Kutch News: કચ્છના માધાપરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ઢોંગી તાંત્રિકની ધરપકડ કરવામાં આવી છે. આરોપી તાંત્રિકે એક મહિલાને તેના ઘરમાં નડતર હોવાનું કહીને તેને તાંત્રિક વિધિ માટે બોલાવી હતી. એ પછી તેને બેભાન કરીને કપડાં ઉતારી શારીરિક અડપલાં શરૂ કર્યા હતા. પરંતુ તાંત્રિક પોતાની હવસ સંતોષે તે પહેલા મહિલા ભાનમાં આવી જતા દુષ્કર્મથી બચી ગઈ હતી. મહિલાએ બાદમાં પોલીસ જાણ કરતાં હવસખોર વિશાલ મહારાજને ઝડપી પાડ્યો છે.
કચ્છના માધાપરના વિશાલ મહારાજનું કારસ્તાન
આ કેસની મળતી માહિતી મુજબ, માધાપરની જલારામ સોસાયટીમાં રહેતા વિશાલ મહારાજ નામના વ્યક્તિ પાસે મહિલા પોતાના ઘરના સભ્યો બીમાર રહેતા હોવાથી નડતર દૂર કરાવવા માટે ગઈ હતી. તે દરમિયાન વિધિના નામે આરોપીએ મહિલા સાથે છેડતી કરી હતી. આરોપી વિશાલ મહારાજે મહિલાના મોઢા પર સ્પ્રે છાંટી તેને બેભાન અવસ્થામાં કરી તેના કપડાં ઉતારીને છેડતીનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો: કડીમાં ઠાકોર યુવકે 13 વર્ષની દલિત દીકરીનું જીવવું હરામ કરી નાખ્યું
મહિલા ભાનમાં આવી જતા તાંત્રિકનો પ્રતિકાર કર્યો
એ દરમિયાન મહિલા ભાનમાં આવી જતા તેણે આરોપીનો પ્રતિકાર કરીને આ મામલે તેને માધાપર પોલીસ સ્ટેશનમાં વિશાલ મારાજ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી નરાધમની ધરપકડ કરી છે. હાલ પોલીસે તાંત્રિક વિધિ ના નામે છેડતી કરનાર આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ પશ્ચિમ કચ્છ પોલીસે લોકોને અપીલ કરી છે કે કોઈપણ લોકો અંધશ્રદ્ધામાં ન આવે અને અન્ય કોઈ વ્યક્તિ પણ વિશાલ મહારાજનો ભોગ બન્યું હોય તો પોતાની પોલીસ ફરિયાદ નોંધાવે.
આ પણ વાંચો: કડીની દલિત સગીરાને ભગાડી ગર્ભવતી બનાવનારને 20 વર્ષની સજા
ક્રાઈમ પેટ્રોલ સીરિયલ જોઈને તાંત્રિક વિધિ કરતો હતો
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ક્રાઈમ પેટ્રોલ જોઈને તાંત્રિક વિધિ કરતો હતો અને વિધિના બહાને મહિલાને બેભાન કરીને તેમની સાથે છેડતી કરતો હતો. આરોપીએ અન્ય કોઈ મહિલા સાથે પણ તાંત્રિક વિધિના નામે છેડતી કરી છે કે કેમ તેને લઈને પણ પોલીસે હાલ તપાસ કરી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત દેશભરમાં હજુ પણ મહિલાઓ કહેવાતા તાંત્રિકોની જાળમાં ફસાઈને તાંત્રિક વિધિથી તેમના દુઃખ દૂર થઈ જશે તેવી અંધશ્રદ્ધામાં માનતી હોય છે. જેના કારણે આવા ઢોંગી તત્વો તેનો લાભ ઉઠાવી તાંત્રિક વિધિના નામે તેમની હવસ સંતોષતા હોય છે. આવા અનેક કિસ્સાઓ સમયાંતરે સામે આવતા રહે છે. ત્યારે મહિલાઓ અંધશ્રદ્ધા અને આવા ઢોંગી તત્વોથી દૂર રહે તે જ તેમના હિતમાં છે.
આ પણ વાંચો: ‘રેપ થયો તો શું થયું? આ 1 લાખ લઈને સમાધાન કરી લે..’










