Adivasi News: RSS અને ભાજપના નેતાઓ આદિવાસી સમાજ હિંદુ હોવાના વારંવાર ગાણા ગાય છે. પરંતુ આદિવાસીઓ હિંદુ નથી તે સૌ જાણે છે. વળી જાતિવાદી હિંદુ ધર્મમાં આદિવાસી સમાજને સવર્ણો હિંદુ ગણતા પણ નથી. કટ્ટર મનુવાદી ભાજપના કથિત સવર્ણ હિંદુ નેતાઓ આદિવાસીઓ સમાજનું વારંવાર અપમાન કરે છે. આવી જ વધુ એક ઘટના દેશમાં આદિવાસીઓની સૌથી વધુ વસ્તી ધરાવતા મધ્યપ્રદેશમાંથી સામે આવી છે. જ્યાં પાર્કમાં ચિત્તા છોડવાના કાર્યક્રમમાં ભાજપના સવર્ણ હિંદુ નેતાઓને તો પ્રવેશ અપાયો હતો, પરંતુ રાજ્ય કક્ષાના મંત્રી હોવા છતાં આદિવાસી નેતાને પાર્કના ગેટ પર જ રોકી દેવાયા હતા.
રાજ્યમંત્રી સીતારામ આદિવાસીનો આક્રોશ
સહરિયા વિકાસ પ્રાધિકરણના ઉપાધ્યક્ષ અને રાજ્યમંત્રીનો દરજ્જો ધરાવતા સીતારામ આદિવાસી જ્યારે કૂનોના ગેટ પર પહોંચ્યા, ત્યારે તેમને અને તેમના સમર્થકોને પોલીસે ગેટ પર જ રોકી દીધા હતા. અત્યંત દુઃખ અને રોષ સાથે સીતારામ આદિવાસીએ જાહેરમાં સ્વીકાર્યું કે, “હું આદિવાસી છું, એટલા માટે જ મારું આટલું મોટું અપમાન કરવામાં આવ્યું છે. મને જાણીજોઈને આમંત્રણ આપવામાં આવ્યું નથી અને હવે ગેટ પરથી પણ પાછો કાઢવામાં આવી રહ્યો છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે અનેક એવા લોકો જેમના નામ યાદીમાં પણ નથી, તેવા સવર્ણ કાર્યકર્તાઓ અંદર મોજ કરી રહ્યા છે, જ્યારે એક લોકપ્રતિનિધિ અને મંત્રી હોવા છતાં મને ‘આદિવાસી’ હોવાના કારણે બહાર ઉભો રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો: આણંદના કાવઠની બે સગી બહેનોએ PSI બની ઈતિહાસ રચ્યો
આદિવાસી પ્રતિનિધિઓનું જાણી જોઈને પતન
માત્ર સીતારામ આદિવાસી જ નહીં, પરંતુ જિલ્લા પંચાયત પ્રમુખ ગુડ્ડીબાઈ આદિવાસી સાથે પણ આવો જ ઓરમાયું વર્તન કરવામાં આવ્યું હતું. તેમના પતિને પ્રવેશ ન મળતા તેઓ ભારે હૈયે પરત ફર્યા હતા. વિજયપુરના આદિવાસી ધારાસભ્ય મુકેશ મલ્હોત્રાએ પણ આરોપ લગાવ્યો કે તેમના પોતાના વિસ્તારમાં કાર્યક્રમ હોવા છતાં આદિવાસી હોવાને કારણે જ તેમને બાકાત રખાયા છે. આ ઘટનાક્રમ સ્પષ્ટ કરે છે કે હિંદુત્વના નામે આદિવાસીઓનો મત લેનારા સવર્ણ નેતાઓ માનસિક રીતે આદિવાસીઓને ક્યારેય પોતાના બરાબર ગણવા તૈયાર નથી.

આદિવાસીઓ હિંદુ નથીઃ ભેદભાવ જ પુરાવો છે
આદિવાસી ચિંતકો લાંબા સમયથી કહેતા આવ્યા છે કે આદિવાસીઓ પ્રકૃતિપૂજક છે અને તેમની સંસ્કૃતિ હિંદુ ધર્મથી સાવ અલગ છે. કૂનોની ઘટના આ વાત પર મહોર મારે છે. જો આદિવાસીઓ હિંદુ હોત, તો સવર્ણો તેમને આ રીતે નીચા ન ગણતા હોત. હિંદુ ધર્મની વર્ણવ્યવસ્થામાં આદિવાસીઓને ક્યારેય સન્માનજનક સ્થાન મળ્યું નથી. સવર્ણ હિંદુઓ આદિવાસીઓનો ઉપયોગ માત્ર જંગલની જમીનો પડાવવા અને મત મેળવવા માટે કરે છે. જ્યારે આદિવાસી નેતા આત્મસન્માન સાથે મંચ પર બેસવા જાય છે, ત્યારે સવર્ણ માનસિકતા ધરાવતું તંત્ર તેમને ‘પ્રોટોકોલ’ ના બહાને ગેટ પર રોકી લે છે. આદિવાસીઓ જો હિંદુ હોત, તો તેમની સાથે શૂદ્ર જેવો વ્યવહાર ન થતો હોત.
આ પણ વાંચો: આદિવાસી દીકરીએ ખેતરમાં મજૂરી કરીને દેશની સૌથી અઘરી પરીક્ષા JEE પાસ કરી
ભાજપના સવર્ણ કાર્યકર્તાઓનું વર્ચસ્વ અને તંત્રની મિલીભગત
કૂનોમાં જ્યાં ચિત્તાઓ રિલીઝ કરવામાં આવ્યા, ત્યાં ભાજપના અનેક ‘છુટભૈયા’ સવર્ણ નેતાઓ અને કાર્યકર્તાઓ બેરોકટોક ફરતા જોવા મળ્યા હતા. આ લોકોએ સોશિયલ મીડિયા પર ફોટા મૂકીને પોતાની વગનું પ્રદર્શન કર્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે જેમની પાસે કોઈ સત્તાવાર પદ નથી એવા સવર્ણો અંદર હતા, પણ જેમના માથે મંત્રી કે ધારાસભ્યનું પદ છે એવા આદિવાસીઓ ગેટની બહાર ધક્કા ખાતા હતા. આ ઘટના સાબિત કરે છે કે વહીવટી તંત્રમાં પણ સવર્ણવાદના મૂળ એટલા ઊંડા છે કે તેઓ ચૂંટાયેલા આદિવાસી નેતા કરતા સામાન્ય સવર્ણ કાર્યકર્તાને વધુ મહત્વ આપે છે.
સીતારામ આદિવાસીએ શું કહ્યું?
સીતારામ આદિવાસીએ જાહેરાત કરી છે કે તેઓ આ અન્યાયની ફરિયાદ સંગઠન સ્તરે કરશે, પરંતુ પ્રશ્ન એ છે કે શું આદિવાસીઓને ન્યાય મળશે? શું સવર્ણ માનસિકતા ધરાવતું ભાજપું રાજકીય માળખું આદિવાસીઓને કદી તેમની સમક્ષ ગણશે ખરા? કૂનોની આ ઘટનાએ આદિવાસી સમાજની આંખો ખોલી દીધી છે. તે સંદેશ આપે છે કે આદિવાસીઓએ પોતાની અલગ ઓળખ અને આત્મસન્માન માટે હવે જાગૃત થવાની જરૂર છે. જે વ્યવસ્થા તેમને ગેટ પર રોકે છે, તે ક્યારેય તેમનું કલ્યાણ કરી શકતી નથી. સવર્ણ જાતિવાદે આજે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ભારતનો આદિવાસી આજે પણ સામાજિક રીતે હાંશિયામાં જ છે.
આ પણ વાંચો: 100 ગામના આદિવાસીઓએ મળીને 1.5 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપની બનાવી
આદિવાસી સમાજની આંખો ક્યારે ખૂલશે?
આ ઘટનાએ ફરી એકવાર એ પ્રશ્ન ઉભો કર્યો છે કે શું આદિવાસીઓ ખરેખર હિંદુ છે? જો આદિવાસીઓ હિંદુ ધર્મનો અભિન્ન અંગ હોત, તો સવર્ણ હિંદુ નેતાઓ અને સરકારી તંત્ર દ્વારા તેમની જ જમીન પર થતા કાર્યક્રમોમાં તેમનું આટલું ઘૃણાસ્પદ અપમાન ન કરવામાં આવ્યું હોત. વાસ્તવિકતા એ છે કે જ્યારે સત્તા અને સન્માન વહેંચવાની વાત આવે છે, ત્યારે કથિત ઉચ્ચ જ્ઞાતિના નેતાઓ આદિવાસીઓને આજે પણ ‘નીચા’ અને ‘અસ્પૃશ્ય’ જ ગણે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં SC-ST-OBC ને 20,000 એકર જમીનનો કબજો ક્યારે?










