‘હિન્દુ શબ્દનું વાસ્તવમાં કોઈ અસ્તિત્વ નથી, તે ફક્ત જાતિઓનો સમૂહ છે, જે પોતાની જાતિઓને મહાન બનાવવામાં લાગેલો છે. ભારત ક્યારેય હિન્દુ રાષ્ટ્ર ન બનવું જોઈએ. આ દેશ માટે સૌથી મોટો ખતરો સાબિત થશે’.
ડો.આંબેડકર(Dr.Ambedkar) હિન્દુ ધર્મ અને હિંદુ રાષ્ટ્રની તરફેણ કરનાર RSS વિરુદ્ધ આવા કઠોર શબ્દોનો ઉપયોગ કરતા હતા.
બાબાસાહેબ હિન્દુ ધર્મમાં પ્રવર્તતા જાતિવાદના વિરોધી હતા. તેઓ એ તમામ બાબતોના વિરોધી હતા જે હિન્દુ ધર્મને પ્રોત્સાહન આપવાનું કામ કરતી હતી. પછી તે મનુસ્મૃતિ હોય કે RSS. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આજે ભલે ડો.આંબેડકરને પોતાના આદર્શ માનતો હોય, તેમના વિચારોને અપનાવવાની વાત કરતો હોય, પરંતુ એક સમય હતો જ્યારે RSS ખૂલ્લેઆમ ડો.આંબેડકર અને તેમના વિચારોનો વિરોધ કરતો હતો. સંઘની માનસિકતા દલિત વિરોધી છે તે જગજાહેર વાત છે. અને એટલે જ તેઓ દલિત મતો મેળવવા માટે ડો.આંબેડકરને પોતાના આદર્શ માનવાનો દેખાડો કરે છે. જો કે, દલિતો પણ આ વાત સારી રીતે સમજતા હોવાથી તેને ગંભીરતાથી નથી લેતા.
RSS અને ડો.આંબેડકર વચ્ચે શું થયું હતું?
વર્ષ 1947નો સમય હતો. ધર્મના આધારે દેશનું વિભાજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મુસ્લિમો માટે એક નવું ઇસ્લામિક રાજ્ય, પાકિસ્તાન બનાવવામાં આવ્યું. જાહેરાત કરવામાં આવી હતી કે જે મુસ્લિમો પાકિસ્તાન જવા માંગે છે તેઓ જઈ શકે છે, અને જે ભારતમાં રહેવા માંગે છે તેઓ ભારતમાં જ રહે. પરંતુ RSS એ તેનો વિરોધ કર્યો હતો. તેઓ ઇચ્છતા હતા કે જ્યારે ઇસ્લામિક દેશ બની રહ્યો છે ત્યારે ભારત સંપૂર્ણપણે હિન્દુ રાષ્ટ્ર હોવું જોઈએ. પરંતુ બાબાસાહેબે પહેલાથી જ સ્પષ્ટપણે કહ્યું હતું કે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે અને રહેશે. તેમણે પોતાના પુસ્તક ‘પાકિસ્તાન અને ભારતનું વિભાજન’માં લખ્યું છે કે ‘હિન્દુત્વ લોકશાહી વિરુદ્ધ છે. હિન્દુ રાષ્ટ્ર પરસ્પર સંવાદિતા, ભાઈચારો અને સમાનતાને ખતમ કરનારા સિદ્ધાંતોને અનુસરે છે.’
આ પણ વાંચો: RSS શા માટે રાષ્ટ્રધ્વજનો વિરોધ કરે છે?
ડૉ.આંબેડકરે RSS નો ખુલીને વિરોધ કર્યો હતો
RSS એ ક્યારેય બાબા સાહેબના વિચારો સ્વીકાર્યા નહીં. આનું એક મોટું ઉદાહરણ હિન્દુ કોડ બિલનો વિરોધ છે. ભારતને આઝાદી મળ્યા પછી દેશના પ્રથમ કાયદા પ્રધાન તરીકે બાબાસાહેબ હિન્દુ કોડ બિલ લાવ્યા હતા. જેમાં એવા ઘણાં પ્રગતિશીલ મુદ્દાઓ હતા, જે તે સમયના રૂઢિચુસ્ત પુરૂષપ્રધાન સમાજને સ્વીકાર્ય નહોતા. હિન્દુ સંહિતા મુજબ, મહિલાઓને છૂટાછેડા લેવાનો, બીજી જાતિમાં લગ્ન કરવાનો અને તેમના પિતાની પૈતૃક સંપત્તિમાં અધિકાર મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. આ સાથે, એક પુરુષના એક કરતાં વધુ લગ્ન પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
આ બિલનો RSS, અખિલ ભારતીય રામ રાજ્ય પરિષદ, જન સંઘ, હિન્દુ મહાસભા દ્વારા ખુલ્લેઆમ વિરોધ કરવામાં આવ્યો હતો. એકલા RSS એ 75 થી વધુ બેઠકોનું આયોજન કર્યું હતું જેમાં નવા બિલને હિન્દુ પરંપરા અને ભારતીય સંસ્કૃતિ પર હુમલો ગણાવવામાં આવ્યું હતું. આ દરમિયાન RSS દ્વારા ડો.આંબેડકરના અનેક પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હિન્દુ ધર્મ પ્રત્યે ડૉ. આંબેડકરનો રોષ ઓર વધી ગયો હતો.
RSS ની નીતિ સામે
આજના યુગમાં, ભલે RSS બાબા સાહેબને પોતાના આદર્શ માને, પરંતુ એ જ RSS એ ડૉ.આંબેડકર રચિત ભારતીય બંધારણ વિશે કહ્યું હતું કે, ‘બંધારણની સૌથી મોટી ખામી એ છે કે તેમાં ભારતીય કશું નથી અને તે ભારતીય વિચારોને પ્રતિબિંબિત કરતું નથી. બધું જ વિદેશી છે.
બાબાસાહેબના વિચારો વ્યક્ત કરતી વખતે તેમના પૌત્ર પ્રકાશ આંબેડકરે RSS વિરુદ્ધ કહ્યું હતું કે ‘RSS ભારતીય બંધારણને મનુસ્મૃતિમાં બદલવા માંગે છે. RSS ક્યારેય બાબાસાહેબના વિચારોનું પાલન કરતું નથી, તે હંમેશા સવર્ણ જાતિ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા, મહિલાઓ પર દમન ગુજરવા અને દલિતોની પ્રગતિમાં રોડાં નાખવાનું કામ કરે છે.
RSS માત્ર સવર્ણો માટે કામ કરે છે
ડૉ.બાબાસાહેબ આંબેડકરે RSSના વિચારો વિરુદ્ધ પોતાના વિચારો વ્યક્ત કરતી વખતે કહ્યું હતું કે, RSS જેવા સંગઠનો પર કાયમ માટે પ્રતિબંધ મૂકવો જોઈએ. બાબાસાહેબ RSS ને સમાજ માટે સૌથી મોટો ખતરો માનતા હતા. RSS જેવા સંગઠનો સામાજિક વ્યવસ્થાને આગળ વધારવા માટે નહીં પરંતુ રૂઢિચુસ્ત પરંપરાઓ અને વિચારધારા લોકો પર લાદવા માટે રચાયા છે, જે માનવતા માટે ખતરો છે.
આ પણ વાંચો: ઠાકુરોએ 14મી એપ્રિલની રેલી રોકી, દલિતોએ ઠાકુરોની કળશ યાત્રા રોકી