ગુજરાતમાં રંગોના પર્વ હોળી અને ધૂળેટીની ઉજવણી આ વર્ષે અનેક પરિવારો માટે કાળ સાબિત થઈ છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નદી, તળાવ અને કેનાલોમાં નહાવા પડેલા યુવાનો અને ભયાનક માર્ગ અકસ્માતની ઘટનાઓમાં કુલ 35 થી વધુ લોકોના કરુણ મોત નીપજ્યા છે. આ આંકડો પાછલા વર્ષોની સરખામણીએ ચિંતાજનક રીતે વધુ છે. સૌથી વધુ જાનહાનિ પાણીમાં ડૂબી જવાની ઘટનાઓમાં થઈ છે, જે દર્શાવે છે કે તહેવારના ઉત્સાહમાં લોકો સુરક્ષાના નિયમોને નેવે મૂકી રહ્યા છે. અમદાવાદના કોતરપુર પાસે સાબરમતી નદીમાં નહાવા પડેલા 4 યુવાનોના ડૂબી જવાથી મોત થયા હતા, જે તમામ કુબેરનગર વિસ્તારના રહેવાસી હતા અને મિત્રો સાથે ધૂળેટી ઉજવવા નદીએ ગયા હતા. આવી જ હૃદયદ્રાવક ઘટના મહીસાગર જિલ્લાના કોઠંબા પાસે આવેલા નાકા તળાવમાં બની હતી, જ્યાં પણ 4 યુવાનોના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા હતા.
દક્ષિણ ગુજરાતમાં પણ અનેકના મોત
દક્ષિણ ગુજરાતમાં પણ સ્થિતિ ખૂબ જ ગંભીર રહી હતી. સુરત જિલ્લાના માંગરોળની કીમ નદીમાં 3 મિત્રો અને બારડોલીની મિઢોળા નદીમાં નહાવા પડેલા 4 યુવાનોના ડૂબી જવાથી મોત થયા હતા. આ ઘટનાઓમાં ફાયર બ્રિગેડની ટીમોને મૃતદેહો બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ ઉપરાંત પંચમહાલ, અરવલ્લી, નર્મદા અને કચ્છ જિલ્લામાં પણ સ્થાનિક જળાશયોમાં ડૂબી જવાની નાની-મોટી ઘટનાઓમાં અન્ય 10 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા નદી અને કેનાલો પર નહાવા જવા પર પ્રતિબંધ હોવા છતાં લોકોની બેદરકારી અને જોખમી રીતે પાણીમાં ઉતરવાની વૃત્તિ આ મૃત્યુનું મુખ્ય કારણ બની છે.

માર્ગ અકસ્માતમાં પણ અનેક લોકોએ જીવ ગુમાવ્યા
માર્ગ અકસ્માતોની વાત કરીએ તો, અમરેલી જિલ્લો આ વર્ષે રક્તરંજિત રહ્યો હતો. અહીં છેલ્લા 48 કલાકમાં નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે પર સર્જાયેલા વિવિધ અકસ્માતોમાં કુલ 7 લોકોના મોત થયા છે. ભાવનગર-સોમનાથ હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચેની જોરદાર ટક્કરમાં માસૂમ બાળક સહિત ત્રણના મોત થયા હતા, જ્યારે અન્ય સ્થળોએ હિટ એન્ડ રનની ઘટનાઓ બની હતી.
આ પણ વાંચોઃ “અકસ્માત વધે તો સરકાર શું કરે? ગ્રહોની ચાલ જોઈને ઘરેથી નીકળો?”

અનેક લોકોને હોળી ઉજવવા જતા મોત મળ્યું
અરવલ્લીમાં પણ બે મોટરસાયકલ વચ્ચે સામસામે થયેલી જોરદાર ટક્કરમાં બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ યુવાનો હોળી મનાવવા પોતાના વતન જઈ રહ્યા હતા ત્યારે માર્ગમાં જ કાળ આંબી ગયો હતો. ભાવનગરના ઘોઘા પંથકમાં પણ પંચાયતની બેદરકારીને કારણે ખુલ્લા રખાયેલા જોખમી ખાડામાં બાઈક ખાબકતા એક યુવાનનું અને નીલગાય આડી ઉતરતા બીજા એક યુવાનનું અકસ્માતે મોત થયું હતું. વડોદરાના સાવલીમાં કેસૂડાના ફૂલ તોડતી વખતે હાઈટેન્શન વાયરને અડી જવાથી વીજ કરંટ લાગતા 29 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું હતું.
108 ઈમરજન્સીની સેવામાં પણ ઉછાળો
તહેવાર દરમિયાન ઇમરજન્સી સેવાઓની જરૂરિયાતમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો હતો. 108 ઇમરજન્સી સેવાને ધૂળેટીના દિવસે રાજ્યભરમાંથી આશરે 3800 થી વધુ ઇમરજન્સી કોલ્સ મળ્યા હતા, જે સામાન્ય દિવસોની સરખામણીએ 25 ટકા વધુ છે. આ આંકડાકીય વિશ્લેષણ મુજબ, માર્ગ અકસ્માતના કેસોમાં 120 ટકાથી વધુ અને જૂથ અથડામણ કે મારામારીના કિસ્સાઓમાં 400 ટકા જેટલો આઘાતજનક વધારો નોંધાયો હતો. ખાસ કરીને અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા મહાનગરોમાં 108 એમ્બ્યુલન્સની સેવાઓ સતત કાર્યરત રહી હતી.
વહીવટી તંત્ર નદીઓ પાસે વધુ વ્યવસ્થા ક્યારે ગોઠવશે?
પર્વના દિવસે થયેલા આ મૃત્યુના આંકડા રાજ્યમાં સુરક્ષા પ્રત્યેની ગંભીરતા અને નાગરિકોમાં જાગૃતિના અભાવ તરફ ઈશારો કરે છે. રાજ્યના ગૃહ વિભાગે તમામ ઘટનાઓ અંગે અકસ્માતે મોતના ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ આ ગોઝારી ઘટનાઓએ સમગ્ર ગુજરાતમાં ભારે શોકની લહેર ફેલાવી દીધી છે. મૃતકોના પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે અને હોળીના રંગો લોહીના લાલ રંગમાં ફેરવાઈ ગયા હોય તેવી કરુણ સ્થિતિ સર્જાઈ છે. વહીવટી તંત્ર હવે આગામી તહેવારોમાં આવી જાનહાનિ રોકવા માટે જળાશયો પાસે પોલીસ બંદોબસ્ત અને માર્ગ સુરક્ષા માટે વધુ કડક પગલાં લેવા આયોજન કરી રહ્યું છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં દારૂના વેચાણ મામલે સરકાર કરતા બૂટલેગરોનું ટર્નઓવર વધુ!











