સુરત મહાનગરપાલિકાએ શહેરમાં સામાજિક સમાનતા લાવવા અને લોકોમાં ઘર કરી ગયેલી વર્ષો જૂની જાતિવાદી માનસિકતાને દૂર કરવા માટે એક મહત્વનું પગલું લીધું છે. મળતી માહિતી મુજબ, શુક્રવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારો અને મહોલ્લાઓના જાતિસૂચક (Casteism)નામો બદલવાની તાકીદની દરખાસ્તને શાસકો દ્વારા સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. આ નિર્ણયથી દાયકાઓથી ચાલતી અમુક ચોક્કસ જ્ઞાતિ આધારિત ઓળખ હવે ભૂંસાશે અને શહેર નવી આધુનિક ઓળખ તરફ આગળ વધશે.
9 ઝોનમાં આવેલી 75 શેરી, મહોલ્લાના નામ બદલાશે
મહાનગરપાલિકાની સામાન્ય સભામાં દરખાસ્ત રજૂ થતા એસસી, એસટી સમાજના કોર્પોરેટરોએ તેને ઉમળકાભેર વધાવી લીધી હતી. સભ્યોએ જણાવ્યું કે, આ માત્ર નામ બદલવાની પ્રક્રિયા નથી, પરંતુ વંચિત સમાજને મુખ્ય પ્રવાહમાં લાવવા અને તેમના આત્મસન્માનને જાળવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે. હવે શહેરના તમામ 9 ઝોનમાં આવેલી 75 શેરીઓ, મહોલ્લાઓ અને ગલીઓને નવા સન્માનજનક નામ આપવામાં આવશે.

આ પણ વાંચો: ‘મારા પિરિયડ્સ ચાલુ છે, રજા આપો’ સુપરવાઇઝરે કહ્યું, ‘કપડાં ઉતારો!’
સુપ્રીમ કોર્ટ, માનવ અધિકાર પંચની માર્ગદર્શિકા મુજબ કાર્યવાહી
આ નિર્ણય પાછળ મુખ્ય કારણો છે: રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC)ની માર્ગદર્શિકા. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયનો પરિપત્ર. સુપ્રીમ કોર્ટ અને વિવિધ સરકારી વિભાગોએ અગાઉ સ્પષ્ટ કર્યું છે કે દલિત, હરિજન અથવા અન્ય જાતિસૂચક (Casteism)શબ્દોનો પ્રયોગ ટાળવો જોઈએ, કારણ કે તે ચોક્કસ વર્ગના આત્મસન્માનને ઠેસ પહોંચાડે છે. આમ બંધારણીય મૂલ્યો જાળવવા માટે આ ફેરફાર અનિવાર્ય બન્યો હતો.

સર્વે બાદ 75 વિસ્તારોની યાદી તૈયાર કરવામાં આવી
સામાજિક સંગઠનોની લાંબા સમયથી ચાલી રહેલી રજૂઆતો બાદ પાલિકાના આકારણી અને વસૂલાત વિભાગ દ્વારા સઘન સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. સર્વે મુજબ સુરત મનપાના તમામ 9 ઝોનમાં કુલ 75 જેટલી એવી શેરીઓ, નગરો અને ગલીઓ ઓળખવામાં આવી હતી, જેના નામમાં જ્ઞાતિનો ઉલ્લેખ હતો. આ યાદીના આધારે હવે સત્તાવાર રીતે નામ બદલવાની પ્રક્રિયા શરૂ થશે. જાતિસૂચક (Casteism)નામોની જગ્યાએ હવે આ વિસ્તારોના નામ મહાનુભાવો અને ક્રાંતિકારીઓ તથા સામાજિક રીતે પ્રતિષ્ઠિત વ્યક્તિઓના નામ પરથી રાખવામાં આવશે.
સ્થાનિક કોર્પોરેટરો પાસેથી સૂચનો મગાવવામાં આવ્યા
આ માટે સ્થાનિક કોર્પોરેટરો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા અને તેમના દ્વારા સૂચવાયેલા નામોને પ્રાધાન્ય આપી નવા નામો નક્કી કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં તમામ રેકોર્ડમાં નામ બદલવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
આ પણ વાંચો: કથિત સર્વણોની સોસાયટીમાં એક દલિતે પોતાના ઘરનું નામ ‘સંવિધાન’ રાખ્યું!









