દિલ્હીની એક મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ચૈતન્યાનંદ સ્વામી નામના એક બાબા પર 17 છોકરીઓનું જાતીય શોષણ કરવા બદલ એફઆઈઆર નોંધાતા ખળભળાટ મચી ગયો છે. શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટની ભણતી આ વિદ્યાર્થીનીઓએ ચૈતન્યાનંદ સરસ્વતી ઉર્ફે પાર્થ સારથી સામે ગંભીર આરોપો લગાવ્યા છે. દિલ્હી પોલીસે સંસ્થાના સંચાલક પીએ મુરલીની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે. આ સંસ્થા શારદાપીઠ શ્રૃંગેરી સાથે જોડાયેલી છે.
વસંત કુંજ ઉત્તર પોલીસ સ્ટેશનમાં પી.એ મુરલી દ્વારા નોંધાવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું છે કે સ્વામી ચૈતન્યનંદ સરસ્વતી ઉર્ફે ડૉ. સ્વામી પાર્થ સારથીએ શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટમાં આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ની વિદ્યાર્થીઓનું જાતીય શોષણ કર્યું હતું. પીડિતાઓ EWS શિષ્યવૃત્તિ હેઠળ PGDM (પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ) કોર્સ કરી રહી છે.

વિદ્યાર્થીનીઓએ શું કહ્યું
પોલીસે આ ફરિયાદના આધારે 32 વિદ્યાર્થિનીના નિવેદન નોંધ્યા હતા, જેમાંથી 17 વિદ્યાર્થિનીએ આરોપ લગાવ્યો હતો કે ચૈતન્યનંદ સરસ્વતી તેમની સાથે અભદ્ર ભાષામાં વાત કરતાં હતા, તેમજ વોટ્સએપ પર અશ્લીલ મેસેજ મોકલતા હતાં. વધુમાં અનિચ્છનીય શારીરિક અડપલાં પણ કરતાં હતાં. વિદ્યાર્થીનીઓએ એવું પણ જણાવ્યું હતું કે, સંસ્થામાં કેટલીક મહિલા ફેકલ્ટી અને કર્મચારીઓએ આરોપીની માંગણીઓનું પાલન કરવા માટે દબાણ કર્યું હતું.
આ પણ વાંચો: બોટાદમાં ચોરીના આરોપી સગીરને પોલીસે એટલો માર્યો કે કિડની ફેલ થઈ ગઈ!

ફરિયાદ બાદ પોલીસે IPC ની કલમ 75(2), 79 અને 351(2) હેઠળ કેસ નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા હતાં, ઘટનાસ્થળ અને આરોપીના ઘરે દરોડા પાડ્યા હતા. પરંતુ આરોપી ફરાર છે. પોલીસે સંસ્થાના ભોંયરામાં પાર્ક કરેલી એક વોલ્વો કાર જપ્ત કરી હતી. જેનો ઉપયોગ આરોપી કરતો હતો. આ કારમાં નકલી ડિપ્લોમેટિક નંબર પ્લેટ (39 UN 1) હતી.
પોલીસે સંસ્થામાંથી CCTV ફૂટેજ જપ્ત કરીને તેને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે. 17 વિદ્યાર્થીનીઓના નિવેદનો ન્યાયિક મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીનું છેલ્લું લોકેશન આગ્રા નજીક મળી આવ્યું હતું, અને તેની શોધ ચાલુ છે. ઘટના બાદ, શ્રી શારદા સંસ્થાન અને શ્રૃંગેરી મઠ વહીવટીતંત્રે આરોપીને તમામ હોદ્દા પરથી દૂર કરી દીધો છે અને તેની સાથેના સંબંધો તોડી નાખ્યા છે. શ્રી શારદા પીઠમે આરોપીની પ્રવૃત્તિઓને ‘ગેરકાયદેસર, અયોગ્ય અને સંસ્થાના હિતોની વિરુદ્ધ’ ગણાવી છે.
આ પણ વાંચો: દલિત સગીરાના ગામના સરપંચે મંદિરમાં બળજબરીથી લગ્ન કરાવી દીધાં










