સરકારી ભરતીઓમાં SC-ST-OBCને અન્યાય મામલે CMને રજૂઆત

અન્યાય પ્રતિકાર મંચ દ્વારા સરકારી ભરતીઓમાં SC-ST-OBC ઉમેદવારોને થતા અન્યાય અને રોસ્ટરમાં પારદર્શિતાનો મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
sc-st-obc injustice

ગુજરાતમાં જીપીએસસી, તલાટી, વિદ્યા સહાયક, પોલીસ અને અન્ય સરકારી ભરતીઓમાં સરકારમાં બેઠેલા જાતિવાદી તત્વો દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર આ બધું જાણતી હોવા છતાં આ પ્રકારની ગેરરીતિઓ સામે કોઈ પગલાં લેતી ન હોવાથી અમદાવાદના અન્યાય પ્રતિકાર મંચ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત કરીને આ મામલે કડક પગલાં લેવા રજૂઆત કરવામાં આવી છે.

એડવોકેટ સુબોધ કુમુદ દ્વારા અન્યાય પ્રતિકાર મંચના નેજા હેઠળ સરકારી ભરતીઓમાં દલિત, આદિવાસી અને ઓબીસી સમાજના ઉમેદવારોને થતા અન્યાય માટે આ રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી કાર્યાલયને કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું છે કે, તાજેતરમાં ગુજરાત સરકારની વિવિધ ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા દરમિયાન ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવાતી પરીક્ષાઓમાં, તલાટી, વિદ્યાસહાયક, પોલીસ ભરતી અને અન્ય ભરતી પરીક્ષાઓમાં અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), અને અન્ય પછાત વર્ગ (OBC)ના વિદ્યાર્થીઓને અન્યાય થવાની બાબત સામે આવી છે જે ગંભીર ચિંતાનો વિષય છે. ચોંકાવનારી બાબત એ છે કે રાજ્ય સરકારના અંગભૂત વિભાગોના અધિકારો દ્વારા કલ્યાણકારી રાજ્યની સ્થાપના કરવાના ભારતના બંધારણના રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો નેવે મુકીને વંચિત વર્ગના કલ્યાણની ભાવનાથી વિપરીત તેમના અધિકારોને નુકસાન કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: ‘GPSCનો બૌદ્ધિક જાતિવાદ હવે નહીં ચલાવી લઈએ’: SSD

sc-st-obc injustice

GPSCની અન્યાયકારી ઇન્ટરવ્યૂ વ્યવસ્થા, અનામત નીતિનું અપૂરતું પાલન, રોસ્ટર નિભાવણીમાં પારદર્શિતાનો અભાવ, તલાટીની ભરતીમાં સ્નાતકની શરત, વિદ્યાસહાયક ભરતીમાં અનામત બેઠકોની અછત, અને પોલીસ ભરતીમાં શારીરિક કસોટીના ગુણ દૂર કરવાની બાબત આ સમાજોના હકોનું હનન કરે છે. હાલમાં સરકારી ભરતીઓમાં જોવા મળેલી કેટલીક વિસંગતતાઓ પર પણ નજર કરવા જેવી છે.

GPSC દ્વારા લેવાતી પરીક્ષાઓમાં ઈન્ટરવ્યૂમાં ભેદભાવ:

GPSCની ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં SC, ST, અને OBC ઉમેદવારોને લેખિત પરીક્ષામાં વધુ ગુણ હોવા છતાં ઇન્ટરવ્યુમાં ઓછા ગુણ આપવામાં આવે છે જ્યારે OBC-ST-SC સિવાયના ઉમેદવારોના લેખિતમાં ઓછા ગુણ હોવા છતાં વધુ ગુણ આપવામાં આવે છે. ૧૯.૦૩.૨૦૨૫ ના રોજ જાહેર કરાયેલ પરિણામમાં OBC વર્ગનો એક વિદ્યાર્થી જે UPSCમાં સફળ થયો છે પરંતુ GPSCની પેનલ દ્વારા ઇન્ટરવ્યૂમાં ૨૬ ગુણ મળતા મેરિટ લીસ્ટમાં સ્થાન ન મેળવી શક્યો. આવી ભડભાવભરી ઇન્ટરવ્યુપ્રથા આર્ટિકલ-૧૬ નું ઉલ્લંઘન કરે છે.

તાજેતરમાં GPSC દ્વારા ડ્રગ ઇન્સ્પેકટરનું ઇન્ટરવ્યુ વિવાદોને અંતે રદ કરેલ છે જે દર્શાવે છે કે ઇન્ટરવ્યુ દરમિયાન નિષ્પક્ષતા જળવાતી નથી. બિનઅનામત જગ્યાઓ પર મહિલાઓનું સિલેક્શન ના થાય એની પણ ભરતી બોર્ડ દ્વારા ખાસ કાળજી રાખવામાં આવે છે એવું જણાઈ રહ્યું છે. આ ઉપરાંત OBC-ST-SC વર્ગના ઉમેદવારોને જાણીજોઈને ઓપન મેરીટમાં સમાવેશ ન થાય એની તકેદારી રાખીને માર્ક્સ આપવામાં આવે છે જેથી આ વર્ગ સિવાયના પોતાના માનીતા ઉમેદવારોને પાસ કરાવી શકાય.

અનામત નીતિનું પાલન ન થવું

સર્વોચ્ચ અદાલત દ્વારા વારંવાર સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ભરતીના દરેક તબક્કે અનામત નીતિ લાગુ કરવી જોઈએ. આ ઉપરાંત સંદર્ભ-૧ થી નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા તા. ૦૧.૦૮.૨૦૧૮ ના ઠરાવની કલમ-૧૨ અને કલમ-૧૩ જે અનામત નીતિના ગેરબંધારણીય અમલવારી સંદર્ભે હોવાથી રદ કરવામાં આવેલ છે. GPSC, તલાટી, વિદ્યાસહાયક, પોલીસ ભરતી તથા અન્ય ભરતીઓમાં SC, ST, અને OBC માટેની અનામત નીતિનું વિવિધ તબક્કે (લેખિત પરીક્ષા, ઇન્ટરવ્યૂ, અને દસ્તાવેજ ચકાસણી) પાલન થતું નથી. જેના કારણે મેરિટ લિસ્ટમાં આ સમાજના ઉમેદવારોની સંખ્યા અનામત નીતિના નિયમોના પ્રમાણમાં અપૂરતી રહે છે. આ ઉપરાંત, તથા આ ઉપરાંત SC-ST-OBC મહિલાઓને આપવામાં આવતી અનામત નીતિની પણ અમલવારી કરવામાં આવતી નથી અને આ વર્ગની મહિલા ઉમેદવારોને ઓપન મેરિટમાં સ્થાન ન મેળવી શકે એનો પૂરતું ધ્યાન રાખવામાં આવતું હોય તેવું જણાઈ રહ્યું છે.

રોસ્ટર નિભાવણીમાં પારદર્શિતાનો અભાવ

રોસ્ટર એ કોઈ ભયંકર સિક્રેટ દસ્તાવેજ હોય એ રીતે તેને સામાન્ય માણસ સરળતાથી જોઈ શકે એમ મૂકવામાં આવતા નથી. પરિણામે મોટાભાગની ભરતીને કોર્ટમાં પડકારવામાં આવે છે અને આખી ભરતી અટવાઈ જાય છે. જો દરેક વિભાગ દ્વારા ખાલી પડેલ અને ભરાયેલ જગ્યાના આજદિન સુધી નિભાવાયેલા રોસ્ટર ડિજીટલ ગુજરાત પ્રોજેકટ હેઠળ ઓનલાઈન મુકવામાં આવે તો પારદર્શિતાની સાથોસાથ દરેક ભરતીમાં ઉમેદવારો તથા સરકારનો સમય તથા નાણાં બચાવીને ઝડપી પોસ્ટીંગ સુનિશ્ચિત કરી શકાય તેમ છે.

આ પણ વાંચો: CM ‘પટેલ’ GPSC ચેરમેન ‘પટેલ’ ઈન્ટરવ્યૂ લેનાર ‘પટેલ’, કંઈ સમજાયું?

sc-st-obc injustice

રોસ્ટર નિભાવણીમાં પારદર્શિતા ન હોવાના લીધે તાજેતરમાં બહાર પડેલી વિદ્યાસહાયક ભરતીમાં અનામત બેઠકોની ઘટ જોવા મળી હતી અને TET-TAT પાસ ઉમેદવારો માટેની વિદ્યાસહાયક ભરતીમાં SC, ST, અને OBC માટે પૂરતી બેઠકો ફાળવવામાં આવી નથી જે ગુજરાતમાં લાગુ કરેલ અનામત નીતિનું ઉલ્લંઘન છે.

અન્યાયકારી ભરતીના નિયમો

તલાટી ભરતીમાં સ્નાતક લાયકાત અને સીલેબસ બદલી દેવો: તાજેતરમાં બહાર પાડેલ તલાટી ભરતીમાં લાયકાતના માપદંડમાં સ્નાતક (ગ્રેજ્યુએશન)ની શરત ઉમેરવામાં આવી છે તથા તેનો અભ્યાસક્રમ વર્ગ-૧ અને વર્ગ-૨ ની સનદી સેવાઓ માટે લેવાનારી પરીક્ષાઓ કરતા પણ વધારે કઠિન બનાવવામાં આવ્યો છે. જેનાથી SC, ST, OBC તથા સામાન્ય વર્ગના ઘણા ઉમેદવારો, જેઓ શૈક્ષણિક સંસાધનોની મર્યાદાઓનો સામનો કરે છે, તેમને નુકસાન થયું છે.

અત્યાર સુધીમાં જે ઉમેદવારો ધોરણ ૧૨ પાસ કરીને તલાટી બનવા માટે મહેનત કરી રહ્યા હતા એમના સ્વપ્ન સરકારના આ ઉતાવળિયા નિયમને કારણે રોળાઈ ગયા છે. સરકાર સ્પર્ધાત્મક પરીક્ષા લાયક ઉમેદવારની પસંદગી કરવા માટે જ કરતી હોય છે. જે ઉમેદવાર લાયક હશે એ જ પસંદગી પામવાનો છે. સરકારના આ ઉતાવળિયા નિર્ણયથી ધોરણ ૧૨ પાસ કરીને તલાટી બનવા મહેનત કરી રહેલા ઉમેદવારોને સરકારી નોકરીની તકોથી વંચિત કરી દેવામાં આવ્યા છે જે રાજ્યમાં બેરોજગારીને પણ પ્રોત્સાહન આપશે. વધુમાં તલાટીનો અભ્યાસક્રમ વર્ગ-૧ અને વર્ગ-૨ ની સનદી સેવાઓ જેટલો કઠિન કરવાથી કયા વહીવટી હેતુઓ પાર પડવાના છે એ પણ સામાન્ય નાગરિકને ગળે ઉતરે એવી વાત નથી.

પોલીસ ભરતીમાં શારીરિક કસોટીના ગુણ દુર કરવા

હાલમાં વર્ગ-૩ ની પોલીસ ભરતીમાં શારીરિક કસોટીઓ (ખાસ કરીને દોડ) ના ગુણ ધ્યાનમાં લેવામાં નહીં આવે એવી જાહેરાત કરવામાં આવી છે. જેનાથી SC, ST, OBC અને સામાન્ય વર્ગના ગરીબ ઉમેદવારોને નુકસાન થયું છે. પોલીસની નોકરીમાં શારિરીક સશક્તતા એ અનિવાર્ય શરત છે. વર્ગ-૩ ની નોકરી કરતા પોલીસ જવાનો જ ગ્રાઉન્ડ ઉપર ફરજ બજાવે છે અને રાજ્યમાં કાયદો અને શાંતિની જાળવણી માટે પાયાના પથ્થરની ભુમિકા ભજવે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં RTI કરનારને 5 પાનાં સુધીની માહિતી મફત મળશે

જે રીતે સમૃદ્ધ પરિવારના બાળકો શારીરિક રીતે નબળા વર્ગના બાળકો કરતા ઓછા સશક્ત હોય છે એ જ રીતે નબળા અને વંચિત વર્ગના વિદ્યાર્થીઓ જેઓ પોતાના શૈક્ષણિક, આર્થિક અને સામાજિક પછાતપણાના લીધે લેખિત પરીક્ષામાં વત્તા-ઓછા પ્રમાણમાં પાછળ રહી જાય છે. જેથી શારીરિક અને લેખિત પરીક્ષા બંનેના માર્ક્સ ગણતરીમાં લેવામાં આવે (જે હકીકતમાં પોલીસની નોકરીની આવશ્યકતા પણ છે) તો તમામ ઉમેદવારો માટે પરીક્ષા એ સાચા અર્થમાં પરીક્ષા બની રહે.

અન્યાય પ્રતિકાર મંચ દ્વારા આટલી માગણીઓ કરવામાં આવી

આ તમામ બાબતોને અનુલક્ષીને અન્યાય પ્રતિકાર મંચ વતી અમારી નીચે મુજબની માંગણીઓ છે.

૧) GPSC ની ઇન્ટવ્યુપ્રથા રદ કરવામાં આવે અને ત્યાં સુધીમાં ઈન્ટરવ્યુનો ગુણભારાંક સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે એ રીતે ૧૦% જ રાખવામાં આવે. આ ઉપરાંત ૧૯.૦૩.૨૦૨૫ ના રોજ જાહેર કરાયેલ પરિણામમાં ઇન્ટરવ્યુ કમિટીની તપાસ નિષ્પક્ષ એજન્સી દ્વારા કરાવવામાં આવે.

૨) ડિજીટલ ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત તમામ વિભાગના આજદિન સુધીમાં નિભાવેલા રોસ્ટર ઓનલાઈન મુકવામાં આવે જેથી બિનજરૂરી કોર્ટ કાર્યવાહી અટકાવી શકાય.

૩) ઓનલાઈન ભરતી પ્રક્રિયા: ભરતીની સમગ્ર પ્રક્રિયા (લેખિત પરીક્ષા, ઇન્ટરવ્યૂ, દસ્તાવેજ ચકાસણી, અને રોસ્ટર પોઈન્ટની ફાળવણી) ઓનલાઈન કરી, પારદર્શક અને નિષ્પક્ષ બનાવવી.

૪) તલાટી ભરતીમાં સ્નાતકની શરત દૂર કરી, ફક્ત single stage OMR પદ્ધતિ અપનાવી અભ્યાસક્રમ વર્ગ-૩ ની જગ્યાઓની ભરતીને સુસંગત કરવામાં આવે.

૫) વિદ્યાસહાયક ભરતીમાં અનામતની ટકાવારી પ્રમાણે બેઠકોની ફાળવણી કરવામાં આવે.

૬) પોલીસ ભરતીમાં શારીરિક કસોટીના ગુણ ધ્યાનમાં લેવામાં આવે

૭) CCE પરીક્ષામાં અન્યાયકારી normalisation પ્રક્રિયા દૂર કરીને ઝડપી પરીક્ષા લઈને અસરકાર ગુણાંક પદ્ધતિ અમલમાં મૂકવામાં આવે.

૮) મહિલા અનામતનું પાલન કરવામાં આવે

એડવોકેટ સુબોધ કુમુદ સાથે અન્યાય પ્રતિકાર મંચના અન્ય જાગૃત નાગરિકોએ મુખ્યમંત્રી સમક્ષ કરાયેલી આ રજૂઆતના અંતે જણાવ્યું છે કે, રાજ્યના વંચિત વર્ગના કલ્યાણ માટે ઉપરોક્ત તમામ બાબતોને તાત્કાલિક અસરથી ગંભીરતાથી લઈને યોગ્ય ઘટતું કરવા અસરકારક પગલાં ભરવામાં આવે એવી અમારી રજૂઆત છે.

જો તેમ છતાં રાજ્યના OBC-ST-SC વર્ગના આશાસ્પદ યુવાનોને પૂરતું પ્રતિનિધિત્વ કરવાથી વંચિત રાખવાનું ચાલુ રહેશે અને આ મુદ્દે કોઈ અસરકારક પગલાં ભરવામાં નહીં આવે તો સમગ્ર રાજ્યના આ વર્ગના લોકોનો સરકાર પરથી વિશ્વાસ ઉઠી જશે અને નકારાત્મક અસરો પેદા કરશે. જો રજૂઆત પછી પણ સરકાર આ બાબતને ગંભીરતાથી નહીં લે તો આગામી દિવસોમાં વધુ આક્રમકતાથી આ મુદ્દાઓ ઉઠાવવામાં આવશે.

આ પણ વાંચો: GPSC એસસી, એસટી, ઓબીસી એકલવ્યોના અંગૂઠા કાપે છે: મેવાણી

4.5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x