નવી દિલ્હી: મધ્યપ્રદેશમાં એક જ દિવસમાં બે અલગ-અલગ ઘટનાઓમાં ત્રણ લોકોના મોત થયા બાદ, આ વર્ષના પ્રથમ 188 દિવસમાં દેશભરમાં સીવર અને સેપ્ટિક ટેન્કોમાં થતા મોતોનો આંકડો 101ને પાર થઈ ગયો છે.
સફાઈ કર્મચારી આંદોલન (SKA) ના આંકડા અનુસાર, આમાંથી 12 મોત તો માત્ર રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હીમાં થયા છે. આ વર્ષે આવા મોતોની સંખ્યામાં ભયાનક રીતે વધારો થયો છે, કારણ કે ગયા વર્ષે 2025માં આખા વર્ષ દરમિયાન 121 મોત થયા હતા.

દલિત જિંદગીનું કોઈ મૂલ્ય નથી: બેઝવાડા વિલ્સન
સફાઈ કર્મચારી આંદોલનના રાષ્ટ્રીય સંયોજક બેઝવાડા વિલ્સન દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, દેશમાં દર 45 કલાકે સીવરમાં એક વ્યક્તિનું મોત થવા છતાં, નિર્લજ્જ સરકારોએ ગુનાહિત ચૂપકીદી સેવી રાખી છે. એ સ્પષ્ટ છે કે દલિતોના જીવનની સરકાર માટે કોઈ કિંમત નથી અને તેમના મોત સરકાર માટે એક સામાન્ય ઘટના છે. સીવરમાં થતા મોતો કઈ રીતે ચારેય તરફ થઈ રહ્યા છે, તેનો પુરાવો એ વાત પરથી મળે છે કે આ વર્ષે સીવર અને સેપ્ટિક ટેન્કોમાં મોતો દેશના 16 રાજ્યોમાં થયા છે.
આ પણ વાંચો: ઉના કાંડના 10 વર્ષ: દલિત આગેવાનોની બેઠક મળી, રાજ્યવ્યાપી આંદોલનની તૈયારી
એક દાયકામાં મોતની સંખ્યામાં ભયજનક વધારો
છેલ્લા દાયકામાં સીવર અને સેપ્ટિક ટેન્કોમાં થતા મોતોમાં ખતરનાક રીતે વધારો થયો છે. વર્ષ 2016માં આ સંખ્યા 39 હતી, જેમાં વર્ષ 2017માં 350 ટકાનો વધારો થયો અને તે 137 સુધી પહોંચી ગઈ.
સુપ્રિમ કોર્ટના તમામ ચુકાદાઓ અને વર્ષ 2013ના ‘મેન્યુઅલ સ્કેવેન્જર્સ તરીકે રોજગાર પર પ્રતિબંધ અને તેમનું પુનર્વસન અધિનિયમ’ પછી સરકારો પાસેથી આ દિશામાં થોડી સક્રિયતાની અપેક્ષા હતી. પરંતુ સફાઈ કર્મચારી આંદોલનના આંકડા મુજબ, નવો કાયદો બન્યા પછી પણ દેશમાં સીવર અને સેપ્ટિક ટેન્કોમાં 1726 મોત થયા છે. આમાંથી 1203 મોત તો માત્ર સાત રાજ્યો – તમિલનાડુ (332), ગુજરાત (216), દિલ્હી-એનસીઆર (157), મહારાષ્ટ્ર (155), ઉત્તર પ્રદેશ (148), હરિયાણા (104) અને બિહાર (91) માં થયા છે.

આ પણ વાંચો: MPમાં ભાજપ નેતાઓએ આદિવાસીઓની 3 લાખ એકર જમીન ખરીદી!
સરકારી યોજનાઓ અને વાસ્તવિકતા
આટલી મોટી સંખ્યા હોવા છતાં, આમાંથી એક પણ રાજ્યે આ મોતોને રોકવાની દિશામાં એક પણ પગલું ભર્યું નથી. મોદી સરકારે જુલાઈ 2023માં ‘નમસ્તે’ (નેશનલ એક્શન ફોર મેકેનાઇઝ્ડ સેનિટેશન ઇકોસિસ્ટમ) યોજના અમલમાં મૂકી હતી. આ યોજનામાં શૌચાલય નિર્માણ માટે રૂ. 349.73 કરોડની જોગવાઈ હતી. જ્યારે સ્વચ્છ ભારત યોજના હેઠળ સરકાર અગાઉ જ 12 કરોડ શૌચાલય બનાવવા પાછળ 19 હજાર કરોડ રૂપિયા ખર્ચી ચૂકી હતી. પરંતુ ન તો સફાઈ વ્યવસ્થા મિકેનાઈઝ્ડ થઈ શકી અને ન તો ડ્રાય શૌચાલય સંપૂર્ણપણે નાબૂદ થઈ શક્યા છે.
વડાપ્રધાન સફાઈકર્મીઓના પગ ધોવાનો દેખાડો બંધ કરે
અફસોસ અને વિડંબનાની વાત એ છે કે આ તમામ વર્ષોમાં મોદી સરકારના મંત્રીઓ સંસદની અંદર સતત એવું જૂઠું બોલતા આવ્યા છે કે દેશમાં મેન્યુઅલ સ્કેવેન્જિંગ (હાથેથી સફાઈ કરવા)ના કારણે કોઈ મોત થયું નથી. તેઓ જાણી જોઈને આ જુઠ્ઠાણું ફેલાવી રહ્યાં છે.
Sewer deaths cross 100 mark this year but government remains silent.
We demand our Prime Minister to immediately announce National Action Plan to stop deaths inside sewers and septic tanks pic.twitter.com/R7xcD2YROb
— Bezwada Wilson (@BezwadaWilson) July 8, 2026
સાથે જ, આનાથી એ પણ ખબર પડે છે કે તેમના માટે એ સફાઈ કર્મચારીઓના જીવનનું શું મૂલ્ય છે, જેમને આજે પણ દેશના ઘણા વિસ્તારોમાં અછૂત માનવામાં આવે છે. સફાઈ કર્મચારી આંદોલનની માંગ છે કે વડાપ્રધાન સીવર અને સેપ્ટિક ટેન્કોમાં થઈ રહેલા મોતોને તાત્કાલિક અસરથી સંપૂર્ણપણે રોકવા અંગે દેશ સમક્ષ જાહેરાત કરે.
આ પણ વાંચો: પાલિતાણામાં સિંહે ધોળા દિવસે માલધારી પર હુમલો કરતા ફફડાટ











