પાટણ: ઐતિહાસિક નગરી પાટણમાં ભારતરત્ન ડૉ. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 135મી જન્મજયંતિની અભૂતપૂર્વ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. પાટણની અનુસૂચિત સમાજની સૌથી મોટી સોસાયટીઓમાં સ્થાન ધરાવતી રાજનગર સોસાયટી દ્વારા આ નિમિત્તે એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે શહેરના આકર્ષણનું કેન્દ્ર બની હતી.
સોસાયટીના પ્રમુખશ્રી દેવાભાઈ દાનાભાઈ પરમાર અને મંત્રીશ્રી વિનોદભાઈ રણછોડભાઈ રાઠોડના કુશળ સંચાલન હેઠળ આ રેલીનો પ્રારંભ થયો હતો. ડી.જે.ના તાલ અને ભીમ ગીતોના સૂરે વડીલોથી માંડીને નાના ભૂલકાઓ સહિતના સૌ કોઈ ઉત્સાહભેર રેલીમાં જોડાયા હતા. રેલીમાં સામેલ લોકો માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી, જેમાં નાના બાળકો અને વડીલો માટે ઉંટ લારી તથા ગરમીને ધ્યાને રાખી ઠંડી છાશની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વ્યવસ્થાને કારણે રેલીમાં જોડાયેલા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: ધ્રાંગધ્રામાં AAP પ્રમુખ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ
રાજનગર સોસાયટીથી શરૂ થયેલી આ રેલી ચામુંડા માલ ચાર રસ્તા થઈને સુભાષ ચોક પહોંચી હતી. ત્યાંથી રેલી શહેરના મધ્યમાં આવેલા બગવાડા દરવાજા ખાતે પહોંચી હતી. બગવાડા દરવાજા પાસે પ્રસ્થાપિત ડૉ. બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની ભવ્ય પ્રતિમા પર સોસાયટીના અગ્રણીઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ફૂલહાર અને જય ભીમના નારાઓથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ બની ગયું હતું.
આ પણ વાંચો: બોટાદના સમતા બુદ્ધ વિહારમાં ચૈત્ર પૂર્ણિમા ઉત્સવ ઉજવાયો
આ ઉજવણીની સૌથી નોંધપાત્ર બાબત એ હતી કે રાજનગર સોસાયટીની પડોશમાં આવેલી પદ્મકુટિર સોસાયટીના સભ્યો પણ આ રેલીમાં જોડાયા હતા. પદ્મકુટિર સોસાયટીના રહીશોના સહકારથી અનુસૂચિત સમાજની અપ્રતિમ એકતાનું પ્રદર્શન થયું હતું. સોસાયટીના તમામ રહીશોના પૂર્ણ સહયોગને કારણે આ રેલી એક વિશાળ ‘જનસાગર’માં પરિવર્તિત થઈ હતી, જે પાટણના ઇતિહાસમાં યાદગાર બની ગઈ છે.

કાર્યક્રમના અંતે રાજનગર સોસાયટીના પ્રમુખશ્રી દેવાભાઈ દાનાભાઈ (ચારુપ) અને મંત્રીશ્રી વિનોદભાઈ રાઠોડ દ્વારા પદ્મકુટિર સોસાયટીના રહીશો તેમજ કાર્યક્રમને સફળ બનાવનાર તમામ કારોબારી સભ્યો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર આયોજન શિસ્તબદ્ધ અને ભવ્ય રીતે સંપન્ન થતા સમાજમાં હર્ષની લાગણી ફેલાઈ છે.
આ પણ વાંચો: તોફાની તત્વોએ ડૉ.આંબેડકરની પ્રતિમાનું મોં કાળું કરી ખંડિત કરી











