The tallest statue in Gujarat: અમદાવાદના જીવરાજપાર્ક, બળદેવનગર ખાતે આવતીકાલે 14મી એપ્રિલે ડો. બાબાસાહેબ આંબેડકરની ગુજરાતની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ થવા જઈ રહ્યું છે. આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવા અને પ્રતિમાનું અનાવરણ કરવા માટે મુંબઈથી ડો. આંબેડકરના પૌત્ર ભીમરાવ યશવંતરાવ આંબેડકર સાહેબ કાર્યક્રમમાં પધારવાના છે.
આ કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન ભીમ સેના અમદાવાદ અને જીવરાજપાર્ક, સોરાઈનગર, રાજીવનગર, આંબાવાડી, આંબેડકર કોલોની, મલાવ તળાવ, સરખેજ, બહેરામપુરા, યોગેશ્વરનગર, પ્રવીણનગર, ગુપ્તાનગર, વેજલપુરની સ્થાનિક સંસ્થાઓ અને સંગઠનોના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. સવારે 10 વાગ્યે આ કાર્યક્રમ બળદેવનગર, જીવરાજપાર્ક, અમદાવાદ ખાતે યોજાશે. જેમાં મોટી સંખ્યામાં બહુજન સમાજ ઉમટી પડવાનો છે.
આ પણ વાંચો: વકીલ હોવા છતાં ડૉ.આંબેડકર ભગતસિંહનો કેસ કેમ નહોતા લડ્યા?
ડો. બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ કાર અને બાઈક રેલી કાઢવામાં આવશે અને રાત્રે 8:30 કલાકે આજ સ્થળે સભા અને મ્યુઝિકલ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. આજે મધરાતે 12 વાગ્યે ડો.આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી કરવા માટે 134 કિલોની કેક કટિંગ કરવાના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ છે.
ભીમ સેનાના મહામંત્રી સુરેશભાઈ સોંધરવાના જણાવ્યા પ્રમાણે, વેજલપુર-બળદેવનગર ખાતે સિમ્બોલ ઓફ નોલેજ ડો. બાબાસાહેબ આંબેડકરની ગુજરાતની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવનાર છે. આ પ્રસંગે બાબાસાહેબના પૌત્ર ભીમરાવ યશવંતરાવ આંબેડકર ખાસ મુંબઈથી ઉપસ્થિત રહેવાના છે. તેમના હસ્તે આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવનાર છે. આ પ્રસંગે અમદાવાદ ઉપરાંત આસપાસના ગામડાઓમાંથી પણ મોટી સંખ્યામાં બહુજન સમાજ ઉમટી પડવાનો છે.
અમદાવાદ ભીમ સેના તરફથી આ કાર્યક્રમને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી છે અને તેમાં તમામ બહુજન સમાજનો મજબૂત ટેકો મળ્યો છે. આ ઉપરાંત આજે મધરાતે અમે 134 કિલોની કેકનું કટિંગ કરીને સદીના મહાનાયક ડો.આંબેડકરનો જન્મદિવસ ઉજવવાના છીએ. બાળકોથી લઈને વૃદ્ધો સુધીના સૌ કોઈ આ કાર્યક્રમને લઈને ઉત્સાહિત છે.
આ પણ વાંચો: BNS ની કલમ 1 શું કહે છે, જાણો મહત્વની બાબતો