તમિલનાડુના તિરુનેલવેલીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક ૨૦ વર્ષીય કોલેજ વિદ્યાર્થિની શિવમતીનું તેના લગ્નના ગણતરીના દિવસો પહેલા જ શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું છે. શિવમતી કૉલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને કથિત સવર્ણ જાતિમાંથી આવતી હતી. તેના મૃત્યુ બાદ તેના પ્રેમી અને મંગેતરે ઓનર કિલીંગનો આરોપ લગાવ્યો છે.
6 ફેબ્રુઆરીએ છાનામાના લગ્ન કરવાની હતી
શિવમતી એક ખાનગી મોબાઈલ કંપનીમાં કામ કરતા દલિત યુવકના પ્રેમમાં હતી. બંનેએ પોતાના સંબંધોને લગ્નનું સ્વરૂપ આપવાનું નક્કી કર્યું હતું. જોકે, આંતરજાતીય સંબંધ હોવાને કારણે શિવમતીના પરિવારજનો આ લગ્નની સખત વિરુદ્ધમાં હતા. પરિવારના વિરોધને જોતા, પ્રેમી પંખીડાઓએ આગામી ૬ ફેબ્રુઆરીના રોજ ગુપ્ત રીતે લગ્ન કરવાનું આયોજન કર્યું હતું.

આ પણ વાંચો: મહેસાણામાં ઠાકોર ભાઈએ મુસ્લિમ બહેનના સંતાનોનું લાખોનું મામેરું ભર્યું
યુવકના જણાવ્યા અનુસાર, શિવમતીના પરિવાર તરફથી તેમને સતત ધમકીઓ મળી રહી હતી. ખાસ કરીને શિવમતીના મામાએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મંગેતરનો દાવો છે કે આ આત્મહત્યા નથી પરંતુ આયોજનબદ્ધ ‘ઓનર કિલિંગ’ છે અથવા તો તેને મરવા માટે મજબૂર કરવામાં આવી છે.

પોલીસ તપાસ શરૂ, મેડિકલ રિપોર્ટની રાહ
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મામલાની સંવેદનશીલતા અને જાતિગત હિંસાની આશંકાને જોતા તપાસની કમાન આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (ACP) ને સોંપવામાં આવી છે. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, ઘટનાસ્થળના પુરાવાઓ પ્રથમ દૃષ્ટિએ આત્મહત્યા તરફ ઈશારો કરે છે. શરીર પર કોઈ બાહ્ય ગંભીર ઈજાના નિશાન છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે. પરિવારજનો અને મંગેતરના નિવેદનો લેવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે.
વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે તમામ એંગલથી તપાસ કરી રહ્યા છીએ. જ્યાં સુધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ (PM) નથી આવતો ત્યાં સુધી આને હત્યા ગણવી ઉતાવળ ગણાશે. જો રિપોર્ટમાં કોઈ શંકાસ્પદ બાબત જણાશે તો તાત્કાલિક કડક કલમો હેઠળ ગુનો નોંધવામાં આવશે.”
આ પણ વાંચો: ‘એ દલિત છે, તું એની સાથે લગ્ન કરવાનું વિચારી કેમ શકે?’
શિવમતિના મિત્રો અને સાથીદારોની પૂછપરછ કરાઈ
આ ઘટનાને પગલે વિસ્તારમાં જાતિગત તણાવ વધવાની શક્યતાને જોતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તમિલનાડુમાં અગાઉ પણ આંતરજાતીય લગ્નોને લઈને હિંસક ઘટનાઓ બની ચુકી છે, જેને કારણે વહીવટીતંત્ર અત્યંત સાવચેતી વર્તી રહ્યું છે. શિવમતીના મિત્રો અને કોલેજના સાથીદારોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે જેથી તેના છેલ્લા કલાકોની હિલચાલ વિશે જાણી શકાય.
હાલમાં પોલીસે ‘શંકાસ્પદ મૃત્યુ’નો ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પરંચુ શું આ ખરેખર પ્રેમ માટે આપેલું બલિદાન છે કે પછી સામાજિક રૂઢિચુસ્તતાનો ભોગ બનેલી એક દીકરીની હત્યા? તે તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો: કાકોરીમાં દલિત પરિવારને પેટ્રોલ છાંટી જીવતા સળગાવી દેવા પ્રયાસ










