રવિવારે છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લાના દુટકૈયા ગામમાં કોમી તણાવ ફાટી નીકળ્યો હતો. ટોળાએ મુસ્લિમ સમાજના સભ્યોના ઘરો પર હુમલો કર્યો. તેમણે 6 ઘરોમાં તોડફોડ કરીને આગ લગાવી દીધી. મહિલાઓ અને બાળકો સહિત બે ડઝનથી વધુ લોકોના જીવ બચાવવા માટે પોલીસે કલાકો સુધી ચોકી કરી હતી. હિંસા દરમિયાન ઓછામાં ઓછા 7 પોલીસકર્મીઓ ઘાયલ થયા. લઘુમતી પરિવારોને ગામની બહાર આશ્રય લેવાની ફરજ પડી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, થોડા કલાકો પહેલા બનેલી ઘટનાઓને કારણે હિંસા ભડકી હતી. રવિવારે સવારે આરિફ ખાન અને તેના બે સાથીઓ, જે રાયપુરથી આવ્યા હતા, તેમણે ગામના ચાર લોકો પર હુમલો કર્યો હતો. આરિફ અને તેના સાથીઓ પર 2024માં ગામના ચાવેશ્વર શિવ મંદિરમાં તોડફોડ કરવાનો આરોપ હતો. આરિફ તે સમયે સગીર હોવાથી તેને બાળ સુધારણા ગૃહમાં મૂકવામાં આવ્યો હતો. તે વર્ષના અંતમાં તેને જામીન મળી ગયા હતા પરંતુ તે ગામમાં પાછો ફર્યો નહોતો.

પરંતુ ગત રવિવારે સવારે આરિફ રાયપુરથી તેના બે મિત્રો સાથે પાછો ફર્યો હતો. આરિફ અને તેના સાગરિતો દ્વારા જેમને માર મારવામાં આવ્યો હતો તેમાંથી એક વ્યક્તિ મંદિરમાં થયેલી તોડફોડની ઘટનાનો સાક્ષી હતો.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે UGCના નવા નિયમો પર સ્ટે મૂક્યો, કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ

પોલીસે આરિફ અને તેના સાથીઓ વિરુદ્ધ ચાર કેસ નોંધ્યા અને ગ્રામજનોને ખાતરી આપી કે આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. પરંતુ એ પછી ગામના કેટલાક લોકોએ આરિફના ઘરમાં તોડફોડ શરૂ કરી દીધી હતી. ધ હિન્દુના અહેવાલ મુજબ, પોલીસની એક ટીમ ગામમાં પહોંચી અને ગામલોકોને વધુ હિંસા ન કરવા સમજાવ્યા હતા. પરંતુ આ શાંતિ લાંબો સમય ટકી ન હતી. ટૂંક સમયમાં, દુટકૈયા અને આસપાસના ગામડાઓમાંથી સેંકડો લોકોનું મોટું ટોળું લાકડીઓ, ઇંટો, પથ્થરો અને કેરોસીનની બોટલો સાથે ભેગું થયું. ટોળાએ ગામમાં રહેતા 10 મુસ્લિમ પરિવારોના ઘરોમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો, જેમણે પોતાને અંદરથી બંધ કરી દીધા હતા.
મીડિયા રિપોર્ટ મુજબ, ટોળાએ પહેલા વાહનોને આગ ચાંપી દીધી અને પછી મુસ્લિમ પરિવારોના ઘરોમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, રાજ્યમાં ચાલી રહેલા રાજી કુંભ મેળાને કારણે પોલીસ કર્મચારીઓની અછત હતી. અમે ઘણા કલાકો સુધી ઢાલ બનીને ઊભા રહ્યા, મહિલાઓ અને બાળકોનું રક્ષણ કર્યું. ટોળાએ પથ્થરમારો કર્યો અને પડોશી ઘરોમાંથી ઘૂસવાનો પ્રયાસ કર્યો.
આ પણ વાંચો: રવિદાસ જયંતિની ઉજવણી લોહીયાળ બની, ગોળીબારમાં 2 ના મોત
અહેવાલો અનુસાર, પોલીસે ટોળાને રોકવા માટે તમામ પ્રયાસો કર્યા. રાત્રે 9 વાગ્યા સુધીમાં વધારાના પોલીસ દળો બે તબક્કામાં પહોંચ્યા. ત્યાં સુધીમાં પોલીસે ફસાયેલા લોકોને ભેગા કરી દીધા હતા. પોલીસે ભીડને વિખેરવા માટે બળનો ઉપયોગ કર્યો અને બસ દ્વારા લગભગ 20 લોકોને સલામત સ્થળે લઈ ગયા. આ પરિવારોના બે પુખ્ત વયના લોકો ઘાયલ થયા.
બાદમાં, પોલીસને ખબર પડી કે મદરેસામાં 6-7 બાળકો ફસાયેલા છે. તેમને પણ બચાવી લેવામાં આવ્યા. આ ઘટનામાં છ પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. મધ્યરાત્રિની આસપાસ પરિસ્થિતિ કાબૂમાં આવી હતી. પોલીસ જવાની તૈયારી કરી રહી હતી ત્યારે ભીડમાંથી એક મહિલાએ એક પોલીસકર્મી પર ઈંટ ફેંકી, જેનાથી તેને માથામાં ગંભીર ઈજા થઈ. અન્ય પોલીસકર્મીઓને પણ નાની-મોટી ઇજાઓ પહોંચી હતી.
આ પણ વાંચો: વડગામના નળાસરમાં આદિવાસી યુવકને હડકવા ઉપડતા કરડવા દોડ્યો
જ્યારે પત્રકારો બીજા દિવસે બપોરે ગામમાં પહોંચ્યા, ત્યારે તેમણે સળગતા વાહનો અને આંશિક રીતે બળી ગયેલા ઘરો જોયા. ગામમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો. બધા મુસ્લિમ પરિવારો ગામ છોડીને અન્યત્ર આશરો લીધો હતો.
પોલીસે સોમવારે એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે ઘટના બાદ ભીડ એકઠી થઈ ગઈ હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી, પરિસ્થિતિને કાબુમાં લીધી અને ઓછામાં ઓછા બળનો પ્રયોગ કરીને ભીડને વિખેરી નાખી. ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. રમખાણો માટે બે FIR નોંધવામાં આવી છે. કેટલાક અહેવાલો મુજબ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પરિસ્થિતિ હાલ નિયંત્રણમાં છે, પરંતુ ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત યથાવત છે.
આ પણ વાંચો: સુરતમાં જાતિસૂચક 75 જેટલા વિસ્તારોના નામ બદલવામાં આવશે











