નૂહ: હરિયાણાના નૂહ જિલ્લામાં એક સગીર દલિત વિદ્યાર્થી સાથે થયેલી નિર્દયી મારામારીની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. 10 જાન્યુઆરી, 2026ના રોજ બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ દલિત સગીરે શાળાએ જવાનું બંધ કરી દીધું છે. આરોપીઓએ રસ્તામાં વિદ્યાર્થીને આંતરીને તેને ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાનું સામે આવ્યું છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, પીડિતની માતા રજ્જો બાઈએ નૂહના સદર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે તેમનો 16 વર્ષીય પુત્ર સુમિત કુમાર તેના મિત્ર સાથે જયસિંહપુર ગામથી પોતાના ઘરે મોટરસાઈકલ પર પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન મુંબઈ એક્સપ્રેસ-વે પુલ પાસે 4 થી 5 અજાણ્યા યુવકોએ તેમનો રસ્તો રોક્યો હતો અને કોઈ પણ ઉશ્કેરણી વગર હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું.

આ પણ વાંચો: સવર્ણ બોયફ્રેન્ડે કહ્યું, ‘તું દલિત છો, હું તારી સાથે લગ્ન નહીં કરું’
દલિત હોવાથી જાતિસૂચક અપશબ્દો કહ્યાં
આરોપીઓએ સુમિતના ચહેરા અને શરીર પર લાત-મૂક્કાઓથી નિર્દયી રીતે પ્રહાર કર્યા હતા. હુમલો એટલો જોરદાર હતો કે સુમિતના આગળના દાંત તૂટી ગયા હતા અને નાકમાંથી લોહી વહેવા લાગ્યું હતું. પીડિતના પરિવારે આક્ષેપ કર્યો છે કે મારામારી દરમિયાન આરોપીઓએ સુમિતની જાતિને લઈને અપમાનજનક શબ્દો કહ્યા હતા અને તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. હુમલા બાદ આરોપીઓ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા.

વીડિયો વાયરલ થતા સત્ય સામે આવ્યું
ઘટનાના દિવસે ડરી ગયેલા સુમિતે પરિવારને સંપૂર્ણ વિગત જણાવી નહોતી, પરંતુ 30 જાન્યુઆરીના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર આ મારામારીનો વીડિયો વાયરલ થયો હતો. જ્યારે પરિવારે આ વીડિયો જોયો ત્યારે તેમને ઘટનાની ગંભીરતાની જાણ થઈ. હુમલા બાદ સુમિત માનસિક રીતે એટલો ભાંગી પડ્યો છે અને ડરી ગયો છે કે તેણે હવે શાળાએ જવાનું પણ બંધ કરી દીધું છે.
આ પણ વાંચો: બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સામે અંધશ્રદ્ધા ફેલાવવાની ફરિયાદ!
પોલીસ કાર્યવાહીની માંગ ઉઠી
પીડિત પરિવારે પોલીસ પાસે આરોપીઓ વિરુદ્ધ અનુસૂચિત જાતિ/જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ (Atrocity Act), મારામારી, જાનથી મારી નાખવાની ધમકી અને આઈટી એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સદર પોલીસ સ્ટેશનના પ્રભારીએ જણાવ્યું હતું કે, તેમને ફરિયાદ મળી ગઈ છે અને વીડિયોના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જ તેમની ધરપકડ કરવામાં આવશે.
આ પણ વાંચો: ડાંગમાં આશ્રમ શાળાના ટ્રસ્ટીએ આદિવાસી સગીરા પર દુષ્કર્મ આચર્યું










