આદિવાસી બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવાના આશયથી કેન્દ્ર સરકાર આદિવાસી બહુમતી ધરાવતા વિસ્તારોમાં એકલવ્ય શાળાઓ ઉભી કરે છે. પરંતુ આ શાળાઓ શિક્ષણના મૂળ હેતુ કરતા પ્રચારનું સાધન વધુ અને મળતિયાઓને સાચવવાનું માધ્યમ બની ગયું હોય તેવી સ્થિતિ છે.
આદિવાસીઓની બહુમતી ધરાવતા છત્તીસગઢના માનપુર વિસ્તારમાં કેન્દ્ર સરકારે એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલ શરૂ કરાવી હતી. પરંતુ શાળા શરૂ થયાના લગભગ 10 વર્ષ પછી પણ વહીવટી ઉદાસીનતાને કારણે માનપુરને તેની પોતાની એકલવ્ય શાળાનું મકાન મળી શક્યું નથી. પરિણામે માનપુર એકલવ્ય શાળાના આદિવાસી બાળકો 50 કિમી દૂર અંબાગઢ ચોકી વિસ્તારમાં ભાડેથી લીધેલી છાત્રાલયમાં અભ્યાસ કરવા મજબૂર છે.

વહીવટી અધિકારીઓની ઉદાસીનતાની પરાકાષ્ઠા એ છે કે ગયા વર્ષે અડધી પૂર્ણ થયેલી એકલવ્ય શાળાની ઇમારતનું વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, રાજ્યપાલ રમન ડેકાને પણ નવા શાળા કેમ્પસની મુલાકાત લેવા માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ ઉદ્ઘાટનના એક વર્ષ પછી પણ શાળા નવી ઇમારતમાં શરૂ થઈ શકી નથી. જવાબદાર અધિકારીઓ અધૂરા બાંધકામ અંગે રોદણાં રોવે છે.
આ પણ વાંચો: જાતિ પૂછી કોંગ્રેસના દલિત નેતા પર 60 લોકોનો તલવાર-દંડાથી હુમલો

વાલીઓ લડી રહ્યાં છે, સાંસદ-કલેક્ટરને ગંભીરતા નથી
માનપુર વિસ્તારના તમામ આદિવાસી વાલીઓ, જેમના બાળકો એકલવ્ય વિદ્યાલયમાં અભ્યાસ કરે છે, તેઓ નવા મકાનમાં શાળા ચલાવવા માટે લાંબા સમયથી આ મામલે લડત આપી રહ્યાં છે. વાલીઓએ કલેક્ટર, આદિજાતિ કલ્યાણ વિભાગના સહાયક કમિશનર અને સાંસદ સમક્ષ પણ પોતાની પીડા જણાવીને ન્યાય માટે વિનંતી કરી છે, પરંતુ ન તો કલેક્ટર કે ન તો સહાયક કમિશનરે આ ગંભીર મુદ્દા પર ગંભીરતા દાખવી. ન તો સાંસદે અધૂરા મકાનનું વડાપ્રધાન દ્વારા ઉદ્ઘાટન કરાવવામાં અને સરકારને ગેરમાર્ગે દોરનારાઓ સામે કાર્યવાહી કરવામાં અને નવા મકાનમાં આદિવાસી બાળકોને વ્યવસ્થિત શિક્ષણ આપવામાં કોઈ રસ દાખવ્યો.
ઘણા બાળકો શાળાએ જતા નથી, ભવિષ્ય અંધકારમાં છે
વાલીઓ માનપુર ફડકી સ્થિત નવી શાળાના મકાનમાં આ સત્રથી શાળા શરૂ થવાની આશા રાખતા હતા, પરંતુ આ સત્રમાં પણ શાળાને નવા મકાનમાં ખસેડી શકાઈ નથી. નારાજ વાલીઓ સતત જનપ્રતિનિધિઓ અને અધિકારીઓને અરજીઓ કરી રહ્યા છે, પરંતુ વહીવટીતંત્ર બાંધકામ જલ્દી પૂર્ણ કરવા અને નવા મકાનમાં શાળા શરૂ કરવા માટે બિલકુલ ગંભીર દેખાતું નથી. એવી પણ માહિતી મળી રહી છે કે ચોકીમાં ચલાવવામાં આવતી શાળામાં વિવિધ પ્રકારની અનિયમિતતાઓ અને વધારે અંતર જેવી સમસ્યાઓને કારણે ઘણા વાલીઓ આ સત્રમાં તેમના બાળકોને અંબાગઢ ચોકીમાં ચલાવવામાં આવતી એકલવ્ય શાળામાં મોકલી રહ્યા નથી. આવી સ્થિતિમાં, શાળાએ ન જતા બાળકોનું ભવિષ્ય અંધકારમાં છે.
એક છાત્રાલયમાં બે એકલવ્ય શાળાઓ ચાલતા સમસ્યાઓ વધી
તમને જણાવી દઈએ કે માત્ર માનપુર જ નહીં પરંતુ મોહલા તાલુકાની એકલવ્ય શાળા પણ અંબાગઢ ચોકીમાં આવેલી છાત્રાલયની ઇમારતમાં ચાલે છે. 500 બેઠકોવાળી છાત્રાલયમાં લગભગ 800 થી 900 વિદ્યાર્થીઓ ધરાવતી બે શાળાઓના સંચાલનને કારણે, શિક્ષણ કાર્ય પર અસર પડી રહી છે. અન્ય શાળાકીય પ્રવૃત્તિઓ પણ યોગ્ય રીતે ચલાવવામાં આવી રહી નથી. માહિતી અનુસાર, બંને શાળાઓ કોઈને કોઈ રીતે બે અલગ અલગ પાળીમાં ચલાવવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓને શૌચાલય, ખોરાક, પાણી જેવી મૂળભૂત સુવિધાઓ પણ મળતી ન હોવાથી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
પહેલા ઉદ્ઘાટન કરાવ્યું, હવે ઇમારત અધૂરી હોવાનું રોદણાં રડવાના
આ આખા મામલામાં વહીવટીતંત્ર સ્પષ્ટ રીતે જવાબદાર જણાય છે. તેમણે પહેલા ઉપરી અધિકારીઓને ખુશ કરવા માટે અધૂરી ઇમારતનું વર્ચ્યુઅલ રીતે વડા પ્રધાનના હસ્તે ઉદ્ઘાટન કરાવી દીધું, હવે આ અધૂરા બાંધકામ વિશે રોદણાં રડીને જવાબદાર અધિકારીઓ તેમની ઉદાસીનતા અને બેદરકારી છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સવાલ એ છે કે જ્યારે ઇમારતનું બાંધકામ અધૂરું હતું, તો પછી તેનું ઉદ્ઘાટન કરાવીને વાલીઓ અને બાળકોમાં નવી ઇમારતની આશા કેમ જગાવવામાં આવી?
આજે ગ્રામીણ વિકાસ મંત્રી માનપુરની મુલાકાત લેશે
માનપુરના ફડકી ગામમાં છેલ્લા ત્રણ વર્ષથી એકલવ્ય વિદ્યાલય કેમ્પસનું નિર્માણ ચાલી રહ્યું છે. નવી શાળાના પરિસરમાં છાત્રાલય અને ઇલેક્ટ્રિકલ કામનો એક તબક્કો હજુ પણ અધૂરો છે, જેના કારણે અહીં શાળા ચલાવવામાં આવી રહી નથી. પરંતુ થોડી વધારે મહેનત કરીને ઇલેક્ટ્રિકલ કામ ટૂંક સમયમાં પૂર્ણ કરી શકાય છે. શક્ય હોય ત્યાં સુધી વાલીઓ દ્વારા સૂચવવામાં આવેલી બીજી ઇમારતમાં છાત્રાલય ચલાવીને આ સત્રથી નવી ઇમારતમાં શાળા ચલાવવાનો વિચાર કરી શકાય તેમ છે. આજે (શનિવારે) સંદેશાવ્યવહાર અને ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી ડૉ. પેમ્માસાની ચંદ્રશેખર માનપુરમાં હશે, જેમની પાસેથી આ વિસ્તારના લોકો નવી એકલવ્ય વિદ્યાલય ટૂંક સમયમાં ચલાવવાની અપેક્ષા રાખી રહ્યા છે.
આ પણ વાંચો: મીતલીમાં દલિતોના કૂવામાં મળ ફેંકવા મુદ્દે કલેક્ટર-SPને હાજર થવા આદેશ










