Adivasi News: આદિવાસી સમાજના ભોળપણ અને નિરક્ષરતાનો નેતાઓ કેવી રીતે લાભ ઉઠાવી જાય છે તેની આ વાત છે. છત્તીસગઢના અંબિકાપુરમાં સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો વિવાદ અત્યારે ચર્ચાના ચગડોળે ચડ્યો છે. આ વિવાદ માત્ર એક હોસ્પિટલના ગેરકાયદે બાંધકામનો નથી, પરંતુ સત્તા અને રાજકારણના જોરે આદિવાસીઓના હકો અને તેમની જમીનો કેવી રીતે હડપવામાં આવે છે તેનું જીવંત ઉદાહરણ છે. એડવોકેટ અભિષેક માલવીય દ્વારા વડાપ્રધાન કાર્યાલય (PMO) ને કરવામાં આવેલી ફરિયાદમાં જે તથ્યો બહાર આવ્યા છે તે ચોંકાવનારા છે. આ મામલામાં અંબિકાપુરના કોંગ્રેસના નેતા અને પૂર્વ મેયર ડો. અજય તિર્કી અને તેમના સાથી ડોક્ટરો સામે ગંભીર આક્ષેપો થયા છે.
મામલો શું છે?
મુખ્ય વિવાદ નમનકલા ગ્રામની આશરે 2.26 એકર નઝૂલ જમીન સાથે જોડાયેલો છે. આ જમીનનો મોટો હિસ્સો આદિવાસી સમાજ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. સરગુજાના કલેક્ટરે સપ્ટેમ્બર 2024માં આ જમીનનું ફાળવણી (Allotment) રદ કરી દીધી હતી અને નઝૂલ અધિકારીને દબાણ હટાવવા સ્પષ્ટ આદેશ આપ્યો હતો. છતાં, મહિનાઓ વીતી ગયા હોવા છતાં હોસ્પિટલનું સંચાલન ધમધમી રહ્યું છે. જ્યારે કલેક્ટર પોતે જમીન ખાલી કરવાનો આદેશ આપે, ત્યારે પણ જો કાર્યવાહી ન થાય તો સમજી શકાય છે કે પડદા પાછળ કેવા રાજકીય હિતો સચવાઈ રહ્યા છે.

આ પણ વાંચો: ડૉ.આંબેડકર અને સાવરકર વચ્ચે કેવો સંબંધ હતો?
કૉંગ્રેસ ક્યા મોઢે આદિવાસીઓના હિતોના રક્ષણની વાત કરે છે?
આ કેસમાં સૌથી ગંભીર બાબત બંધારણની પાંચમી અનુસૂચિનું ઉલ્લંઘન છે. આદિવાસી જમીનનો વ્યવસાયિક ઉપયોગ કરવો એ કાયદાકીય ગુનો છે, તેમ છતાં આ જમીન ગિરવે રાખીને નાણાકીય લાભ લેવાના પ્રયાસો થયા હોવાના આક્ષેપ છે. આદિવાસીઓના નામે મગરમચ્છના આંસુ સારનારા નેતાઓ જ જ્યારે તેમની જમીન પર કરોડોની હોસ્પિટલ ઉભી કરે, ત્યારે આદિવાસી સમાજની સુરક્ષા પર મોટા સવાલો ઉભા થાય છે. નર્સિંગ હોમ એક્ટના ઉલ્લંઘનથી લઈને બેડની સંખ્યામાં છેતરપિંડી સુધીના અનેક કૌભાંડો આ સંસ્થા સાથે જોડાયેલા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પૂર્વ મેયર જેવા જવાબદાર હોદ્દા પર રહી ચૂકેલા વ્યક્તિઓ જ્યારે આવા વિવાદમાં સંડોવાય ત્યારે સામાન્ય આદિવાસીનો વિશ્વાસ તંત્ર પરથી ઉઠી જાય છે.

આ પણ વાંચો: મંદબુદ્ધિના દલિત યુવકને દારૂ પાયો, કૂતરા સાથે શરમજનક કૃત્ય કરાવ્યું
નેતાઓને કાયદાનો કોઈ ડર કેમ નથી?
આ ઘટના માત્ર એક હોસ્પિટલ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે આખા આદિવાસી સમાજ માટે ચેતવણી સમાન છે. સત્તાધારી પક્ષો કે મોટા નેતાઓ ગમે તે હોય, આદિવાસીઓની જમીન અને જળ-જંગલ પર હંમેશા ધનિકોની નજર રહેલી હોય છે. કલેક્ટરના આદેશને ઘોળીને પી જનાર આ મેનેજમેન્ટ સાબિત કરે છે કે તેમને કાયદાનો કોઈ ડર નથી કારણ કે તેમને રાજકીય છત્રછાયા મળી રહી છે. જમીન રેકોર્ડની હેરાફેરી અને ખોટા સોગંદનામા રજૂ કરીને આદિવાસી હકો પર તરાપ મારવી એ હવે એક વ્યવસ્થિત ષડયંત્ર બની ગયું છે.
આદિવાસી સમાજ જાગૃત બને તે જરૂરી છે
જો આદિવાસી સમાજ આજે જાગૃત નહીં થાય અને પોતાના હકો માટે અવાજ નહીં ઉઠાવે, તો આવનારા સમયમાં તેમની પૂર્વજોની જમીન પર આવા જ રક્ષકો ભક્ષક બનીને બેસી જશે. વહીવટી તંત્રની મૌન સહમતિ અને નેતાઓની મિલિભગત આદિવાસી અસ્મિતા માટે ગંભીર ખતરો છે. અંબિકાપુરનો આ કિસ્સો એ જ દર્શાવે છે કે કાયદો કાગળ પર તો છે, પણ જ્યારે અમલની વાત આવે ત્યારે વગદાર લોકો તેને રોકી દે છે. હવે સમય આવી ગયો છે કે આદિવાસી સમાજ સંગઠિત થઈને પોતાની જમીન બચાવવા મેદાનમાં આવે.
આ પણ વાંચો: 100 ગામના આદિવાસીઓએ મળીને 1.5 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપની બનાવી










