સૌરાષ્ટ્ર યુનિ. અને વિવાદ હવે જાણે એકબીજાના પર્યાય બની ગયા હોય તેવી સ્થિતિ છે. અગાઉ યુનિ.માં નોકરી કરતા પ્રોફેસરોના સગા-સંબંધીઓને અધ્યાપક બની દેવાયા હતા. ત્યારે હવે ફરી એકવાર આવું જ એક કૌભાંડ સામે આવ્યું છે, જેમાં કોઈપણ પ્રકારની જાહેરાત કે ઈન્ટરવ્યૂ વિના ત્રણ મળતિયાઓની આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સીધી ભરતી કરી દેવામાં આવી છે. ચોંકાવનારી વાત એ છે કે, આ ત્રણ પૈકી એક તો એક ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામકના ભાઈ છે.
સગા-સંબંધીઓની સીધી ભરતી કરી દેવામાં આવી
તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જુદા-જુદા ભવનમાં વધુ 3 આસિસ્ટન્ટ પ્રોફેસરની કોન્ટ્રાક્ટ આધારિત ભરતી કરી છે. પરંતુ આ ભરતી કરવા માટે કોઇપણ પ્રકારની જાહેરાત આપવામાં આવી નથી, કોઈ પણ પ્રકારનો ઈન્ટરવ્યૂ લેવાયો નથી અને ત્રણેય ઉમેદવારોને સીધા જ ઓર્ડર આપી દેવાયા છે. અગાઉ પણ ઉચ્ચ શિક્ષણના મંદિર ગણાતા કેમ્પસમાં પારદર્શિતાના બદલે પરિવારવાદનો માહોલ સર્જાયો હતો અને જુદા-જુદા ભવનોમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીમાં કોઈએ પોતાની પત્ની, કોઈએ પુત્ર તો કોઈએ પુત્રીને કે કુટુંબીઓની ગોઠવણ કરી દીધી હતી. એ વખતે જાહેરાત આપવામાં આવી હતી, ઈન્ટરવ્યૂ ગોઠવાયા હતા, સિલેક્શન થયું હતું પરંતુ છેલ્લે યુનિ.માં નોકરી કરતા પ્રોફેસરોના પરિવારના સભ્યોને જ ઓર્ડર અપાયા હતા.

આ પણ વાંચો: યુનિ.ના દલિત પ્રોફેસરો સાથે ભેદભાવ થતા સામૂહિક રાજીનામું આપશે?
નિયમ શું કહે છે?
સામાન્ય નિયમ મુજબ, ફરજનો કોન્ટ્રાક્ટ પૂરો થઇ ગયો હોય તો પણ નવેસરથી પ્રક્રિયા કરવી પડે. નિષ્ણાતો જણાવે છે કે, કોઇપણ યુનિવર્સિટીમાં જો કોઈ કરાર આધારિત પ્રોફેસરનો 11 માસનો કોન્ટ્રાક્ટ પૂરો થવામાં હોય તો પૂરો થયા પહેલા તેને રીન્યૂ કરી શકાય છે. પરંતુ જો કોન્ટ્રાક્ટ પૂરો જ થઇ ગયો હોય તો ફરીથી તે પ્રોફેસરની નિમણૂક કરવા માટે નવેસરથી બધી પ્રક્રિયા કરવી પડે છે. જેમાં ફરીથી જાહેરાત આપવી પડે, અરજીઓ મગાવવી પડે, તેનું સ્ક્રુટીની કરવી પડે, ઈન્ટરવ્યૂ ગોઠવવા પડે, એક્સપર્ટને ઈન્ટરવ્યૂમાં બોલાવવા પડે, પછી ફાઈનલ સિલેક્શન અને ઓર્ડર આપવામાં આવે છે.

જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી
પરંતુ સૌરાષ્ટ્ર યુનિ.માં ઉચ્ચ હોદ્દા પર બેઠેલા અધિકારીઓ પોતાના અંગત લાભ માટે નિયમોને નેવે મૂકી રહ્યા છે. આ પ્રકારની ગેરકાયદેસર ભરતીઓથી લાયક અને મહેનતુ ઉમેદવારો સાથે અન્યાય થઈ રહ્યો છે. આ મામલે યુનિવર્સિટી સત્તાધીશો અને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરવામાં આવે તે જરૂરી છે, જેથી જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થઈ શકે. કારણ કે અનેક એવા ઉમેદવારો છે જેઓએ મહેનત કરીને ડિગ્રી પ્રાપ્ત કરી છે અને ભરતીની રાહ જોઈ રહ્યા છે પરંતુ તેઓ ભરતીમાં ભાગ લઇ શકે તે પહેલા જ યુનિવર્સિટીમાં બારોબાર માનીતાઓની ભરતી કરી દેવાય છે.
આ પણ વાંચો: એક દલિત પ્રોફેસર 20 વર્ષથી હક માટે યુનિ. સામે લડી રહ્યાં છે
યુનિ.ના કુલપતિએ શું કહ્યું?
આ મામલે સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ ડો.ઉત્પલ જોષીને સવાલ કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, ભરતીમાં જુદી-જુદી રીતે પ્રક્રિયા કરવાની હોય છે. સરકારની ગ્રાન્ટમાંથી ભરતી કરવાની હોય તો તેમાં પહેલા સરકારની મંજૂરી લેવાની હોય છે, તેની જાહેરાત, ઈન્ટરવ્યૂ સહિતની પ્રક્રિયા કરવાની હોય છે. પરંતુ કેટલાક સેલ્ફ ફાયનાન્સ કોર્સ હોય જેમાં સ્વભંડોળમાંથી ભરતી કરવાની હોય તેમાં પણ પ્રક્રિયા તો કરવાની જ હોય છે પરંતુ ક્યારેક ઉમેદવારનો ક્રેડિટ રિપોર્ટ, ઉમેદવારનું અધ્યાપનકાર્ય, ભવનના વડાની ભલામણ પણ ધ્યાનમાં લેવાતી હોય છે. બીજુ કે યુનિવર્સિટીમાં અનેક બાબતો ચાલતી હોય છે દરેક ધ્યાનમાં હોય એવું ન પણ બને. આ બાબતમાં શું થયું છે તે હાલ જાણમાં નથી.
આ ત્રણ આસિસ્ટન્ટ પ્રોફેસરોને સીધા ઓર્ડર આપી દેવાયા
ભાવિક કંટેસરિયા – MPED વિભાગ
ભાવેશ વી. રાબા – MPED વિભાગ
પલક સખીયા – MBA વિભાગ
આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિ.ના પ્રોફેસર સામે મહિલા આયોગમાં ફરિયાદ થઈ











*નકલી તેમજ ફર્જી ડીગ્રીઓનાં કારણે સાચા શિક્ષણનો
આત્મા ખતમ થઈ ગયો છે, ભારતમાં અંગ્રેજોની
“!લગામ”! 💯% પ્રામાણિક હતી, જે આજનાં લોકોમાં
કુતુહલ પેદા કરે છે કે વિદેશી અંગ્રેજોએ લોકોને કેવી રીતે અંકુશમાં રાખ્યાં હશે? શા માટે આજની સરકારો લોકતાંત્રિક દેશમાં નિષ્ફળ જાય છે?