સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં શનિવારે ગઈકાલે ૧૨ એપ્રિલે સવારે એક કરુણ ઘટના સામે આવી હતી. અહીંના વડાલીના સગરવાસમાં રહેતા શ્રમિક પરિવારના પાંચ સભ્યોએ એકસાથે ઝેરી દવા પી લેતા ચકચાર મચી ગઈ હતી. જેમાં માતાપિતાનું સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું છે, જ્યારે તેમનાં ત્રણ બાળકોની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. જોકે પરિવારે દવા કેમ પીધી તેનું કારણ હજુ સુધી અકબંધ છે. આ મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
માતાપિતાના મોતથી બાળકોએ છત્રછાયા ગુમાવી
ખેતમજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા વિનુ મોહનભાઈ સગર (ઉં.૪૨)એ પત્ની કોકિલાબેન (ઉં.૪૦) અને ત્રણ સંતાન સાથે મળી અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા આસપાસના લોકોને આ ઘટના અંગે જાણ થતાં જ તેઓ દોડી આવ્યા હતા.
૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી તેઓને પ્રથમ તો વડાલીમાં જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી ત્યાર બાદ તેમને ઈડરની પંચમ હોસ્પિટલ અને પછી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન પ્રથમ વિનુભાઈ સગરનું અને ત્યારબાદ રાત્રે કોકિલાબેન સગરનું મોત નીપજતા ત્રણેય બાળકોએ માતાપિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.
ત્રણેય બાળકોની હાલત નાજુક
આ દરમિયાન ગઈકાલે મોડી રાત્રે પરિવારનાં બે પુત્ર અને એક પુત્રીને ઝેરી દવાની વધુ અસર થતાં તેઓને હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં. જ્યાં તબીબો દ્વારા તાત્કાલિક તેમની ડાયાલિસિસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
જો કે ૧૯ વર્ષીય પુત્રી ભૂમિકા,૧૮ વર્ષીય પુત્ર નિલેશ અને ૧૭ વર્ષીય નરેન્દ્રને ઝેરી દવાની અસર વધુ હોવાને કારણે તેમની સ્થિતિ હાલ નાજુક છે, જેને લઈને તેમને વધુ સારવાર માટે અમદાવાદ ખાતે રિફર કરવામાં આવ્યાં છે. આ કરુણ ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે. પરિવારના આ અંતિમ પગલાં પાછળનું કારણ હજુ અકબંધ છે અને પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આપઘાત માટે જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ
બીજી તરફ આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. ઘટના બાદ વડાલી સગર સમાજ આ ઘટના પાછળ જે કોઈ હોય તેની સામે કાર્યવાહી કરવા માટે આક્રોશ સાથે સમાજના લોકો મોટી સંખ્યામાં મૃક્ત વિનુભાઈ અને કોકિલાબેનના મૃતદેહને લઈને વડાલી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને ન્યાયની માંગ કરી હતી. વડાલી પોલીસે આ અંગે સમજાવ્યા હતા કે તમે ફરિયાદ આપો ત્યારબાદ જે કોઈ હશે તેની સામે કાર્યવાહી કરીશું તેવી ખાતરી આપતા સગર સમાજના લોકો બંનેના મૃતદેહને લઈને ત્યાંથી નીકળી ગયા હતા અને મામલો થાળે પડયો હતો.
ઈડર ડીવાયએસપીએ શું કહ્યું?
ઈડર વિભાગના ડી.વાય.એસ.પી સ્મિત ગોહિલે જણાવ્યું હતું કે પરિવારે ઝેરી દવા ગટગટાવવાના આપઘાત મામલે પોલીસને જાણ થતાં જ અમે હોસ્પિટલ પહોંચ્યા હતા. પોલીસે મૃતક વિનુભાઈની દીકરી કૃષ્ણા ઉર્ફે ભૂમિકાની પૂછપરછ કરીને જાણવાજોગ અરજી લેવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલ ઘટનાનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી મૃતક વિનુભાઈનો મોબાઈલ ફોન જપ્ત કરીને એફ.એસ. એલ માટે મોકલવામાં આવશે પરિવારના રહેણાક વિસ્તારની આસપાસ હાલ પૂછપરછ ચાલુ છે. વડાલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.કે.જોષી સમગ્ર મામલે તપાસ ચલાવી રહ્યા છે.
આ પણ વાંચો: પોલીસના ખૌફને કારણે 187 દલિત-આદિવાસીઓએ ગામ છોડી દીધું