સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં BSP એ નવી આશા જન્માવી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના આજે આવેલા પરિણામોમાં BSP ના અનેક ઉમેદવારોએ પોતાના દમ પર જીતીને બહુજન રાજનીતિને એક નવી દિશા ચીંધી છે.
bsp

ગુજરાતમાં આજે આવેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામો બહુજન સમાજ માટે નવી આશાનો સંચાર કરનારા બની રહ્યાં છે. ગુજરાતનો બહુજન સમાજ છેલ્લાં કેટલાય વર્ષોથી જે પ્રકારના પરિણામની આશા રાખતો હતો તે દિશામાં આ ચૂંટણીમાં ધીમી પણ મક્કમ ગતિએ સફળતા મળતી દેખાઈ છે.

વાત થઈ રહી છે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં બહુજન સમાજ પાર્ટીના પ્રદર્શનની. જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણીના આજે આવેલા પરિણામોમાં અપેક્ષા મુજબ ભલે ભાજપે મેદાન માર્યું હોય, પરંતુ સૌથી ધ્યાન ખેંચે તેવી બાબત બીએસપીના પ્રદર્શનની રહી છે. બીએસપી અલગ અલગ નગરપાલિકાઓમાં કુલ 19 સીટો જીતીને સૌ કોઈને ચોંકાવી દીધાં છે. ખાસ કરીને જૂનાગઢ જિલ્લાની માંગરોળ નગરપાલિકા અને અમદાવાદ જિલ્લાની બાવળા નગરપાલિકામાં બીએસપી કિંગમેકરની ભૂમિકામાં આવી ગઈ છે.

જૂનાગઢ જિલ્લાની માંગરોળ નગરપાલિકામાં ટાઈ થઈ છે. અહીં ભાજપ અને કૉંગ્રેસને 15-15 બેઠકો મળી છે. અહીં બહુજન સમાજ પાર્ટીએ 4 બેઠકો પર જીત મેળવી છે. એ સ્થિતિમાં બસપાના ઉમેદવારો જેની સાથે જશે તેમની પાલિકામાં સત્તા આવશે.

કંઈક આવી જ સ્થિતિ અમદાવાદ જિલ્લાની બાવળા નગરપાલિકામાં જોવા મળી છે. બાવળા નગરપાલિકાની ચૂંટણીમાં 28 બેઠકમાંથી ભાજપને 14 બેઠકો પર જીતનો સ્વાદ ચાખવા મળ્યો છે, જ્યારે કોંગ્રેસે 13 બેઠકો પર કબજો જમાવ્યો છે. બહુમતી માટે 15 બેઠકો જીતવી જરૂરી છે પરંતુ બંનેમાંથી એકપણ પક્ષને બહુમતી પ્રાપ્ત થઇ નથી. ત્યારે બસપા કિંગ મેકર બની શકે છે. બાવળા નગરપાલિકાની ચૂંટણીની વાત કરવામાં આવે તો 7 વોર્ડમાં 28 બેઠકો પર ચૂંટણી યોજાઇ હતી અને જેમાં 78 ઉમેદવારો મેદાને ઉતર્યા હતા. જેમાં ભાજપે 14 બેઠકો, કોંગ્રેસે 13 અને બસપાએ 1 બેઠક પર જીત મેળવી છે. નગરપાલિકામાં સત્તા પર આરૂઢ થવા માટે 28 માંથી 15 બેઠકો જીતવી જરૂરી છે. ત્યારે બાવળમાં એકપક્ષને બહુમત પ્રાપ્ત થયો નથી. ત્યારે બાવળા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 7માં જીત પ્રાપ્ત કરનાર કાળુભાઇ ચૌહાણ કિંગ મેકર સાબિત થઇ શકે છે. કારણ ભાજપે 14 બેઠકો પર વિજય મેળવ્યો છે. ત્યારે બસપાના કાળુભાઇ ચૌહાણ ભાજપમાં જોડાઇ જાય તો ભાજપની 15 બેઠકો થઇ જાય અને બહુમતી મળતાં ભાજપ બાવળા નગરપાલિકા પર કબજો કરી શકે છે.

આ પણ વાંચો:  વાદળી રંગ કેવી રીતે દલિત આંદોલન-દલિત રાજનીતિનું પ્રતિક બન્યો?

તો બીજી તરફ 13 બેઠકો પર જીત હાંસલ કરી છે. ત્યારે બસપાના કાળુભાઇ જો કોંગ્રેસમાં જોડાઇ જાય છે તો કોંગ્રેસની 14 બેઠક થઇ જાય તો બંને પક્ષો વચ્ચે ટાઇની સ્થિતિ સર્જાઇ શકે છે. આવા સંજોગોમાં કોઈને પણ સ્પષ્ટ બહુમતી ના મળી કહેવાય. ત્યારે હવે બધાની નજર બીએસપી ના ઉમેદવાર કાળુભાઈ ચૌહાણ પર ટકેલી છે કે તે કોની સાથે જોડાશે. કાળુભાઇ કોંગ્રેસનો હાથ પકડશે કે પછી કમળનો સાથ આપશે એ તો આગામી સમય જ બતાવશે.

ગુજરાતની અન્ય નગરપાલિકામાં બીએસપીના પ્રદર્શનની વાત કરીએ તો માંગરોળમાં 4, સુરેન્દ્રનગરના થાનગઢમાં 3, વાંકાનેરમાં 1, બાવળામાં 1, ખેડામાં 7, છોટાઉદેપુરમાં 2 અને બાલાસિનોરમાં 1 સીટ જીતી છે.

આટલી મોટી ચૂંટણીમાં આ આંકડાઓ ભલે થોડા નાના લાગે પરંતુ બહુજન સમાજ પાર્ટીની ખોવાયેલી વોટબેંક તેની તરફ પાછી ફરી રહી હોવાનું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. ખાસ કરીને ગુજરાતના બહુજન યુવાનોમાં માન્યવર કાંશીરામ સાહેબના આદર્શો અને ડો.આંબેડકરના વિચારોના થઈ રહેલા પ્રચાર-પ્રસારની અસર થઈ રહી હોવાનું આ પરિણામો બચાવે છે.

રાજકોટના ડો. ભાવિન પરમાર આ પરિણામોને લઈને એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવે છે કે, કોઈપણ મોટા સ્થાનિક ચેહરા કે મોટા નેતા વિના, કોઈપણ કરોડોની રોકડ કે લોભ-લાલચ વિના, કોઈપણ સ્ટાર પ્રચારકો વિના, ભાજપ,કોંગ્રેસ અને આપ જેવા પક્ષોની સામ,દામ,દંડ,ભેદની નીતિઓ અને મોટા ગજાના નેતાઓ સામે લડીને ડો. બાબાસાહેબ અને માન્યવર કાંશીરામ સાહેબના મિશનને વરેલા વાહકોના લીધે BSP ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં 19 સીટો જીતી છે. તો વિચારો, ભાજપ,કોંગ્રેસ અને આપમાં રહેલા દલિતો બાબાસાહેબ અને માન્યવર કાંશીરામસાહેબના મિશનને વફાદાર રહે તો કેવી પરિસ્થિતિ પેદા થાય?

સવર્ણ પાર્ટીના નેતાઓ હવે પાંચ કિલો અનાજ કે ચવાણાના પેકેટમાં દલિતોના મતો ખરીદીને પોતે સત્તા ભોગવે એ જમાનો જઈ રહ્યો છે. હવે દલિતો ખુદ સત્તામાં આવવા થનગની રહ્યાં છે અને તેની આ શરૂઆત હોય તેમ લાગે છે.

આ પણ વાંચો: દિલ્હીમાં ૨૭ વર્ષ પછી સરકારમાં કોઈ મુસ્લિમ મંત્રી નહીં હોય

3.8 4 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x