મધ્ય પ્રદેશના મૈહર જિલ્લાના જગનગરા અને પોળિઆ ગામના આદિવાસી પરિવારો પોતાની કરોડોની જમીન બચાવવા માટે અનોખી રીતે રસ્તા પર ઉતરી આવ્યા છે. પીડિત આદિવાસીઓનો સીધો આક્ષેપ છે કે રામનગર નગર પરિષદના પૂર્વ પ્રમુખ રામસુશીલ પટેલે સત્તાના જોરે તેમની વર્ષો જૂની 39 એકર જમીન પર ગેરકાયદેસર રીતે બળપૂર્વક કબજો જમાવી લીધો છે.
એટલું જ નહીં, આદિવાસીઓને તેમની પોતાની જમીન સુધી પહોંચવાનો મુખ્ય રસ્તો પણ કાંટાળા તાર અને દીવાલો ઊભી કરીને બંધ કરી દેવામાં આવ્યો છે. રસ્તો અને જમીન બંને છીનવાઈ જતાં આ ગરીબ આદિવાસી પરિવારો સામે હવે ભૂખે મરવાની સ્થિતિ ઊભી થઈ છે.

‘અમારી સ્થિતિ પશુઓ જેવી થઈ જશે’ – મોંમાં ઘાસ દબાવી કર્યો વિરોધ
પોતાના અવાજને બહેરા બનેલા વહીવટી તંત્ર સુધી પહોંચાડવા માટે આદિવાસીઓએ એક અત્યંત કરુણ અને અનોખો વિરોધ પ્રદર્શનનો માર્ગ અપનાવ્યો હતો. તેમણે પોતાના મોંમાં પશુઓ ખાય તેવું ઘાસ દબાવીને તંત્ર સામે પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન દ્વારા આદિવાસીઓએ સમાજ અને સરકારને એ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો કે જો શાસક પક્ષના વગદાર નેતાઓ દ્વારા તેમની જમીનો અને મૂળભૂત અધિકારો આ જ રીતે છીનવી લેવામાં આવશે, તો ટૂંક સમયમાં જ તેમની સ્થિતિ પશુઓ (ઢોર-ઢાંખર) જેવી થઈ જશે. જમીન વિના તેઓ કમાશે શું અને ખાશે શું, તેવો સળગતો સવાલ આ અનોખા પ્રદર્શન દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: 45 ગામના આદિવાસીઓ 1 મહિનાનું રાશન લઈ ધરણાં પર બેઠાં
દબાણ લાવવા માટે આદિવાસીઓ પર કરાય છે નકલી કેસ
ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે કે આ જમીન પર તેઓ વર્ષોથી ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા આવ્યા છે, પરંતુ હવે તેમને ત્યાં જતાં રોકવામાં આવી રહ્યા છે. જ્યારે પણ કોઈ આદિવાસી પોતાની જમીનનો હક માંગે છે અથવા આ અન્યાય સામે અવાજ ઉઠાવે છે, ત્યારે રાજકીય વગ ધરાવતા નેતા દ્વારા તેમના પર ખોટા ગુનાહિત કેસો ઠોકી બેસાડવામાં આવે છે. આદિવાસીઓનો દાવો છે કે અગાઉ પણ ગામના કેટલાક નિર્દોષ લોકોને ખોટા કેસોમાં ફસાવીને જેલ ભેગા કરી દેવાયા છે, જેથી આખા આદિવાસી વિસ્તારમાં ભારે ભય અને ફફડાટનો માહોલ છે.
આ પણ વાંચો: “દલિત થઈને ઘોડી પર બેસી મંદિરે આશીર્વાદ લેવા છે?”

SDM એ આવેદનપત્ર લીધું પણ મૌન સેવ્યું, મીડિયાથી ભાગ્યા
આદિવાસીઓના ઉગ્ર અને અનોખા પ્રદર્શનની માહિતી મળતા જ રામનગરના SDM એપી મિશ્રા પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે પ્રદર્શનકારી આદિવાસીઓ પાસેથી ન્યાયની માંગ કરતું આવેદનપત્ર તો સ્વીકાર્યું હતું, પરંતુ આ ગંભીર મુદ્દા પર ત્યાં હાજર મીડિયાકર્મીઓ સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવાનું ટાળ્યું હતું. SDM ના આ ઉદાસીન અને શંકાસ્પદ વલણના કારણે ન્યાયની આશા લઈને બેઠેલા ગરીબ આદિવાસીઓ ભારે નિરાશ થયા હતા.
બીજી તરફ, આ મામલામાં જેમની સામે ગંભીર આક્ષેપો થયા છે તે પૂર્વ પ્રમુખ પક્ષ તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટતા સામે આવી નથી અને તંત્રએ પણ કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. હાલમાં આદિવાસી પરિવારોએ ચીમકી ઉચ્ચારી છે કે જો મહેસૂલ (રેવન્યુ) અને પોલીસ સ્તર પર આ કેસની તટસ્થ તપાસ કરીને તેમની 39 એકર જમીન અને રસ્તો પાછો આપવામાં નહીં આવે, તો તેઓ આગામી દિવસોમાં આ આંદોલનને વધુ ઉગ્ર બનાવશે.
આ પણ વાંચો: રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના ₹124 કરોડના ખર્ચમાં પણ કૌભાંડની આશંકા











