રાજકોટ જિલ્લા BAMCEF (શેડો) દ્વારા ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે એક કેડર કેમ્પનું આયોજન કરાયું હતું. રાજકોટ શહેરના દાસી જીવણપરા પાસે આવેલા ડો.બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે આયોજિત આ કેડર કેમ્પમાં મોટી સંખ્યામાં BAMCEF શેડો સાથે સંકળાયેલા કાર્યકરો અને બહુજન સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં બહુજન સમાજના ધુરંધરોએ હાજર રહીને ઉપસ્થિત કાર્યકરોને બૌદ્ધિક માર્ગદર્શન પુરું પાડ્યું હતું. આ કેડર કેમ્પમાં વિખ્યાત બહુજન સાહિત્યકાર વિશન કાથડે ‘ભૂતકાળથી ભવિષ્ય તરફ એક દ્રષ્ટિ અને વર્તમાન પરિસ્થિતિ’ મુદ્દે વિસ્તૃત વક્તવ્ય આપ્યું હતું. જ્યારે કોડીનારના વતની અને વ્યવસાયે શિક્ષક એવા બહુજન લેખક-ચિંતક મયૂર વાઢેરે ‘જાતિ નિર્મૂલનના પરિપ્રેક્ષ્યમાં ડો.બાબાસાહેબ આંબેડકરની ભૂમિકા’ વિષય પર બૌદ્ધિક વક્તવ્ય આપ્યું હતું.

આ પણ વાંચો: દલિતોના અલગ મતાધિકારના વિરોધમાં ગાંધીજીએ કેવા પેંતરા કરેલા?
જામનગરના હાપામાં રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીપદે રહેલા રમેશભાઈ રાઠોડે ‘મહામાનવોના આંદોલનના સંદર્ભમાં વર્તમાન સમયમાં સમાજ નિર્માણની આવશ્યકતા’ વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. રાજકોટમાં મહાનગરપાલિકામાં મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડૉ. ભાવિન પરમારે ‘શાહુ, ફૂલે, આંબેડકરી અને માન્યવર કાંશીરામના મિશનમાં બામસેફનું દાયિત્વ’ વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.

આ કાર્યક્રમમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં બહુજન સમાજ ઉપસ્થિત રહ્યો હતો. આ કેડર કેમ્પનું આયોજન BAMCEF શેડોના સંયોજક ડો.ભાવિન પરમાર અને સહ સંયોજક શિલ્પાબેન પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: તોફાની તત્વોએ આદિવાસી યોદ્ધા ટંટ્યા મામાની પ્રતિમા તોડી નાખી












