રાજકોટ: મહાકારુણિક તથાગત ગૌતમ બુદ્ધના જન્મ, જ્ઞાન પ્રાપ્તિ અને મહાપરિનિર્વાણના પવિત્ર અવસર ‘વૈશાખી પૂર્ણિમા’ને વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ અંતર્ગત રાજકોટમાં બૌદ્ધ ઉપાસક-ઉપાસિકા સંઘ દ્વારા ‘ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ ફેસ્ટિવલ’નું ત્રિ-દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. નાના મવા મેઈન રોડ સર્કલ, 150 ફૂટ રિંગ રોડ સ્થિત RMC મેદાન ખાતે આ ઉત્સવ 29 એપ્રિલ 2026થી 1 મે 2026 દરમિયાન યોજાશે.
પ્રથમ દિવસ: ધમ્મ ધ્વજારોહણ અને ધમ્મવાણી
મહોત્સવનો મંગલ પ્રારંભ 29 એપ્રિલ, બુધવારે સાંજે 6.30 કલાકે થશે. કાર્યક્રમની શરૂઆતમાં સર્વ ધર્મના ગુરુઓ અને આમંત્રિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં બૌદ્ધ ધમ્મ ધ્વજારોહણ કરવામાં આવશે. આ પ્રસંગે બૌદ્ધ ધર્મની વૈશ્વિક શાંતિની વિચારધારા પર પ્રકાશ પાડવામાં આવશે. રાત્રે 8.30 કલાકે ‘ધમ્મવાણી’ (ડાયરો) કાર્યક્રમ યોજાશે, જેમાં જાણીતા બહુજન સાહિત્યકાર આયુ. દિનેશ ગોહેલ પોતાની આગવી શૈલીમાં બૌદ્ધ સાહિત્ય અને મહાપુરુષોના જીવન દર્શનને રજૂ કરશે.

આ પણ વાંચો: ઈઝરાયલમાં PM મોદીને ‘બુદ્ધ’ કેમ યાદ ન આવ્યા?
બીજો દિવસ: બૌદ્ધ ઇતિહાસ અને શૈક્ષણિક સેમિનાર
30 એપ્રિલ, ગુરુવારે સાંજે 7.30 કલાકે સમૂહ બુદ્ધ વંદના સાથે કાર્યક્રમ આગળ વધશે. આ દિવસે બૌદ્ધિક ચર્ચાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. રાત્રે 8.30 કલાકે યોજાનારા સેમિનારમાં પુણેથી ખાસ આમંત્રિત સાગર કાંબલે ‘પ્રાચીન જમ્બુદીપ (ભારત) નો સમૃદ્ધ બૌદ્ધ ઇતિહાસ’ વિષય પર વ્યાખ્યાન આપશે. જેમાં મૌર્ય સામ્રાજ્યથી લઈને ભારતની પ્રાચીન સંસ્કૃતિમાં બૌદ્ધ ધર્મના પ્રદાન વિશે ચર્ચા થશે. તે જ રાત્રે, જૂનાગઢના કવિ-લેખક-સંશોધક નિલેશ કાથડ ‘સૌરાષ્ટ્ર-કચ્છની બૌદ્ધ વિરાસત’ વિષય પર વિસ્તૃત માહિતી આપશે. આ કાર્યક્રમોનું LED સ્ક્રીન પર જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે.
ત્રીજો દિવસ: ધમ્મદેશના અને સાંસ્કૃતિક સંગમ
1 મે, શુક્રવારે વૈશાખી પૂર્ણિમાના મુખ્ય દિવસે સાંજે 7.00 કલાકે વંદનીય ભંતે પથિક શ્રેષ્ઠી દ્વારા ધમ્મદેશના આપવામાં આવશે. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા બૌદ્ધ સંસ્કૃતિની ઝાંખી કરાવવામાં આવશે. રાત્રે 9.00 કલાકે સંગીત સંધ્યા અને દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું છે, જે સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડશે. આ પવિત્ર દિવસે આવનાર તમામ લોકો માટે વિશેષ ‘ખીરદાન’ની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો: કેવી રીતે મનુવાદીઓએ Buddha અને તેમના વિચારોનું બ્રાહ્મણીકરણ કર્યું?

બૌદ્ધ વિરાસત ચિત્ર પ્રદર્શન: જ્ઞાનનો સ્ત્રોત
આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ ‘સૌરાષ્ટ્ર-કચ્છની બૌદ્ધ વિરાસત’ ચિત્ર પ્રદર્શન છે. આ પ્રદર્શન સવારે 9.00 થી 12.00 અને સાંજે 6.00 થી 11.00 દરમિયાન મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે. જેમાં નિલેશ કાથડ લિખિત પુસ્તકના સંદર્ભો સાથે સિયોતની બૌદ્ધ ગુફા, સાણા વાંકિયા, ખાપરા કોડિયા, તળાજા, ખંભાલીડા અને ઢાંકની બૌદ્ધ ગુફાઓના દુર્લભ ફોટોગ્રાફ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. જૂનાગઢના બોરિયા સ્તૂપ અને સમ્રાટ અશોકના શિલાલેખની ઐતિહાસિક વિગતો પણ અહીં રજૂ કરાઈ છે.
આ આયોજનમાં આત્મન યુવા ગ્રુપ, યુનિટી યુવા ગ્રુપ, સમતા સૈનિક દળ, પંચશીલ બુદ્ધ વિહાર તેમજ ભારતીય બૌદ્ધ મહાસભા જેવી અનેક સંસ્થાઓ પાયાનું યોગદાન આપી રહી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી બૌદ્ધ ઉપાસકો અને ઇતિહાસ પ્રેમીઓ આ મહોત્સવનો લાભ લે તેવું આયોજક સમિતિ દ્વારા જણાવાયું છે. આ ઇવેન્ટ રાજકોટ માટે સાંસ્કૃતિક અને ઐતિહાસિક રીતે અત્યંત મહત્વની સાબિત થશે.
આ પણ વાંચો: ભાજપની રાજપૂત મહિલા નેતા નકલી SC સર્ટિફિકેટ પર મંત્રી બની ગઈ?













