પાટણ જિલ્લાના ચંદ્રુમાણા ગામમાં દલિત વરરાજાના વરઘોડા દરમિયાન તલવારો સહિતના ઘાતક હથિયારો વડે હુમલો કરનાર ઠાકોર સમાજના બુટલેગરો અને માથાભારે તત્વો સામે હવે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ 8 આરોપીઓ સામે એટ્રોસિટીનો ગુનો નોંધાયો છે. જેમાંથી 3ની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ કેસમાં જૂની અદાવત પણ જવાબદાર છે.
મામલો શું હતો?
આ કેસની મળતી માહિતી મુજબ પાટણ તાલુકાના ચદ્રુમણા ગામે અનુસૂચિત જાતિના વરઘોડામાં ડીજે વગાડવા મુદ્દે બે જૂથ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે આ મામલે 8 શખ્સો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટના 1 ફેબ્રુઆરી, 2026 ના રોજ બની હતી. ગણપતભાઈ કલાભાઈ ચાવડાના પુત્રના લગ્ન પ્રસંગે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. વરઘોડા બાદ ગામના જોગણી માતાના ચોકમાં રાસ-ગરબાનું આયોજન કરાયું હતું, જે આરોપી બકુજી જીવણજી ઠાકોરના ઘર નજીક છે. લગ્નનો માહોલ હતો, ઘરે મહેમાનોની અવરજવર હતી અને વરરાજાની જાન મહેસાણા જવા માટે પ્રસ્થાન કરવાની તૈયારીમાં હતી. ત્યાં જ ગામમાં ગેરકાયદેસર દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા ઠાકોર સમાજના કેટલાક માથાભારે તત્વો ખુલ્લી તલવારો સાથે વરરાજાના ઘરે ધસી આવ્યા હતા.

આ પણ વાંચો: રાજકોટમાં ભાજપના પૂર્વ સાંસદે 11 એકર જમીન પચાવી પાડી!
આ ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. વરઘોડા પર અચાનક થયેલા આ હુમલાને કારણે પ્રસંગમાં હાજર મહિલાઓ, બાળકો અને વડીલોમાં નાસભાગ મચી ગઈ હતી. જે આંગણે મંગળ ગીતો ગવાતા હતા, ત્યાં અચાનક ડર અને ચીસાચીસનો માહોલ સર્જાયો હતો.

આરોપીઓ સામે એટ્રોસિટી, બીએનએસ હેઠળ ફરિયાદ
પોલીસના જણાવ્યા મુજબ, ઠાકોર સમાજમાં શોકનો લોકાચાર ચાલતો હોવાથી આરોપીઓએ ફરિયાદી પક્ષને ડીજે બંધ કરવા જણાવ્યું હતું. આ મુદ્દે બંને પરિવારો સામસામે આવી જતાં ઝઘડો થયો અને ગામમાં તંગદિલીભર્યો માહોલ સર્જાયો. ઘટનાની જાણ થતાં જ ફરિયાદીએ 112 નંબર પર પોલીસને જાણ કરી. તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો અને મામલો થાળે પાડ્યો. પોલીસે કુલ 8 આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS), જી.પી. એક્ટ અને એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ FIR દાખલ કરી છે.
પોલીસે એક સગીર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી
પોલીસે અત્યાર સુધીમાં બકુજી ઠાકોર, જીવનજી ઠાકોર અને એક સગીર સહિત 3 આરોપીઓની અટકાયત કરી છે. ફરાર અન્ય 5 આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: દલિત માતા બજારમાં શાકભાજી વેચતી હતી, પછી જે થયું તે રડાવી દેશે..
પહેલી નજરે જ જાતિવાદ દેખાતો હોવા છતાં પોલીસનું જુદું નિવેદન
આ કેસમાં સ્પષ્ટ રીતે જાતિવાદ હોવાનું જણાતું હોવા છતાં ડીવાયએસપી પરેશ રેણુકાએ જણાવ્યું હતું કે, આ વિવાદ પાછળ કોઈ જાતિવાદી કારણ નથી. ફરિયાદી અને આરોપીઓ વચ્ચે લાંબા સમયથી જમીન બાબતે જૂની અદાવત ચાલી રહી છે. અગાઉ 2022 માં પણ આ જ પક્ષકારો વચ્ચે જમીન બાબતે માથાકૂટ થતા એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ હતી. પ્રાથમિક તપાસમાં જૂની અદાવત મુખ્ય કારણ હોવાનું જણાય છે. આરોપી જીવનજી ઠાકોર ,બકુજી ઠાકોર અને એક સગીર ધરપકડ કરવામાં આવી છે.
જો કે, વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, આરોપી હાથમાં ખૂલ્લી તલવાર સાથે જાતિસૂચક અપશબ્દો બોલતો ફરિયાદી દલિતના ઘર તરફ ધસી જાય છે. તેમ છતાં પોલીસ કોના દબાણ હેઠળ આરોપીઓને છાવરવા પ્રયાસ કરી રહી છે, તે સવાલ ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો: પાટણના ચંદ્રુમાણામાં દલિતના વરઘોડા પર બુટલેગરનો તલવારથી હુમલો!














Most important new