15મી ઓગસ્ટની ઉજવણીમાં સવર્ણોએ દલિતોને ખુરશી પરથી ઉઠાડ્યાં

15મી ઓગસ્ટની ઉજવણીના સરકારી કાર્યક્રમમાં દલિતોને જાતિવાદી સવર્ણોએ ખુરશી પરથી ઉઠાડી મૂકી જમીન પર બેસવા મજબૂર કરતા એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે.
Discrimination against Dalits in 15th August program in Bhilwara
Discrimination against Dalits in 15th August program in Bhilwara

જે દિવસે આખો દેશ 80 મા સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં મશગૂલ હતો અને બંધારણે આપેલા સમાનતાના હકોના ભાષણો અપાઈ રહ્યા હતા, તે જ દિવસે રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં દલિત સમાજ સાથે ભેદભાવની એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. અહીંના બાગોર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા ભાખલિયા ગામની સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળામાં યોજાયેલા 15મી ઓગસ્ટના કાર્યક્રમ દરમિયાન દલિત સમાજના બે નાગરિકોને જાતિવાદી તત્વોએ ખુરશી પરથી ધમકાવીને ઊભા કરી દઈ જમીન પર બેસવા મજબૂર કર્યા હતા. આ ઘટના એ બાબતનો જીવતો જાગતો પુરાવો છે કે આઝાદીના આટલા દાયકાઓ પછી પણ આપણા સમાજમાં દલિતો કેવા ભેદભાવ વચ્ચે જીવી રહ્યા છે.

મામલો શું હતો

બનાવની વિગતો અનુસાર, ભાખલિયા ગામના અનુસૂચિત જાતિ સમાજના રામેશ્વરલાલ બૈરવા અને ગોપીલાલ બૈરવા 15મી ઓગસ્ટના રોજ ગામની સરકારી શાળામાં આયોજિત સ્વતંત્રતા દિવસના ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. તેઓ પોતાના સમાજના અન્ય લોકો સાથે શાળાના પ્રાંગણમાં રાખવામાં આવેલી ખુરશીઓ પર બેઠા હતા.

કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે જ ગામના 5 સવર્ણ અને માથાભારે લોકો તેમની પાસે આવ્યા હતા. આ લોકોએ દલિતો સામે જાતિસૂચક શબ્દોનો ઉપયોગ કરી અપશબ્દો કહ્યા હતા અને તેમની ખુરશીઓ પર બેસવા સામે વાંધો ઉઠાવ્યો હતો. આરોપીઓએ ઉદ્ધતતાથી કહ્યું હતું કે, “તમે દલિત થઈને અમારી સાથે ખુરશીઓ પર કેવી રીતે બેસી શકો?” અને તેમણે દલિતોને તાત્કાલિક ખુરશીઓ છોડીને જમીન પર બેસી જવા આદેશ કર્યો હતો.

આ પણ વાંચોઃ દલિત મજૂરોને જાતિવાદી તત્વોએ ખેતરમાં મુર્ગા બનાવી માર માર્યો

બાળકો અને શિક્ષકોની હાજરીમાં જાતિવાદ

જ્યારે રામેશ્વરલાલ અને ગોપીલાલે આ દાદાગીરી અને જાતિવાદનો વિરોધ કર્યો અને ખુરશીઓ ખાલી કરવાનો ઇનકાર કર્યો, ત્યારે આરોપીઓએ તેમને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી હતી. આરોપીઓએ બંને દલિત નાગરિકોને બળજબરીપૂર્વક ખુરશી પરથી ખેંચીને ઊભા કરી દીધા હતા અને ભારે અપમાનિત કર્યા હતા.

આ સમગ્ર વરવી ઘટના શાળાના નિર્દોષ બાળકો, શિક્ષકો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોની હાજરીમાં બની હતી. લોકો મૌન પ્રેક્ષક બનીને જોતા રહ્યા અને દલિત નાગરિકોને ગંભીર માનસિક યાતના અને અપમાનનો સામનો કરવો પડ્યો. આટલેથી ન અટકતા, આરોપીઓએ એવી પણ ધમકી આપી હતી કે સ્થાનિક આંગણવાડી કેન્દ્ર બંધ કરાવી દેવામાં આવશે, કારણ કે ત્યાં અનુસૂચિત જાતિ સમાજની 2 મહિલાઓ આંગણવાડી કાર્યકર અને સહાયિકા તરીકે સેવા આપી રહી હતી.

આ પણ વાંચોઃ મહેસાણામાં દલિતોના શબ સ્મશાન પહોંચે તે  જાતિવાદીઓ ને મંજૂર નથી!

દલિત સમાજે પાંચ જાતિવાદી તત્વો સામે ફરિયાદ કરી

આ મામલે પીડિતોએ હિંમત દર્શાવીને પોલીસનો સંપર્ક કર્યો હતો. તેમની લેખિત ફરિયાદના આધારે પોલીસે 5 ગ્રામજનો સામે નામજદ FIR દર્જ કરી છે. પોલીસે જે આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે તેમાં જ ગામના રહેવાસી બાલૂ વૈષ્ણવ, હીરાલાલ શર્મા, નારાયણ જાટ, રામેશ્વર જાટ અને પ્રકાશ જાટનો સમાવેશ થાય છે.

પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ (Atrocities Act) ની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસનો ચાર્જ પોલીસ ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ રાહુલ જોશીને સોંપવામાં આવ્યો છે.

આજની કડવી વાસ્તવિકતા અને સવાલો

આઝાદીના પર્વ પર બનેલી આ ઘટના માત્ર 2 વ્યક્તિઓનું અપમાન નથી, પરંતુ દેશના બંધારણ અને લોકશાહી મૂલ્યો પર સીધો પ્રહાર છે. જે સરકારી શાળામાં બાળકોને સમાનતા અને નાગરિક હકોના પાઠ ભણાવવામાં આવે છે, તે જ શાળાના પ્રાંગણમાં બાળકોની સામે જ જાતિવાદી ઝેર ઓકવામાં આવ્યું.

આ ઘટના સાબિત કરે છે કે 2026ના આધુનિક ભારતમાં ટેકનોલોજી અને વિકાસની વાતો ગમે તેટલી થતી હોય, પરંતુ જમીની સ્તરે સામાજિક સમાનતા હજુ પણ દૂર છે. દલિતોને આજે પણ પોતાના મૂળભૂત સન્માન અને આત્મસન્માન માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. જો સ્વતંત્રતા દિવસે જ સરકારી મંચ પર દલિતો સાથે આવો વ્યવહાર થતો હોય, તો સામાન્ય દિવસોમાં તેમની સ્થિતિ કેવી હશે તે કલ્પના કરવી જ કાંપારી છૂટી જાય તેવી બાબત છે.

આ પણ વાંચોઃ દલિત યુવકને જાતિવાદીઓએ લોટામાં પેશાબ ભરી પીવડાવ્યો!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
  • Add your answer
0
Would love your thoughts, please comment.x
()
x