‘હેપ્પી હોલી’ આ શબ્દો આમ તો કોઈને હોળીના તહેવારની શુભેચ્છાઓ આપવા માટે વપરાતા હોય છે. પરંતુ આ શબ્દોએ એક નિર્દોષ દલિત યુવકનો જીવ લઈ લીધો છે. મામલો યુપીનો છે. અહીં એક દલિત યુવકની માત્ર એટલા માટે હત્યા કરી દેવામાં આવી, કારણ કે તેણે પડોશમાં રહેતા બ્રાહ્મણ પરિવારને હેપ્પી હોલી કહીને જૂનો ઝઘડો ભૂલી જવા વિનંતી કરી હતી. જો કે, પડોશીએ જૂનો ઝઘડો ભૂલી જવાને બદલે તેના પર છરીથી જીવલેણ હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
મામલો શું હતો?
ઘટના ઉત્તર પ્રદેશનના પાટનગર લખનઉના દુબગ્ગા વિસ્તારનો છે. જ્યાં પડોશીને હેપ્પી હોલી કહેવા બદલ એક નિર્દોષ યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. દુબગ્ગાની બેગરિયા કોલોનીમાં રહેતા 21 વર્ષીય દલિત યુવક સૂરજ ગૌતમ, જે વ્યવસાયે પેઈન્ટરનું કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો, તેણે હોળીના દિવસે પડોશમાં રહેતા મોહિત તિવારીને ‘હેપ્પી હોલી’ કહીને તહેવારની શુભેચ્છા પાઠવી હતી. આ નાનકડી વાત પર જૂની અદાવતને મનમાં રાખીને મોહિત તિવારી અને તેનો પરિવાર એકાએક ભડકી ઉઠ્યો હતો.

આ પણ વાંચો: લગ્નમાં સગીર આદિવાસી દીકરી પર ગેંગરેપ, 5 આરોપીમાં 3 સગીર
વિવાદ એટલો વકર્યો કે મોહિત તિવારીએ પોતાની માતા અને બહેન શાલિની તિવારી સાથે મળીને સૂરજ પર હિંસક હુમલો કરી દીધો હતો. આ દરમિયાન તીક્ષ્ણ ચાકુ વડે સૂરજ પર ઉપરાઉપરી અંધાધૂંધ ઘા કરવામાં આવ્યા હતા, જેના કારણે તે ગંભીર રીતે લોહીલુહાણ થઈ ગયો હતો અને હોસ્પિટલ પહોંચે તે પહેલા જ ઘટનાસ્થળે તેનું કરુણ મોત નીપજ્યું હતું.
સોશિયલ મીડિયામાં ઘટનાના પડઘા પડ્યાં
આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલી અને ફફડાટ ફેલાઈ ગયો હતો. સૂરજના પરિવારજનો અને સ્થાનિક દલિત સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, જેને પગલે ગુસ્સે ભરાયેલા ટોળાએ દુબગ્ગા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીને લગભગ ત્રણ કલાક સુધી ન્યાયની ઉગ્ર માંગ સાથે ધરણા કર્યા હતા. સ્થિતિ વણસતી જોઈને પોલીસ પ્રશાસન દ્વારા નાકા, કાકોરી અને પારા સહિતના પડોશી પોલીસ સ્ટેશનોમાંથી વધારાનો પોલીસ કાફલો બોલાવવાની ફરજ પડી હતી.
હેપ્પી હોળીના બહાને જૂની અદાવતની દાઝ કાઢી
પોલીસે આ મામલે ત્વરિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની ગંભીરતાને જોતા લખનઉ પોલીસે મુખ્ય આરોપી મોહિત તિવારી, તેની બહેન શાલિની અને તેમની માતા વિરુદ્ધ હત્યાની કલમ ૩૦૨ હેઠળ ગુનો નોંધી ત્રણેયની અટકાયત કરી લીધી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ હત્યા પાછળ લાંબા સમયથી ચાલી આવતી જૂની અદાવત મુખ્ય કારણ હતું અને ‘હેપ્પી હોલી’ બોલવું એ માત્ર હુમલો કરવા માટેનું એક બહાનું બન્યું હતું. પોલીસે ઘટનાસ્થળેથી હત્યામાં વપરાયેલું લોહીલુહાણ ચાકુ પણ કબજે કર્યું છે અને તેને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યું છે. પોલીસ કમિશનરેટના જણાવ્યા અનુસાર, આરોપીઓ વિરુદ્ધ એસસી-એસટી એક્ટ (SC/ST Act) હેઠળ પણ કડક કલમો ઉમેરવામાં આવી છે જેથી પીડિત પરિવારને ન્યાય મળી શકે.

“Dalit killed for saying Happy Holi.”🚨
Brahmin Mohit Tiwari and his members mercilessly killed Dalit youth Suraj Gautam in Lucknow after he wished “Happy Holi.”
Why is BJP govt and media silent?⚠️
Where is the bulldozer now, Yogi ji? Or it’s only meant for Dalits and Muslims? pic.twitter.com/tGcH01mXQ7
— Suraj Kumar Bauddh (@SurajKrBauddh) March 9, 2026
આ પણ વાંચો: બિહારના કુશેશ્વરસ્થાનમાં દલિતવાસ પર હુમલો, 250 લોકો ફરિયાદ
મૃતક પરિવારમાં એકમાત્ર કમાનાર હતો
મૃતક સૂરજ ગૌતમ તેના પરિવારનો એકમાત્ર કમાતો સભ્ય હતો, જેના અકાળે અવસાનથી તેના માતા-પિતા અને ભાઈ-બહેનો પર આભ તૂટી પડ્યું છે. પરિવારજનોની માંગ છે કે આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને આરોપીઓને ફાંસીની સજા થાય. હાલમાં વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પીએસી (PAC) અને પોલીસ બંદોબસ્ત સખત કરી દેવામાં આવ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને સ્થાનિકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. તહેવારના દિવસે બનેલી આ જ્ઞાતિવાદી માનસિકતા અને હિંસાની ઘટનાએ સમગ્ર લખનઉ શહેર સહિત સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા જગાવી છે.
આ પણ વાંચો: તાલાલાના જૂથળના દલિત આગેવાનનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો!











