જાતિવાદ અને ગુનાખોરી માટે કુખ્યાત યુપીમાંથી દલિત અત્યાચારની એક ચોંકાવનારી ઘટના બની છે. અહીંના મુઝફ્ફરનગર જિલ્લાના ચરથાવલ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા લુહારી ખુર્દ ગામમાં પશુઓ માટે ચારો લેવા માટે જંગલમાં ગયેલી 24 વર્ષીય દલિત યુવતીને કેટલાક શખ્સોએ બંધક બનાવી, નશીલો પદાર્થ સુંઘાડીને આખી રાત તેની સાથે હેવાનિયત આચરી હતી. આ ઘટનાની જાણ થતાં જ સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નાર્થ સર્જાયો છે. પીડિતાના પરિવારની ફરિયાદના આધારે પોલીસે મુખ્ય આરોપીઓ વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની નવીનતમ અને કડક કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મામલો શું હતો?
ઘટનાની મળતી માહિતી અનુસાર, પીડિતા મોડી સાંજે પોતાના ગામ લુહારી ખુર્દ નજીક આવેલા જંગલ વિસ્તારમાં પશુઓ માટે ઘાસચારો લેવા માટે ગઈ હતી. આ દરમિયાન ત્યાં અગાઉથી જ ઘાત લગાવીને બેઠેલા મુખ્ય આરોપી ઉમર (રહેવાસી ગ્રામ દધેડૂ ખુર્દ) અને તેના ચાર અન્ય સાથીદારોએ તેને એકલી જોઈને ઘેરી લીધી હતી. પીડિતાના જણાવ્યા મુજબ, તેણે આરોપીઓ સમક્ષ છોડી દેવા માટે ઘણી આજીજી કરી હતી, પરંતુ નરાધમોએ તેનું કશું સાંભળ્યું ન હતું. આરોપીઓએ તેને બળજબરીપૂર્વક કોઈ નશીલી દવા સુંઘાડી દીધી હતી, જેના કારણે તે અર્ધવિક્ષિપ્ત અને અચેત અવસ્થામાં આવી ગઈ હતી. ત્યારબાદ તમામ આરોપીઓએ આખી રાત તેને બંધક બનાવી રાખી વારાફરતી સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.

આ પણ વાંચો: દલિત યુવકને માથાભારે શખ્સે નગ્ન કરી ટ્રેક્ટર પાછળ બાંધી ઢસડ્યો
પીડિતા જંગલ વિસ્તારમાંથી નગ્ન અવસ્થામાં મળી આવી
બીજી તરફ, મોડી રાત સુધી યુવતી ઘરે પરત ન ફરતાં ચિંતિત બનેલા પરિવારજનોએ ગ્રામજનોની મદદથી જંગલના વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી હતી. કલાકોની ભારે જહેમત બાદ વહેલી સવારે જ્યારે પરિવારના સભ્યો જંગલના અંદરના અવાવરૂ હિસ્સામાં પહોંચ્યા, ત્યારે પીડિતા ત્યાં ઝાડીઓ વચ્ચે અચેત અને નગ્ન અવસ્થામાં ફેંકાયેલી મળી આવી હતી. યુવતીને આ ગંભીર હાલતમાં જોઈને પરિવારજનો તાત્કાલિક તેને ચરથાવલ કોતવાલી પોલીસ સ્ટેશને લઈ ગયા હતા અને ગુનેગારો સામે કડક કાનૂની કાર્યવાહીની માંગ કરી હતી. પોલીસે ત્વરિત પગલાં ભરીને પીડિતાને તબીબી પરીક્ષણ (મેડિકલ ટેસ્ટ) માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલી આપી છે.
આ પણ વાંચો: ગાળમુક્ત ગામ તો બન્યું, ગાળમુક્ત સમાજ ક્યારે બનશે?
જિલ્લા પોલીસ વડાએ કાર્યવાહીના આદેશ આપ્યા
મામલાની સંવેદનશીલતાને જોતા મુઝફ્ફરનગરના વરિષ્ઠ પોલીસ સુપ્રિટેન્ડેન્ટ (SSP) સંજય કુમાર વર્માએ પોતે સમગ્ર કેસની કમાન સંભાળી લીધી છે. એસએસપીએ પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, 13 જૂનના રોજ ચરથાવલ પોલીસને પીડિતા તરફથી લેખિત ફરિયાદ મળી હતી, જેના આધારે મુખ્ય આરોપી ઉમર પુત્ર આસ મોહમ્મદ અને તેના સાથીદારો વિરૂદ્ધ ગુના નંબર 95/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતાની કલમ 70(1) સામૂહિક દુષ્કર્મ, 87 અને 123 મુજબ ગુનો નોંધી દેવાયો છે.

આરોપીઓની તાત્કાલિક ધરપકડ માટે એસઓજી (SOG), સર્વેલન્સ અને ચરથાવલ પોલીસ સ્ટેશનની સંયુક્ત ૩ વિશેષ ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા સર્વેલન્સની મદદથી આરોપીઓના મોબાઈલ લોકેશન ટ્રેસ કરવામાં આવી રહ્યા છે અને સંભવિત અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. પ્રશાસને દાવો કર્યો છે કે ટૂંક સમયમાં જ તમામ આરોપીઓને ઝડપી પાડી કોર્ટ દ્વારા કડક સજા અપાવાશે. જો કે, આ કેસમાં એટ્રોસિટીની કલમો દાખલ કરાઈ છે કે નહીં, તે અંગે પોલીસે કશું જણાવ્યું નહોતું.
આ પણ વાંચો: રાજકોટમાં બાબા બાગેશ્વરના કાર્યક્રમમાં અંધશ્રદ્ધાનું ઘોડાપૂર, સુઑમોટોની માંગ











