મેંદરડા તા.પં. કચેરીમાંથી ડૉ.આંબેડકરનું તૈલચિત્ર હટાવાતા દલિતોમાં રોષ

મેંદરડા તાલુકા પંચાયત કચેરીમાંથી ડૉ.આંબેડકરનું તૈલચિત્ર હટાવવાની ઘટના સામે આવતા દલિત સમાજમાં ભારે રોષ અને આક્રોશની લાગણી વ્યાપી ગઈ છે.
Mendarda t p office

મેંદરડા: જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકા પંચાયત કચેરીમાં વર્ષોથી સ્થાપિત ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરનું તૈલચિત્ર અચાનક દૂર કરવામાં આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાની જાણ થતાં જ દલિત સમાજના સંગઠનો અને આગેવાનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને તંત્ર સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સમાજ દ્વારા આ કૃત્યને બંધારણના ઘડવૈયા અને દલિત-શોષિતોના મસીહાનું ઘોર અપમાન ગણાવવામાં આવ્યું છે.

મામલો શું હતો?

સ્થાનિક પ્રતિનિધિઓના જણાવ્યા અનુસાર, તાલુકા પંચાયતની કચેરીમાં બાબાસાહેબનું ચિત્ર લાંબા સમયથી ગૌરવપૂર્વક લગાડવામાં આવ્યું હતું. આ ચિત્ર માત્ર એક છબી નહીં, પરંતુ દેશના કરોડો વંચિતો, શોષિતોની આસ્થા અને સમાનતાના અધિકારનું પ્રતીક છે. કોઈપણ પૂર્વ સૂચના કે યોગ્ય કારણ વગર આ તૈલચિત્રને હટાવી દેવામાં આવતા દલિત સમાજની લાગણી દુભાઈ છે. આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે, આ કાર્યવાહી પાછળ જાતિવાદી માનસિકતા જવાબદાર છે જે બાબાસાહેબના વિચારો અને દલિતોના અસ્તિત્વને નકારવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો: આખા ગામના બ્રાહ્મણો પર એટ્રોસિટીની ફરિયાદ’ થઈ તે હકીકત છે?

ડૉ.આંબેડકરનું તૈલચિત્ર ફરી લગાવવા માંગ

દલિત સમાજના અગ્રણીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, “આ કોઈ સામાન્ય વહીવટી પ્રક્રિયા નથી, પરંતુ જાણીજોઈને કરવામાં આવેલું અપમાન છે.” તેમણે માગણી કરી છે કે, જે અધિકારી કે કર્મચારીએ આ તૈલચિત્ર હટાવવાનો આદેશ આપ્યો છે અથવા હટાવ્યું છે, તેમના વિરુદ્ધ તાત્કાલિક કાયદેસરની તપાસ કરી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે. ડૉ. બાબાસાહેબ આંબેડકરના તૈલચિત્રને પૂરતા સન્માન સાથે જે-તે સ્થાને પુનઃસ્થાપિત કરવામાં આવે અને વહીવટી તંત્ર આ ભૂલ બદલ જાહેર માફી માંગે.

ઘટનાના વિરોધમાં દલિત સમાજની આંદોલનની ચીમકી

આ ઘટનાને પગલે મેંદરડા અને આસપાસના વિસ્તારોમાં સ્થિતિ તંગ બની છે. દલિત સમાજના યુવાનો અને મહિલાઓએ પણ આ લડાઈમાં ઝંપલાવવાની તૈયારી બતાવી છે. જો આગામી ટૂંકા સમયમાં ચિત્રને ફરીથી સ્થાપિત કરવામાં નહીં આવે અને જવાબદારો સામે પગલાં લેવામાં નહીં આવે, તો મેંદરડા તાલુકા પંચાયત કચેરીએ ધરણાં, સૂત્રોચ્ચાર અને રેલી યોજી આખા જિલ્લામાં આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

હાલમાં સોશિયલ મીડિયા પર પણ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને ન્યાયની માંગ બુલંદ બની રહી છે. હવે જોવાનું એ રહે છે કે વહીવટી તંત્ર આ સંવેદનશીલ મુદ્દે કેવા પગલાં ભરે છે.

આ પણ વાંચો: Dr.Ambedkar શા માટે RSS પર પ્રતિબંધની તરફેણમાં હતા?

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x