જાતિવાદ માટે કુખ્યાત યુપીમાં ફરી એકવાર દલિત અત્યાચારની એક દર્દનાક ઘટના સામે આવી છે. અહીંના ફતેહપુરમાં એક દલિત વૃદ્ધને સરપંચના ભત્રીજા સહિતના આરોપીઓએ ઘરમાં બાંધીને ઢોર માર માર્યો હતો. જેના કારણે વૃદ્ધનું મોત થઈ ગયું હતું. આ કેસમાં પોલીસે એક મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરીને જેલમાં ધકેલી દીધાં છે.
આ ઘટના ગાઝીપુર પોલીસ સ્ટેશનના આયાહ ગામમાં બની હતી. મૃતકની ઓળખ 60 વર્ષીય ગંગા સાગર રૈદાસ તરીકે થઈ છે. એવો આરોપ છે કે ગામના સરપંચના ભત્રીજાએ તેના પરિવાર સાથે મળીને વૃદ્ધને માર માર્યો હતો, જેના પરિણામે તેમનું મોત નીપજ્યું હતું.

મૃતકના દીકરાની ફરિયાદના આધારે, એક મહિલા સહિત ચાર લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે લાલજી ઉર્ફે રામશરણ (48), બ્રિજરાજ ઉર્ફે તિરા (42), ઘનશ્યામ મિશ્રા (45) અને સુમન મિશ્રા (44) ની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: પ્રેમીપંખીડા માટે માઠા સમાચાર, લગ્ન કાયદામાં ફેરફાર થશે

આ કેસ 16 વર્ષની સગીરાના તેના ઘરેથી ગુમ થવાનો છે. ગામના સરપંચના ભત્રીજાએ ગંગા સાગર રૈદાસ અને તેમના પરિવારના સભ્યો, જે પાડોશમાં રહેતા દલિત પરિવારના સભ્યો હતા, તેમને પોતાના ઘરે બોલાવી બંધક બનાવ્યા હતા અને માર માર્યો હતો. આ મારપીટના પરિણામે વૃદ્ધ ગંગા સાગર રૈદાસનું મૃત્યુ થયું હતું.
રવિવારે પોસ્ટમોર્ટમ પછી, પરિવારે આરોપીઓની ધરપકડ ન થાય અને હત્યાનો કેસ દાખલ ન થાય ત્યાં સુધી મૃતદેહનો અગ્નિસંસ્કાર કરવાનો ઇનકાર કર્યો હતો. માહિતી મળતાં, DSP જાફરગંજ બ્રિજ મોહન રાય પોલીસ ટીમ સાથે પહોંચ્યા અને પરિવાર પાસેથી બીજી ફરિયાદ લીધી અને કાર્યવાહીનું વચન આપ્યું.
દરમિયાન, ભીમ આર્મીના જિલ્લા પ્રમુખ રાજેશ પાટીલ પણ તેમના સંગઠનના સભ્યો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા, જેનાથી પરિસ્થિતિ વધુ ગરમાઈ ગઈ. પરિવારે પોલીસ પર આરોપીઓ સાથે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો. DSPએ તેમને હત્યાનો કેસ દાખલ કરવાની ખાતરી આપી, ત્યારબાદ પરિવાર અંતિમ સંસ્કાર માટે સંમત થયો હતો.
મૃતકના પુત્ર કેશકરણે જણાવ્યું કે ગામના સરપંચની સગીર પુત્રી બુધવારે કોઈની સાથે ભાગી ગઈ હતી. ત્યારબાદ, ગુરુવારે સાંજે સરપંચના ભત્રીજાઓ ઘનશ્યામ મિશ્રા, તિરા, લાલજી મિશ્રા અને લાલજીની પત્નીએ તેમના બે પુત્રો આકાશ અને અભિષેકને તેમના ઘરે બોલાવ્યા, તેમને બંધક બનાવ્યા અને માર માર્યો.
આ પણ વાંચો: ‘ટીચર કહે છે તમે નીચી જાતિના છો, તમે લોકો અહીંના બેસો!’
જ્યારે બાબા ગંગા સાગર, અભિષેકની માતા વિદ્યા દેવી અને બહેનો સંધ્યા અને વંદના બચાવવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારે તેમના પર લાકડીઓ અને ઇંટો વડે હુમલો કરવામાં આવ્યો. ચાર ઘાયલો CHC માં સારવાર બાદ ઘરે પરત ફર્યા. પોલીસે હુમલો અને SC/ST નો કેસ નોંધ્યો છે. ગંગા સાગર રૈદાસનું શનિવારે મૃત્યુ થયું હતું.
રવિવાર સુધી હત્યાનો કેસ દાખલ ન થયો હોવાથી અને કોઈ ધરપકડ ન થઈ હોવાથી, મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. આ કેસમાં, DSP બ્રિજ મોહન રાયે જણાવ્યું હતું કે 16 જાન્યુઆરીએ પોલીસ સ્ટેશનમાં હુમલાનો કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ઉનાના આંકોલાળીનો પીડિત દલિત પરિવાર 13 વર્ષથી રઝળે છે












