ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના સમઢિયાળા ગામે 11 જુલાઈ 2016 ના રોજ ગૌરક્ષાના નામે અનુસૂચિત જાતિના યુવાનો પર થયેલા અત્યાચારની ઘટનાને 10 વર્ષ પૂર્ણ થયા છે. આ ઘટનાએ સમગ્ર દેશ અને આંતરરાષ્ટ્રીય સ્તરે માનવ અધિકારો તથા સામાજિક ન્યાયના ધજાગરા ઉડાવ્યા હતા.
આ ઘટનાના 10 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે સામાજિક કાર્યકર કાંતિલાલ પરમાર દ્વારા પીડિત પરિવારોના આર્થિક-સામાજિક પુનર્વસન, કાનૂની ન્યાય અને સુરક્ષા માટે રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ 10 મુદ્દાનું આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું છે. આ રજૂઆતના પગલે અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના સંયુક્ત નિયામક દ્વારા 24 ઓગસ્ટ 2026 ના પત્રથી સંબંધિત જિલ્લા કલેક્ટરો અને નાયબ નિયામકોને નિયમાનુસાર કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.

પીડિતોનું સંપૂર્ણ પુનર્વસન અને કાનૂની લડત
આવેદનપત્રમાં રજૂ કરવામાં આવેલી મુખ્ય માંગણીઓમાં પીડિત પરિવારોના સન્માનજનક જીવન નિર્વાહ પર ભાર મૂકવામાં આવ્યો છે. Atrocity Act 1995 ના નિયમ-15 અનુસાર પીડિત પરિવારના સભ્યોને લાયકાત મુજબ સરકારી નોકરી, આજીવિકા માટે ખેતીની જમીન અને 250 ચોરસ વારનો રહેણાંક પ્લોટ આપવામાં આવે.
આ પણ વાંચો: સિદ્ધિવિનાયકમાં દર વર્ષે 18 કરોડની ચોરી થાય છેઃ રાજ ઠાકરે
મકાન બાંધકામ સહાય અને માસિક પેન્શન આપીને સન્માનજનક જીવન જીવવાની વ્યવસ્થા કરવામાં આવે. માર્ચ 17, 2025 ના રોજ સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટ, વેરાવળ દ્વારા આપવામાં આવેલા ચુકાદા સામે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવે, જેથી પીડિતોને સંપૂર્ણ ન્યાય મળે. ઊના કાંડ પછી થયેલા લોકશાહી આંદોલનો દરમિયાન દલિત નાગરિકો સામે નોંધાયેલા તમામ કેસો સમીક્ષા કરીને પરત ખેંચવામાં આવે.
સામાજિક સુરક્ષા અને બેકલોગ ભરતીની માંગ
રાજ્યમાં અત્યાચાર અટકાવવા માટેના કાયદાનો કડક અમલ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં વિલંબ, હળવી કલમો ઉમેરવી અને તપાસમાં બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે આકરી કાર્યવાહી માટે સ્ટેટ લેવલ મોનિટરિંગ કમિટીને સક્રિય કરવાની વિનંતી કરાઈ છે. આ ઉપરાંત, શિક્ષિત બેરોજગાર યુવાનો માટે SC, ST અને OBC વર્ગની બેકલોગની તમામ જગ્યાઓ વિશેષ ઝુંબેશ દ્વારા તાત્કાલિક ભરવાની માંગ કરાઈ છે. સરકારી વિભાગોમાં આઉટસોર્સિંગથી ભરતી બંધ કરી કાયમી અને સીધી ભરતી પ્રક્રિયાને પ્રાથમિકતા આપવા જણાવ્યું છે.

આ પણ વાંચો: CIC પાસે પુરતો સ્ટાફ છતાં 40,000 RTI કેસ પેન્ડિંગ
જમીન અધિકાર, શિક્ષણ અને આઉટસોર્સિંગ સામે લડત
ગંભીર અત્યાચારનો ભોગ બનેલા પરિવારોને જમીન અને રહેણાંકના અધિકારો આપવાની બાબત પણ અગ્રતાક્રમે રજૂ કરવામાં આવી છે. જેમાં દલિતોને ફાળવાયેલી જમીનો પરથી ગેરકાયદેસર કબજા દૂર કરી વાસ્તવિક કબજો સોંપવામાં આવે અને રહેણાંક માટે 100 ચોરસ વારના પ્લોટ ફાળવવા વિશેષ અભિયાન ચલાવાય. દરેક ગામમાં અનુસૂચિત જાતિ માટે અલગ અને સુવિધાયુક્ત સ્મશાનભૂમિની વ્યવસ્થા કરવામાં આવે.
ગરીબ અને વંચિત બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે બંધ કરાયેલી સરકારી શાળાઓનું મૂલ્યાંકન કરી તેને ફરી શરૂ કરાય. આઉટસોર્સિંગ પ્રથા પર શ્વેતપત્ર જાહેર થાય અને હાથથી ગંદકી ઉપાડવાની તેમજ ગટરમાં ઉતારવાની જોખમી પ્રથા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે. વિદ્યાર્થીઓ માટે જાતિ-આવકના પ્રમાણપત્રો અને શિષ્યવૃત્તિ મેળવવાની ઓનલાઈન-ઓફલાઈન પ્રક્રિયા સરળ બનાવી સમયમર્યાદામાં પૂરી કરવામાં આવે.
આ પણ વાંચો: દલિત યુવકને માર મારી ડૉ. આંબેડકર વિરૂદ્ધ અપશબ્દો બોલાવ્યા
કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવા માંગણી
સામાજિક કાર્યકર્તા કાંતિલાલ પરમારે ભારપૂર્વક જણાવ્યું છે કે, ઊના કાંડ એ માત્ર એક સામાન્ય ગુનાહિત ઘટના નહોતી, પરંતુ તે ગુજરાતના સામાજિક ઢાંચા, બંધારણીય મૂલ્યો અને માનવ ગૌરવની કસોટી હતી. આ 10 માંગણીઓ અંગે માત્ર પોલીસ સ્ટેશન કક્ષાએથી અહેવાલો મંગાવવાને બદલે મુખ્યમંત્રી અને રાજ્ય કેબિનેટ કક્ષાએ તાત્કાલિક સૈદ્ધાંતિક નિર્ણય લઈ ગૃહ અને કાયદા વિભાગ દ્વારા સંયુક્ત આદેશ બહાર પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ઉનાકાંડના દોષિતોને ગુજરાત સરકાર સજા અપાવેઃ માયાવતી











