RSS અને ભાજપના નેતાઓ વારંવાર જેને માતા ગણાવી પૂજા કરવાની વાતો કરે છે, તે ગાય તંત્રની બેદરકારીનો ભોગ બનીને મોતને ભેટી છે. અમદાવાદના લાંભા વોર્ડમાં સૈજપુર-ગોપાલપુર ગામમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં ત્રણ વાછરડી અને બે ગાયો એમ કુલ 5 ગાયો ખાબકી હતી. જેમાંથી બે ગાયોના મોત થઈ ગયા હતા. જ્યારે ત્રણ વાછરડીઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી.
આ ઘટનામાં એએમસીના દક્ષિણ ઝોનના ઇજનેર વિભાગ અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. ખોદેલા ખાડામાં કોઈપણ પ્રકારનું બેરી કેડિંગ કરવામાં આવ્યું નહોતું જેના કારણે થઈ પાંચ ગાયો અંદર પડી હતી અને બે ગાયો મૃત્યુ પામી છે.

કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીથી સ્થાનિકોમાં રોષ
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ત્રણ વાછરડીઓ અને બે ગાયો એમ કુલ પાંચ પશુઓ ખાડામાં પડ્યા હતા, જેમાંથી ત્રણને બહાર કાઢી લેવામાં આવ્યાં હતાં, જે અધમુઈ જેવી બની ગઈ .છે જ્યારે બે ગાયોના ખાડામાં જ મૃત્યુ થઈ ગયા હતા. કોર્પોરેશન દ્વારા ગામમાં જ ગટરની ચેમ્બર બનાવવા માટે ખાડો ખોદવામાં આવ્યો હતો. આ ગોપાલક સમાજનું ગામ છે, ત્યારે પશુઓ પણ ત્યાં વધારે પ્રમાણમાં હોય છે, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગ અને ગટરની ચેમ્બર બનાવતા કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીના કારણે પશુઓ ખાડામાં પડ્યા હતા.
આ પણ વાંચો: ડાંગમાં આશ્રમ શાળાના ટ્રસ્ટીએ આદિવાસી સગીરા પર દુષ્કર્મ આચર્યું

એએમસીના ઈજનેરે લૂલો બચાવ કર્યો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનના ઇજનેર વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, બે ગાયો ખાડામાં પડી હતી. ગાયો ઝઘડી હતી, જેના કારણે ખાડામાં પડી ગઈ હતી અને મરી ગઈ હોવાની જાણ થઈ છે. હાલમાં આ બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ. ખાડાની આસપાસ બેરીકેડિંગ કર્યું હતું. જો કે, ઘટના બની એ પછી પણ ખાડાની આજુબાજુ ક્યાંય બેરિકેડિંગ દેખાતું નહોતું, તેમ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીએ પણ બેરિકેડિંગ કર્યું હોવાનો બચાવ કર્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદના વટવામાં દબાણો હટાવાતા સેંકડો ગરીબો ઘરવિહોણાં થયા
મેયર સહિતના ભાજપના નેતાઓ લાંભામાં હતા અને ઘટના બની
ઉલ્લેખનીય છે કે, આજે અમદાવાદ શહેરના લાંભા વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાંભા ગામ ખાતે તળાવ ગાર્ડનનું મેયર અને ધારાસભ્યની હાજરીમાં લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. લાંભામાં પાર્ટી પ્લોટ, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને સ્ટ્રીટ લાઈટના પોલના ખાતમુહૂર્તમાં ભાજપના નેતાઓ આવ્યા હતા, ત્યારે જ આ ઘટના બની હતી. આ વિસ્તારમાં ગંભીર બેદરકારી જોવા મળી છે, ત્યારે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી થશે કે કેમ તેને લઈને સવાલ છે. જો કે, સ્થાનિકોનું માનવું છે કે, અહીં માણસ મરી જાય તો પણ જવાબદાર અધિકારીઓ કે તંત્રને કશું થતું નથી. ત્યારે પશુઓના કેસમાં શું થશે?
આ પણ વાંચો: મેઘાણીનગરમાં AMC સામે પડી દલિતોએ ડો.આંબેડકરનું સ્ટેચ્યૂ મૂક્યું












ખાડા માં પડી ગયેલી ગાયો માંથી મરી ગયેલ ગાયો ને ખાડા માંથી બહાર કાઢવા માટે એ લોકો ને બોલાવો જે ગાય ને પવિત્ર માતા તરીકે પૂજે છે….માને છે….અને ગાય ને રાષ્ટ્રીય પશુ ની ઓળખ આપવાની માંગ કરી રહ્યા છે