સેન્સર બોર્ડ ‘Phule’ ફિલ્મના મૂળ હેતુને મારી નાખવા માંગે છે?

Phule Movie Controversy: 'ફૂલે' ફિલ્મ 11 એપ્રિલ 2025ના રોજ રિલીઝ થવાની હતી. પણ સેન્સર બોર્ડમાં બેઠેલા મનુવાદીઓએ તેના પર જ જાતિવાદ ફેલાવવાનો આરોપ મૂકી દીધો છે.
phule

Phule Movie Controversy: મહાત્મા જ્યોતિબા ફુલેના જીવન પર આધારિત ફિલ્મ “ફુલે ધ મેન વિથ ધ મિશન”, જે ૧૧ એપ્રિલ ૨૦૨૫ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, તે રિલીઝ થઈ શકી નથી. હવે આ ફિલ્મ હવે 25 એપ્રિલ 2025 ના રોજ રિલીઝ થશે. કારણ કે મહારાષ્ટ્રના અખિલ ભારતીય બ્રાહ્મણ સમાજ અને પરશુરામ વિકાસ મહામંડળ જેવી સંસ્થાઓએ આ ફિલ્મ સામે વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું છે કે આ ફિલ્મ જાતિવાદને પ્રોત્સાહન આપે છે. તેથી, આ ફિલ્મમાંથી એવા દ્રશ્યો અને સંવાદો દૂર કરવા જોઈએ જેમાં દર્શાવવામાં આવ્યું છે કે, કેવી રીતે કથિત સવર્ણોએ સમાજમાં જાગૃતિ લાવવાનું કામ કરતા ફૂલે દંપતિ પર અત્યાચાર અને ત્રાસ ગુજાર્યો હતો.

જ્યારથી ફુલેનું ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી બ્રાહ્મણવાદ અને મનુવાદી વિચારધારા ધરાવતા લોકોએ ફિલ્મ સામે વાંધો ઉઠાવ્યો હતો. જોકે, ફિલ્મનું ટ્રેલર જોયા પછી આંબેડકરવાદી અને બહુજન સમાજના લોકો ફિલ્મ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા. પરંતુ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ પોતાની જાતિવાદી વિચારસરણીને ધ્યાનમાં રાખીને, બ્રાહ્મણ સંગઠન દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાને સ્વીકાર્યો છે અને ફિલ્મના દિગ્દર્શકને ફિલ્મમાંથી જાતિ સંબંધિત ઘણા શબ્દો દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે. જેમાં ‘મહાર’, ‘માંગ’, ‘પેશવાઈ’ અને ‘મનુની જાતિ વ્યવસ્થા’ જેવા શબ્દો દૂર કરવાનું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત, ફિલ્મના જે દ્રશ્યે સૌથી વધુ વિવાદ ઉભો કર્યો છે તે દ્રશ્ય એ છે જ્યારે એક બ્રાહ્મણ બાળક સાવિત્રીબાઈ ફૂલે પર કાદવ ફેંકે છે.

આ પણ વાંચો:  Shivam Sonkar ની જીત થઈ, BHU એ UGC ને પ્રસ્તાવ મોકલ્યો

સીબીએફસી(CBFC)ના નિર્ણયથી નારાજ લોકોએ સોશિયલ મીડિયા પર કહ્યું કે હવે ફિલ્મ ઉદ્યોગમાં સત્ય અને તથ્યો માટે કોઈ જગ્યા બચી નથી. પ્રોપેગેન્ડા ફિલ્મોનો ખુદ સરકાર પ્રચાર કરે છે પરંતુ જાતિવાદ જેવી દેશની સૌથી મોટી સમસ્યા સામે બંડ પોકારનાર અને સમાજના નિચલા સ્તરના લોકોને જાગૃત કરવાનું કામ કરનાર ફૂલે દંપતી પર આધારિત ફિલ્મને સેન્સર બોર્ડમાં બેઠેલા બ્રાહ્મણ સભ્યોએ જાતિવાદી ગણાવીને જેમની તેમ રજૂ થતા અટકાવી દીધી છે. લોકો સતત પૂછી રહ્યા છે કે ફૂલે ફિલ્મમાં એવું શું ખોટું બતાવવામાં આવ્યું છે જેના કારણે CBFC એ આ નિર્ણય લીધો છે.
ફુલે ફિલ્મમાં એવું કશું જણાતું નથી જે લોકો જાણતા ન હોય. તે મહાત્મા જ્યોતિબા ફૂલે અને માતા સાવિત્રીબાઈ ફૂલેના જીવનને જ રજૂ કરે છે. આ ફિલ્મમાં એ સત્ય દર્શાવાયું છે જે આપણા ઇતિહાસમાં કહેવાયું છે, જે સરકારી ચેનલો પર આવતા મરાઠી દૈનિક શોમાં બતાવવામાં આવ્યું છે. તો હવે જ્યારે તે સત્ય અને ઇતિહાસ પર ફિલ્મ બની રહી છે તો પછી ફિલ્મના આત્માને તેનાથી અલગ કેમ કરવામાં આવી રહ્યો છે?

દરમિયાન, ફિલ્મના દિગ્દર્શક અનંત મહાદેવને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘લોકોએ ટ્રેલર જોઈને ફિલ્મને જજ કરી છે, જે બિલકુલ યોગ્ય નથી. ફૂલેની વાર્તા સમાજના કુરિવાજો પર પ્રહાર કરે છે અને દર્શાવે છે કે આજે પણ ઘણા નાના શહેરોમાં જાતિના આધારે ભેદભાવ કરવામાં આવે છે.’

ફિલ્મ પર ચાલી રહેલા વિવાદ પર, ફૂલેની ભૂમિકા ભજવનારા પ્રતીક ગાંધીએ કહ્યું, “આજના સમયમાં સૌથી મોટો પડકાર એ છે કે લોકો કોઈપણ બાબતે નારાજ થઈ શકે છે. સોશિયલ મીડિયાના યુગમાં, દરેક વ્યક્તિ પાસે કંઈપણ કહેવાની તાકાત છે અને કેટલાક લોકો તેનો દુરુપયોગ કરે છે. આવી સ્થિતિમાં, ફિલ્મ સાથે સંકળાયેલા લોકોએ ડરવાને બદલે આત્મવિશ્વાસથી કામ કરવું જોઈએ.”

ઉલ્લેખનીય છે કે, ફૂલે પહેલી ફિલ્મ નથી જેની સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હોય. આ પહેલા સંતોષ નામની ફિલ્મને પણ CBFC દ્વારા ભારતમાં રિલીઝ થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કારણ કે ફિલ્મમાં જાતિવાદનો પર્દાફાશ કરતા દ્રશ્યો બતાવવામાં આવ્યા છે. જોકે, આ ફિલ્મ ઓસ્કાર માટે વિદેશ મોકલવામાં આવી છે. ફરી સવાલ એ જ છે કે, કેમ બહુજન સમાજના ઇતિહાસ પર આધારિત ફિલ્મોનો જ વિરોધ રહ્યો છે?
શું સેન્સર બોર્ડના અધ્યક્ષથી લઈને સભ્યોમાં બહુમતી બ્રાહ્મણો છે?

સેન્સર બોર્ડ તરીકે ઓળખાતા સીબીએફસીમાં મોટાભાગના સભ્યો બ્રાહ્મણ છે. જાણીતા ગીતકાર પ્રસૂન જોષી તેના અધ્યક્ષ છે. સીબીએફસીમાં એક અધ્યક્ષ સાથે 23 સભ્યો હોય છે, જે તમામ કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. જો કે, નવી માહિતી અનુસાર બોર્ડમાં વર્તમાનમાં ફક્ત 18 સભ્યો છે અને બાકીના પદ ખાલી છે. 2017 માં પ્રસૂન જોશી પ્રમુખ બન્યા એ પછી વિદ્યા બાલન, ગૌતમી તદિમલ્લા, નરેન્દ્ર કોહલી, નરેશ ચંદ્રા, નીલ હર્બર્ટ, વિવેક અગ્નિહોત્રી, ટી.એસ. નાગભરણ, રમેશ પાટંગે, વાણી ત્રિપાઠી, જીવિતા રાજશેખર અને ગુજરાતના મિહીર ભૂતાનો સમાવેશ થાય છે.

જો કે, આ સભ્યોની નિયુક્તિ વર્ષ 2017માં કરવામાં આવી હતી અને સીબીએફસીના નિયમો અનુસાર સભ્યોનો કાર્યકાળ સામાન્ય રીતે 2 વર્ષનો હોય છે. તેથી, તે શક્ય છે કે વર્તમાન બોર્ડના સભ્યો બદલાયા હોય. પરંતુ એપ્રિલ 2025 સુધી વર્તમાન સભ્યોની યાદી સાર્વજનિક રીતે ઉપલબ્ધ નથી, સીબીએફસીની અધિકૃત વેબસાઇટ (cbfcindia.gov.in) પરની યાદી યાદી અપડેટ નથી. જો જૂની યાદીને ધ્યાન પર લઈએ તો સ્પષ્ટ ખ્યાલ આવે છે કે, સેન્સર બોર્ડમાં બ્રાહ્મણોની બહુમતી છે અને ફૂલે ફિલ્મ સામે બ્રાહ્મણ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે, સત્તામાં આરએસએસ-ભાજપ છે અને તે ખુલીને મનુવાદની તરફેણ કરે છે. એ સ્થિતિમાં ફૂલે ફિલ્મ યથાતથ રીતે રજૂ થાય તેનાથી કોના પેટમાં દુઃખે છે તે સાનમાં સમજી જાઓ.

આ પણ વાંચો: મનુવાદીઓ કેમ જ્યોતિરાવ ફૂલે થી આટલા બધા ડરે છે?

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Navinbhai BECHARBHAI Parmar
Navinbhai BECHARBHAI Parmar
1 year ago

નોકરીમાં પણ પોસ્ટીંગ તથા પ્રમોશનમાં મોટો ભેદભાવ તો જોરદાર ચાલે જ છે. એમાં પણ કોઈ દલિત વિરુદ્ધ ખોટી ફરીયાદ કરે તો તો દલિત નું આવી જ બને એને તો હેરાન પરેશાન કરે પરંતુ એનો પરીવાર પણ મુશ્કેલીમાં મુકાય જાય તેટલી હદે હેરાન કરવામાં આવે છે

અયોધ્યાના રામ મંદિર ટ્રસ્ટમાં દાનમાં થયેલી કરોડોની ગેરરીતિ મુદ્દે તમે શું માનો છો?
  • Add your answer
1
0
Would love your thoughts, please comment.x
()
x