ધમતરી: છત્તીસગઢના ધમતરી જિલ્લામાં સોમવારે કલેક્ટર કચેરી માર્ગ પર આદિવાસી સમાજ દ્વારા એક વિશાળ જન-આંદોલન છેડવામાં આવ્યું છે. ‘કિસાન સંઘર્ષ સમિતિ’ તેમજ ‘જળ-જંગલ-જમીન સંઘર્ષ સમિતિ’ના બેનર હેઠળ આશરે 45 ગામોના હજારો આદિવાસી ખેડૂતો અને ગ્રામજનો ધમતરી કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવા માટે ઉતરી પડ્યા છે.
આંદોલનકારીઓનું કહેવું છે કે આઝાદીના 75 વર્ષ બાદ પણ તેમના ગામો વિકાસની મુખ્ય ધારાથી જોજનો દૂર છે. ગ્રામજનો પોતાની સાથે લાંબા સમયનું રાશન અને રાંધવા માટેની સામગ્રી લઈને પહોંચ્યા છે. તેમણે સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી તેમની પાયાની માંગણીઓ પર વહીવટીતંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે, ત્યાં સુધી તેઓ અનિશ્ચિતકાળ માટે કલેક્ટર કચેરીની બહાર જ ધરણા પર બેસી રહેશે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો
આદિવાસીઓના આ આંદોલનની વ્યાપકતા અને ગંભીરતાને ધ્યાનમાં રાખીને ધમતરી જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર જોવા મળ્યું હતું. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ધમતરી ઉપરાંત પાડોશી જિલ્લા ગરિયાબંદ અને આસપાસના વિસ્તારોમાંથી પણ વધારાની પોલીસ ફોર્સ બોલાવવામાં આવી છે. કલેક્ટર કચેરી પરિસર અને તેની આસપાસના તમામ સંવેદનશીલ માર્ગો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. પોલીસે કલેક્ટર કચેરી તરફ આગળ વધતા રસ્તાઓ પર મજબૂત બેરિકેડિંગ કરીને આદિવાસીઓના આવાગમનને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો: ‘તારા તો પગ ભાંગવાના છે!’ ખનન માફિયાઓની દલિત મહિલાને ધમકી
આઝાદીના દાયકાઓ બાદ પણ ગામડાઓ સુવિધા વિહોણા
ધરણા પર બેઠેલા પ્રદર્શનકારીઓમાં મોટી સંખ્યામાં મહિલાઓ, પુરુષો, વડીલો અને યુવાનો સામેલ છે, જેઓ પોતાના હાથમાં બંધારણના ઘડવૈયા ડૉ.આંબેડકરની તસવીરો પકડીને બંધારણીય હકોની માંગ કરી રહ્યા છે. ઘણા ગામડાઓમાંથી આદિવાસીઓ સવારથી જ કલાકો સુધી કેટલાય કિલોમીટર પગપાળા ચાલીને ધમતરી પહોંચ્યા છે. ભૂતપૂર્વ જિલ્લા પંચાયત સભ્ય મનોજ સાક્ષીએ આ મુદ્દે તંત્રને ઘેરતા જણાવ્યું હતું કે, એક તરફ દેશ ચંદ્ર પર પહોંચવાની અને વિકસિત ભારતની વાતો કરે છે, જ્યારે બીજી તરફ વનાંચલ (જંગલ) વિસ્તારના ગરીબ લોકોએ આજે પણ સામાન્ય વિકાસ માટે રસ્તા પર ઉતરવું પડે છે. સરકારના વિકાસના દાવાઓ ખોટા સાબિત થઈ રહ્યા છે, જો ક્ષેત્રમાં વાસ્તવિક વિકાસ થયો હોત તો હજારો ગ્રામજનોને આ રીતે લાચાર થઈને કલેક્ટર કચેરી આવવું ન પડત.
ટાઈગર રિઝર્વ વિસ્તારના કારણે વિકાસ રુંધાયો
જળ-જંગલ-જમીન સંઘર્ષ સમિતિના સભ્ય સિર્ધન સોમે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ આંદોલનમાં સામેલ મોટાભાગના ગામો ટાઈગર રિઝર્વ ક્ષેત્રમાં આવે છે. આ ગામડાઓમાં રહેતા લોકો આઝાદી પહેલાના સમયથી અહીં વસવાટ કરે છે, છતાં તેમને રસ્તા, વીજળી, પીવાનું શુદ્ધ પાણી, આરોગ્ય કેન્દ્ર અને શિક્ષણ જેવી અત્યંત અનિવાર્ય સુવિધાઓથી પણ વંચિત રાખવામાં આવ્યા છે. જ્યારે પણ ગ્રામજનો દ્વારા વિકાસ કાર્યોની માંગ કરવામાં આવે છે, ત્યારે વન વિભાગ (ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ) કાનૂની અડચણો ઉભી કરે છે, જેના કારણે આખા ક્ષેત્રનો વિકાસ અટકી ગયો છે. ટાઈગર રિઝર્વના 40 થી વધુ ગામોની સ્થિતિ હાલમાં અત્યંત દયનીય બની ચૂકી છે.

આ પણ વાંચો: જુનિયર ક્લાર્ક પેપર કૌભાંડના મુખ્ય આરોપીને ભાજપે યુવા મોરચા પ્રમુખ બનાવ્યો
ગર્ભવતી મહિલાઓ અને શાળાના બાળકો પરેશાન
પ્રદર્શનમાં સામેલ ગૌરી નાગ સહિતની આદિવાસી મહિલાઓએ ન્યૂઝ રિપોર્ટમાં પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, જંગલ વિસ્તારમાં કોઈ સ્વાસ્થ્ય કેન્દ્ર ન હોવાથી નાની-મોટી બીમારીઓના ઈલાજ માટે પણ માઇલો દૂર જવું પડે છે. સ્વાસ્થ્ય સુવિધાઓના અભાવે ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ અને નવજાત શિશુઓને ભારે જોખમનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત, ગામડાઓમાં પાકા રસ્તા કે પુલ ન હોવાને કારણે શાળાએ જતા માસૂમ બાળકોને ચોમાસામાં કાદવ-કીચડ અને જોખમી કાચા રસ્તાઓ પરથી પસાર થવું પડે છે.
માગણીઓ પુરી ન થાય ત્યાં સુધી કલેક્ટર કચેરી સામે જ બેસશે
ગરિયાબંદ જિલ્લા પંચાયત સભ્ય સંજય નેતામે જણાવ્યું હતું કે ગ્રામજનોના બંધારણીય અધિકારોનું સરેઆમ હનન થઈ રહ્યું છે. આદિવાસીઓએ સત્તાવાર જાહેરાત કરી છે કે તેઓ આ વખતે આરપારની લડાઈના મૂડમાં આવ્યા છે. વહીવટી અધિકારીઓને અનેકવાર લેખિત જ્ઞાપન પત્રો આપવા છતાં માત્ર આશ્વાસનો મળ્યા છે, જેથી આ વખતે ગામ લોકો લાંબા સમયનું રાશન સાથે લાવ્યા છે.
જો માગણીઓ પર તાત્કાલિક કોઈ ઠોસ અને લેખિત કાર્યવાહી કરવામાં નહીં આવે, તો આદિવાસીઓ કલેક્ટર કચેરીની સામે જ રસોઈ બનાવીને કાયમી ધોરણે મુકામ કરશે અને આ ઘેરાવ ચાલુ રાખશે.
આ પણ વાંચો: અમરેલીના મોટા આંકડીયામાં જમીન મુદ્દે પટેલોએ દલિતો પર હુમલો કર્યો













