ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે કોંગી ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સરકારને રાજ્યના વિધાનસભા, સચિવાલય, મુખ્યમંત્રી કાર્યાલય સહિતની સરકારી કચેરીઓમાં કાર્યરત કર્મચારીઓને જ લઘુતમ વેતન ધોરણ અપાતું ન હોવાનો આક્ષેપ કર્યો હતો.
વિધાનસભામાં આજે શ્રમ અને રોજગાર વિભાગની માંગણીઓ પરની ચર્ચા દરમિયાન જિગ્નેશ મેવાણીએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. જેમાં મેવાણીએ આજે લઘુતમ વેતન ધોરણના મામલે સરકાર પર પ્રહારો કર્યા હતા. મેવાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના વિધાનસભા સંકુલ, સચિવાલય પરિસર, મુખ્યમંત્રી કાર્યાલય, સદસ્ય નિવાસ (એમએલએ ક્વાટર્સ), મામલતદાર કચેરી, સર્કિટ હાઉસ, માર્ગ અને મકાન વિભાગ, મહેસૂલ વિભાગ સહિતની કચેરીઓમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતાં કર્મચારીઓને લઘુતમ વેતન ધોરણ મળતું નથી.
આ પણ વાંચો: ગાંધીજી સાવરકરને મળવા પહોંચ્યાં ત્યારે તેઓ ઝીંગા તળી રહ્યા હતા..
સરકારી કચેરીઓમાં જ આવા કર્મચારીઓને લઘુતમ વેતન ન આપીને તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે રાજ્યના અન્ય ખાનગી ઉદ્યોગ ગૃહો અને અન્ય એકમોમાં કર્મચારીઓની શું હાલત હશે તે વિચારવું રહ્યું.
મેવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજયમાં શેરડી ખેત મજૂરોને સરકાર દ્વારા નક્કી કરાયેલા દૈનિક રૂ. 476/ના બદલે રૂ. 375/ની રકમ ચૂકવવામાં આવે છે. રાજ્યના અંદાજિત બે લાખ જેટલા શેરડી ખેત કામદારોને પ્રતિદિન રૂ. 101/ ની રકમ લેખે પાંચ મહિનામાં તેમના પગારમાં અંદાજિત રૂ. 550 કરોડ જેવી માતબર રકમ ઓછી ચૂકવીને શેરડી ખેત મજૂરોનું શોષણ થઈ રહ્યું હોવાનો આક્ષેપ પણ જિગ્નેશ મેવાણીએ કર્યો હતો.
આ પણ વાંચો: ગૃહ રાજ્યમંત્રી-ભાજપ પ્રમુખના વિસ્તારમાં જ ગુનેગારો બેફામ