બોટાદ: ગુજરાતના બોટાદ જિલ્લાના એક સામાન્ય પરિવારના યુવાન મિલિંદ બૌદ્ધે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી શૈક્ષણિક સિદ્ધિ હાસલ કરી છે. બોટાદના “રાજગૃહ” ખાતે રહેતા અને સમતા બુદ્ધ વિહારના પ્રમુખ બોધિરાજ બૌદ્ધ (પરેશભાઈ રાઠોડ) તથા પ્રતિભા બૌદ્ધ (પ્રભાબેન રાઠોડ) ના પુત્ર મિલિંદ બૌદ્ધ (પાર્થ રાઠોડ) ની થાઈલેન્ડની પ્રતિષ્ઠિત ‘ઈન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કોલેજ’ (IBC) માં માસ્ટર ડિગ્રીના અભ્યાસક્રમ માટે પસંદગી કરવામાં આવી છે. આ વર્ષે સમગ્ર ગુજરાત અને બોટાદ જિલ્લામાંથી બુદ્ધિઝમમાં માસ્ટર ડિગ્રી માટે વિદેશ જનાર તે પ્રથમ વિદ્યાર્થી બન્યાં છે.
બુદ્ધિઝમ સ્ટડીની અઘરી પરીક્ષા
મિલિંદ બૌદ્ધે પ્રારંભિક ઉચ્ચ શિક્ષણ મહારાષ્ટ્રના નાગપુર ખાતે આવેલી નાગાર્જુન ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ (નાગલોક કોલેજ) માંથી મેળવ્યું છે, જ્યાં તેણે બુદ્ધિઝમ વિષય સાથે બેચલર ઓફ આર્ટ્સ (B.A.) ની પદવી પૂર્ણ કરી હતી. ત્યારબાદ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અર્થે તેણે થાઈલેન્ડની ઈન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે આયોજિત જટિલ લેખિત પરીક્ષા અને વ્યક્તિગત ઈન્ટરવ્યૂ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. આ કઠિન સ્પર્ધાત્મક પ્રક્રિયાને સફળતાપૂર્વક પાસ કરીને તેણે માસ્ટર ડિગ્રી માટે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. આ પ્રવેશ પ્રક્રિયામાં ભારતમાંથી મિલિંદ ઉપરાંત અન્ય ચાર વિદ્યાર્થિનીઓની પસંદગી થઈ છે.

આ પણ વાંચો: વાવ-થરાદના ગોલપ નેસડામાં 16 પરિવારોએ બૌદ્ધ ધમ્મની દીક્ષા લીધી
બુદ્ધિઝમના શિક્ષણમાં શું ભણાવાય છે?
માસ્ટર ડિગ્રી અંતર્ગત મિલિંદ થાઈલેન્ડમાં બુદ્ધિઝમના વિવિધ પાસાઓનો ઊંડો અભ્યાસ કરશે. આ ઉચ્ચ શૈક્ષણિક અભ્યાસક્રમમાં મુખ્યત્વે બૌદ્ધ તત્વજ્ઞાન (Buddhist Philosophy), પાલી અને સંસ્કૃત જેવી પ્રાચીન ભાષાઓમાં ઉપલબ્ધ બૌદ્ધ સાહિત્યનો અભ્યાસ, બૌદ્ધ ઇતિહાસ, સંસ્કૃતિ અને વૈશ્વિક સ્તરે બૌદ્ધ ધર્મનો પ્રસાર જેવા વિષયો ભણાવવામાં આવે છે. આ ઉપરાંત વિપશ્યના અને ધ્યાનની વિવિધ પદ્ધતિઓનું વૈજ્ઞાનિક વિશ્લેષણ, બૌદ્ધ મનોવિજ્ઞાન (Buddhist Psychology) અને સમકાલીન સામાજિક સમસ્યાઓના નિવારણમાં બૌદ્ધ સિદ્ધાંતોની પ્રાસંગિકતા જેવા વિષયો આ માસ્ટર ડિગ્રીના મુખ્ય અંગ છે.
થાઈલેન્ડમાં શિક્ષણની સવલતો કેવી હોય છે
બૌદ્ધ ધર્મ અને શિક્ષણના વૈશ્વિક કેન્દ્ર સમાન થાઈલેન્ડમાં ઈન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કોલેજ (IBC) આંતરરાષ્ટ્રીય સ્તરનું શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડે છે. અહીં વિશ્વભરના અગ્રણી બૌદ્ધ વિદ્વાનો અને પ્રોફેસરો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. સંસ્થામાં ડિજિટલ લાઈબ્રેરી, પ્રાચીન હસ્તપ્રતોનું સંશોધન કેન્દ્ર અને આંતરરાષ્ટ્રીય સ્તરના સેમિનાર હોલની વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે. વિદેશી વિદ્યાર્થીઓ માટે ત્યાં આધુનિક હોસ્ટેલ સુવિધા, બૌદ્ધ સંસ્કૃતિને અનુકૂળ શાંત શૈક્ષણિક વાતાવરણ અને સંશોધન (Research) માટે પૂરતી આર્થિક તથા શૈક્ષણિક સહાય પૂરી પાડવામાં આવે છે.
આ પણ વાંચો: રાજકોટમાં આજથી ત્રિ-દિવસીય આંતરરાષ્ટ્રીય બુદ્ધ ફેસ્ટિવલનો પ્રારંભ

વિદાય સમારંભનું આયોજન કરાયું
આ આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સફરના પ્રારંભ પૂર્વે આગામી તારીખ 6-7-2026 ના રોજ નાગાર્જુન ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ, નાગલોક કોલેજ ખાતે વિદેશ જનારા તમામ પાંચ વિદ્યાર્થીઓ માટે એક વિશેષ વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ, તમામ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ અર્થે તારીખ 7-7-2026 ના રોજ મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી હવાઈ માર્ગે પ્લેન દ્વારા થાઈલેન્ડ જવા રવાના થશે. ભારત દેશ વૈશ્વિક સ્તરે બુદ્ધની ભૂમિ તરીકે પ્રચલિત હોવા છતાં દેશમાં બુદ્ધિઝમનો ઉચ્ચ અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓનું પ્રમાણ મર્યાદિત છે, તેવા સમયે બોટાદના આ યુવાને આ ક્ષેત્ર પસંદ કરીને વિદેશમાં સ્થાન મેળવ્યું છે.
આ પણ વાંચો: કેવી રીતે મનુવાદીઓએ Buddha અને તેમના વિચારોનું બ્રાહ્મણીકરણ કર્યું?











