જાતિવાદ અને ભેદભાવ દર્શાવતી કાર્યવાહી સામે SSDએ ગંભીર આક્ષેપો સાથે આવેદનપત્ર રજૂ કર્યું હતું. આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો છે કે SC/ST/OBC સમાજના લાયકાત ધરાવતા ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં ઓછા ગુણ આપીને તેમની હકદારીના સ્થાને ઉચ્ચ જાતિના ઉમેદવારોને વધારે ગુણ આપીને પસંદ કરાય છે, જે આ સમાજના હકોનું ઘોર ઉલ્લંઘન છે. આ બૌદ્ધિક જાતિવાદી અન્યાય એટલો ઘાતક છે કે આજે પણ SC/ST/OBC મૂળનિવાસી સમાજને પોતાનો અંગુઠો કાપવામાં આવે છે તેવો અનુભવ રહ્યો છે – માત્ર શારીરિક નહીં પરંતુ માનસિક અને વ્યવસ્થાત્મક સ્તરે પણ આ અન્યાય સહન કરવામાં નહીં આવે.
SSD એ સરકાર સમક્ષ પાંચ માગણીઓ મૂકી
આવેદનમાં SSD દ્વારા રાજ્ય સરકાર સમક્ષ પાંચ મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી છે: (૧) તમામ અત્યાચારની ઘટનાઓમાં તાત્કાલિક FIR નોંધાવી કડક કાર્યવાહી કરવી. (૨) GPSCની તમામ ભરતી પ્રક્રિયાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સ્વતંત્ર સમિતિ રચવી. (૩) SC/ST/OBC ઉમેદવારો માટે ન્યાયી ઇન્ટરવ્યૂ પેનલ અને પારદર્શક માર્કિંગ સિસ્ટમ અમલમાં મૂકવી. (૪) શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે સમાજના અધિકારોનું સાચું સંરક્ષણ સુનિશ્ચિત કરવું. (૫) રાજ્યમાં કાર્યરત એસસી-એસટી પેનલને વધુ સક્રિય અને જવાબદાર બનાવવી.
એસએસડીના સૈનિકોએ શું કહ્યું?
khabarantar.in સાથે વાત કરતા SSDના કાર્યકર સમ્યકભાઈએ જણાવ્યું હતું કે, “જો સરકાર અને તંત્ર દ્વારા તાત્કાલિક અને ઉચિત પગલાં ન લેવાય તો રાજયભરમાં અસંતોષ, અસમાનતા અને ન્યાય પ્રત્યે અવિશ્વાસ ઊભો થઈ શકે છે, જે લોકશાહી વ્યવસ્થાના મૂળ આધાર સ્તંભો માટે ગંભીર ચેતવણીરૂપ છે. SSDએ આ વ્યવસ્થા સામે ઉભા થયેલા પડકારોને પડકાર્યા છે અને સરકારને પ્રશ્ન પૂછ્યો છે કે સામાન્ય નાગરિકે સમાન અધિકાર માટેના તેના બંધારણીય હક માટે ક્યાં સુધી વલખાં મારવા પડશે?”
SSDએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક કાનૂની અને વહીવટી પગલાં નહીં લેવાય તો ગુજરાતના SC/ST/OBC મૂળનીવાસી લોકો પોતાના ઉપર થઈ રહેલા અન્યાયકારી ઘટના અને નીતિને આવેદનના મધ્યમે નહીં પરંતુ રસ્તે ઉતરીને પણ અમારા હક્ક માટે લડવા પાછા નહીં પડીએ.
આ પણ વાંચો: CM ‘પટેલ’ GPSC ચેરમેન ‘પટેલ’ ઈન્ટરવ્યૂ લેનાર ‘પટેલ’, કંઈ સમજાયું?
Vajudvaghala