દેશનો સામાન્ય માણસ એકબાજુ કારમી મોંઘવારી અને બેરોજગારીનો સામનો કરીને બેવડ વળી ગયો છે. ઘરના બે છેડાં ભેગાં કરવામાં તેને ધોળાં દિવસે તારા દેખાઈ રહ્યાં છે ત્યારે મોદી સરકારે સાંસદોના પગાર અને ભથ્થામાં વધારો કર્યો છે. આ સાથે સરકારે ભૂતપૂર્વ સાંસદોના પેન્શનમાં પણ વધારો કર્યો છે. મોટી વાત એ છે કે આ વધારો 1 એપ્રિલ, 2023 થી જ લાગુ થયેલો ગણાશે. આમ હવે સાંસદોને દર મહિને ૧,૨૪,૦૦૦ રૂપિયા પગાર મળશે, જે પહેલા ૧ લાખ હતો. આ ઉપરાંત સાંસદોનું દૈનિક ભથ્થું પણ રૂ. 2000 રૂપિયાથી વધારીને 2500 કરવામાં આવ્યું છે. પૂર્વ સાંસદોનું પેન્શન રૂ. 25 હજારથી વધારીને 31 હજાર પ્રતિ માસ કરવામાં આવ્યું છે.
આ વધારો સંસદ સભ્યોના પગાર, ભથ્થાં અને પેન્શન અધિનિયમ, ૧૯૫૪ દ્વારા આપવામાં આવેલી સત્તાઓ હેઠળ કરવામાં આવ્યો છે. જે આવકવેરા કાયદા, ૧૯૬૧ માં ઉલ્લેખિત ખર્ચ ફુગાવાના સૂચકાંક પર આધારિત છે. સરકારે પગાર વધારા સંબંધિત એક સૂચના જારી કરી છે. સંસદીય બાબતોના મંત્રાલય દ્વારા જારી કરાયેલ સૂચના અનુસાર, ખર્ચ ફુગાવાના સૂચકાંકના આધારે સંસદ સભ્યોના પગારમાં ૨૪ ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જે ૧ એપ્રિલ, ૨૦૨૩ થી અમલમાં આવશે.
દર પાંચ વર્ષે પગાર સમીક્ષા કરવામાં આવે છે
સરકારી સૂચના મુજબ, જે ભૂતપૂર્વ સાંસદો એક કરતા વધુ મુદત માટે સાંસદ રહ્યા છે તેમના વધારાના પેન્શનમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ અંતર્ગત, ભૂતપૂર્વ સાંસદોને સેવાના દરેક વર્ષ માટે વધારાના પેન્શન તરીકે રૂપિયા 2,500 માસિક પેન્શન મળશે, જે પહેલા 2,000 રૂપિયા પ્રતિ માસ હતું. પગાર અને ભથ્થામાં આ વધારો 2018 થી લાગુ કરાયેલા નિયમ હેઠળ કરવામાં આવ્યો છે, જેમાં દર પાંચ વર્ષે સાંસદોના પગાર અને ભથ્થાઓની સમીક્ષા કરવાની જોગવાઈ છે.
#Central Government has notified an increase in #MPs‘ salary, daily allowance, pension, and additional pension, effective from April 1, 2023. Salary rises from ₹1,00,000 to ₹1,24,000, daily allowance from ₹2,000 to ₹2,500, and pension from ₹25,000 to ₹31,000. pic.twitter.com/fbzU7CXiZi
— shinenewshyd (@shinenewshyd) March 24, 2025
આ સમીક્ષા ફુગાવાના દર પર આધારિત છે. તમને જણાવી દઈએ કે કર્ણાટક સરકારે મુખ્યમંત્રી, મંત્રીઓ અને ધારાસભ્યોના પગારમાં 100% વધારો મંજૂર કર્યાના થોડા દિવસો બાદ આ પગલું લેવામાં આવ્યું છે. જોકે, કર્ણાટક વિધાનસભામાં ધારાસભ્યોના પગાર અને ભથ્થામાં વધારાને લઈને ગરમાગરમ ચર્ચા થઈ હતી.
જો કે, મોંઘવારીથી પિસાતી પ્રજા આ આખા ખેલને દલા તરવાડી જેવા ઘાટ તરીકે જોઈ રહી છે. જેમાં લાભ મેળવનાર પણ નેતાઓ છે અને નિર્ણય લેનાર પણ તેઓ જ છે. નેતાઓની આ જાહોજલાલી જોઈને સામાન્ય માણસ અંદરને અંદર બળી રહ્યો છે.
આ પણ વાંચો: વિધાનસભા, સચિવાલયમાં કામદારોને લઘુતમ વેતન અપાતું નથી