ગોંડલમાં આગામી 18 જૂને અનુસૂચિત જાતિ સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સંમેલન વકીલ દિનેશ પાતરને પોલીસ દ્વારા કથિત રીતે ખોટા કેસમાં ફસાવવાના વિરોધમાં યોજાશે. અનુસૂચિત જાતિ સમાજના આગેવાન દેવદાન મુછડિયાએ આ સંમેલનની જાહેરાત કરી છે. તેમણે સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજીને સંમેલનની રૂપરેખા તૈયાર કરી છે. આયોજકોનો દાવો છે કે આ સંમેલનમાં એક લાખ જેટલા લોકો ઉપસ્થિત રહેશે. વકીલ દિનેશ પાતરની ધરપકડ બાદ તેમની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે આરોપ મૂક્યો છે કે તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. બે પોલીસ ઇન્સ્પેક્ટર પરમાર અને ઓડેદરા વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવ્યા છે.
દિનેશ પાતરને ન્યાય અપાવવા સંમેલન યોજાશે
દેવદાન મુછડિયાએ જણાવ્યું કે ચોક્કસ લોકોના ઇશારે વકીલ દિનેશ પાતરને પોલીસ દ્વારા ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે. સંમેલનનો મુખ્ય ઉદ્દેશ દિનેશ પાતરને ન્યાય અપાવવાનો અને પોલીસ દ્વારા થતી કથિત હેરાનગતિનો વિરોધ કરવાનો છે. સંમેલનને સફળ બનાવવા માટે મોટાપાયે તૈયારીઓ ચાલી રહી છે. લોકોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. તેમને સંમેલનના ઉદ્દેશ વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. આ સંમેલન ગોંડલ અને આસપાસના વિસ્તારમાં અનુસૂચિત જાતિ સમાજની સુરક્ષા અને ન્યાયના મુદ્દે મહત્વપૂર્ણ બની શકે છે.
આ પણ વાંચોઃ ‘ગોંડલ માટે કોઈએ લાળ ટપકાવી નહીં, ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે’
મામલો શું છે?
ગોંડલ પોલીસ સામે દલિત સમાજે નારાજગી વ્યક્ત કરી છે, છેલ્લા કેટલાક સમયથી ગોંડલના દિનેશ પાતરની અલગ અલગ કેસમાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જેને લઈને દલિત સમાજમાં રોષ છે. દલિત સમાજ ગોંડલમાં ચાલતી ગુંડાગીરી સામે ફરી ભેગો થવા જઈ રહ્યો છે. અગાઉ જૂનાગઢના દલિત યુવકને ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશે ગોંધી રાખી ઢોર માર માર્યો હતો. જેના વિરોધમાં દલિત સમાજે જૂનાગઢથી ગોંડલ સુધીની રેલી યોજી હતી. ત્યારે હવે ફરીથી જૂનાગઢના દલિત સમાજના પ્રમુખ દ્વારા ગોંડલમાં આગામી મહિનામાં મોટાપાયે બાઈક રેલી અને દલિતોનું સંમેલન યોજાશે તેવી જાહેરાત કરી છે. અગાઉ દલિતોએ રાજકોટ કલેક્ટર અને રાજકોટ ગ્રામ્ય પોલીસના SPને આવેદન પત્ર પાઠવ્યું હતું. આગામી 18 જૂને ગોંડલમાં દલિત સમાજનું સંમેલન યોજાવાનું છે, જેને લઈને આજે દલિત સમાજના આગેવાનોની ગોંડલ સર્કિટ હાઉસ ખાતે એક મિટિંગ મળી હતી.
આ પણ વાંચોઃ પટેલ સીએમે પટેલોના કેસો પાછા ખેંચ્યા, દલિતો-ઠાકોરોના ક્યારે?
દેવદાન મુછડિયાએ શું કહ્યું?
આ મિટિંગ બાદ દેવદાન મુછડિયાએ જણાવ્યું હતું કે, ગોંડલના દિનેશ પાતર સામે ચાર ખોટા ગુના દાખલ કરવામાં આવ્યા છે, જેને લઈને 18 જૂને દલિત સમાજનું સંમેલન મળવાનું છે. આ ચારેય ગુનામાંથી દિનેશ પાતરને બહાર કરવામાં આવે અને પોલીસ ઈન્સપેક્ટર પરમાર અને ઓડેદરા સામે ફરિયાદ દાખલ કરવામાં આવે જેમણે દિનેશ પાતર સામે ષડયંત્ર કર્યું છે. ગોંડલના આસપાસના ગામમાંથી મોટા પ્રમાણમાં દલિત લોકો સંમેલનમાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતભરમાંથી 1 લાખ જેટલા લોકો આવે તેવો અંદાજ તેમના દ્વારા લગાવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં દલિતો તેના જ ધારાસભ્યો-સાંસદોનું બારમું યોજશે?
ગોંડલના ધારાસભ્ય અને તેમના પરિવારનો વિવાદ
ઉલ્લેખનીય છે કે, ગોંડલ છેલ્લાં કેટલાક સમયથી સતત વિવાદના કેન્દ્રમાં રહ્યું છે. ખાસ કરીને ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પતિ જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશની સતત વધતી જતી દાદાગીરી સામે ગોંડલ અને તેની આસપાસના ગામોના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. અગાઉ ગણેશ ગોંડલે જૂનાગઢના દલિત યુવકને ગોંધીને ઢોર માર માર્યો હતો. જેમાં એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ધરપકડ બાદ તે હાલ જામીન પર બહાર છે. ત્યારબાદ એક પ્રરપ્રાંતીય યુવકના મોતમાં પણ ગણેશ ગોંડલનું નામ આવ્યું હતું. સત્તાધારી ભાજપના ધારાસભ્ય હોવાને કારણે ગણેશ ગોંડલની બેફામ દાદાગીરી છતાં પોલીસ તેની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરતી નથી. અને ગણેશ અને જયરાજસિંહની ગુંડાગર્દી સામે અવાજ ઉઠાવનાર સામે તરત પોલીસ કાર્યવાહી કરવામાં આવે છે. ગોંડલમાં પોલીસની આવી એકતરફી કામગીરીનો વકીલ દિનેશ પાતર પણ ભોગ બન્યા હોવાનું કહેવાય છે. જેના કારણે તેમના સમર્થનમાં જ આ સંમેલન યોજાઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ દલિત યુવકને જાતિ નડી, સવર્ણ પત્નીએ ઝેર આપી હત્યા કરી