ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં ૨૯ જાન્યુઆરી 2025ના રોજ મૌની અમાવસ્યાના દિવસે ભાગદોડને કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. રાજ્ય સરકારે જીવ ગુમાવનારા પરિવારોને વળતર આપવાનું વચન આપ્યું હતું. પરંતુ હજુ સુધી આ પરિવારોને વળતર મળ્યું નથી. જેના માટે અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને ફટકાર લગાવી છે.
હાઈકોર્ટની વેકેશન બેન્ચે રાજ્ય સરકારના વલણને ‘અસ્થિર‘ અને ‘નાગરિકોના દુ:ખ પ્રત્યે ઉદાસીન‘ ગણાવ્યું છે. ન્યાયાધીશ સૌમિત્ર દયાલ સિંહ અને ન્યાયાધીશ સંદીપ જૈનની ડિવિઝન બેન્ચે ઉદય પ્રતાપ સિંહની અરજી પર સુનાવણી કરતી વખતે આ કડક ટિપ્પણી કરી હતી.
કોર્ટે સરકારી સંસ્થાઓની કામગીરી પર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે અરજદાર ઉદય પ્રતાપ સિંહની પત્ની, 52 વર્ષીય સુનૈના દેવીનું કુંભમાં થયેલી ભાગદોડમાં ગંભીર ઇજાઓને કારણે મૃત્યુ થયું હતું. આ કેસમાં ખાસ વાત એ હતી કે ન તો મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, ન તો પરિવારને જાણ કરવામાં આવી હતી કે મહિલાને ક્યારે અને કઈ સ્થિતિમાં હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. કોર્ટે તેને સરકારી સંસ્થાઓની ગંભીર ભૂલ ગણાવીને ઠપકો આપ્યો હતો.
આ પણ વાંચો: મહિલા IAS એ દલિત વિદ્યાર્થીઓને કહ્યું, ‘ટોઈલેટ સાફ કેમ નથી કરતા?’
બેન્ચે સરકારની દાનત પર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે જ્યારે સરકારે મૃતકોના સંબંધીઓને વળતર આપવાની વાત કરી હતી, ત્યારે સમયસર તેનું પાલન કરવાની જવાબદારી સરકારની હતી. કોર્ટે કહ્યું કે નાગરિકોનો કોઈ વાંક નથી, અને આવી દુર્ઘટનાઓમાં પીડિત પરિવારોને સંભાળ અને સહાય સુનિશ્ચિત કરવી રાજ્યની ફરજ છે.
કોર્ટે રાજ્ય સરકારને વળતર સંબંધિત તમામ પ્રાપ્ત અને પડતર દાવાઓની વિગતો રજૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. કોર્ટે એમ પણ કહ્યું કે રાજ્ય સરકાર નાગરિકોની ટ્રસ્ટી તરીકે કાર્ય કરે છે અને પીડિતો પ્રત્યે સંવેદનશીલતા દાખવવી જોઈએ.
કોર્ટે તબીબી સંસ્થાઓ, જિલ્લા વહીવટીતંત્ર અને અન્ય સંબંધિત અધિકારીઓને કેસમાં પક્ષકાર બનાવ્યા છે અને તેમને વિગતવાર સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. જેમાં તેમણે ૨૮ જાન્યુઆરીએ મૃત્યુ પામેલા તમામ મૃતકો અને દર્દીઓની વિગતો શામેલ કરવાનો આદેશ કર્યો છે. સાથે જ કોર્ટે એ બધાં ડોકટરોની વિગતો પણ માંગી છે જેમણે ઘાયલોની સારવાર કરી હતી અને તેમને મૃત જાહેર કર્યા હતા.
આ પણ વાંચો: સુરતમાં દલિતોએ 11 દલિત ધારાસભ્યો અને 2 સાંસદોની નનામી કાઢી