રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા (મનપા) દ્વારા ગત ફેબ્રુઆરી મહિનામાં વોર્ડ નંબર 16ના જંગલેશ્વર વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા મેગા ડિમોલિશન ઓપરેશન નવો વિવાદ સર્જી રહ્યું છે. આ અતિ સંવેદનશીલ કામગીરી દરમિયાન ફરજ પર તૈનાત મનપા અને પોલીસ વિભાગના મોટા કાફલા માટે નાસ્તા, ભોજન, મીઠાઈ અને ચા-પાણી પાછળ થયેલા રૂપિયા 27.20 લાખના જંગી ખર્ચને મંજૂર કરવાની દરખાસ્તને મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ હાલ પૂરતી મોકૂફ રાખી દીધી છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ સ્પષ્ટ કર્યું છે કે આ મનઘડંત લાગતા મોટા ખર્ચની તમામ વિગતો અને હિસાબો મંગાવવામાં આવ્યા છે અને સંપૂર્ણ ચકાસણી બાદ જ આ અંગે નિર્ણય લેવાશે.

આજે સવારે મનપા ખાતે ભાજપ સંકલનની એક કલાક લાંબી બેઠક મળી હતી, ત્યારબાદ સ્થાયી સમિતિની બેઠક આશરે 40 મિનિટ સુધી ચાલી હતી. આ બેઠકના મુખ્ય એજન્ડા પર કુલ 9 પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા હતા. તેમાંથી બે દરખાસ્તોને મુલત્વી રાખવામાં આવી છે જ્યારે એક દરખાસ્તને નામંજૂર કરવામાં આવી છે. ખર્ચ મંજૂરીને લગતી આ અર્જન્ટ બિઝનેસ દરખાસ્ત પર વિસ્તૃત ચર્ચા કર્યા બાદ સમિતિએ ઠરાવ કરીને આ મામલો કમિશનર સમક્ષ મોકલી આપ્યો છે.
આ પણ વાંચો: આદિવાસીની રૂ. 6.60 કરોડની જમીન અધિકારીઓએ માત્ર 6 લાખમાં પડાવી
ફેબ્રુઆરી માસમાં જંગલેશ્વર વિસ્તારમાં 1400થી વધુ ગેરકાયદે બાંધકામો તોડી પાડવાનું મેગા ડિમોલિશન ઓપરેશન હાથ ધરાયું હતું. આ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા ડિમોલિશનની કામગીરી કરવા માટે ફૂડ સપ્લાય અને રિફ્રેશમેન્ટ મેનેજમેન્ટ કમિટી દ્વારા ભોજન અને ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે, આ વ્યવસ્થા અંતર્ગત રજૂ થયેલા બિલોના આંકડા અત્યંત ચોંકાવનારા છે.
રજૂ કરાયેલી ખર્ચની વિગતો મુજબ:
ડિમોલિશન સ્ટાફ માટે ‘વિશ્વાસ ફ્રુટ’માંથી રૂપિયા 21,500ના ફૂડ પેકેટ ખરીદવામાં આવ્યા હતા.

‘આરાધના ટી’ દ્વારા રજૂ કરાયેલા બિલમાં 7,000 નંગ ચાનું બિલ પ્રતિ કપ રૂપિયા 21 લેખે રૂપિયા 1.47 લાખ દર્શાવાયું છે.
આ ઉપરાંત 8,750 નંગ ચા-બિસ્કિટના રૂપિયા 19 લાખ અને અન્ય 5,050 નંગ ચા-બિસ્કિટના રૂપિયા 1.24 લાખનું બિલ રજૂ કરાયું છે.
150 નંગ કાજુકતરી, ખજૂર રોલ, સમોસા, વેફર અને ચા-કોફીની સ્પેશિયલ પ્લેટના રૂપિયા 34,650 ખર્ચાયા છે.
આ પણ વાંચો: દુનિયાભરમાં ક્રૂડ ઓઈલ સસ્તું છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલ મોંઘું કેમ?
ગાંઠિયા, જલેબી, પૌવા, બ્રેકફાસ્ટ અને લંચ મળીને અન્ય રૂપિયા 6.30 લાખનું બિલ રજૂ થયું છે.
સૌથી મોટો ખર્ચ ‘પ્રેમવતી ચેરિટેબલ ટ્રસ્ટ’ના 8 બિલો દ્વારા રજૂ કરાયો છે, જે કુલ રૂપિયા 20.68 લાખ થાય છે. આ બિલ અંતર્ગત 13,390 નંગ લંચ ડિશ અને મસાલા છાશ પીરસવામાં આવી હોવાનો દાવો કરાયો છે.
સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો વચ્ચે આ આંકડાઓને લઈને લાંબી ચર્ચા-વિચારણા થઈ હતી અને વ્યાપક વિરોધ અથવા વિસંગતતાની આશંકાને પગલે હાલ આ નાણાં ચૂકવવાનો નિર્ણય મોકૂફ રખાયો છે. આ સાથે જ, સોમનાથ મંદિર ખાતે યોજાયેલા સોમનાથ સ્વાભિમાન પર્વમાં રાજકોટના નાગરિકોને એસ.ટી. બસ મારફત લઈ જવા તથા ભોજન વ્યવસ્થા પાછળ થયેલા રૂપિયા 4.49 લાખના ખર્ચની દરખાસ્તને પણ કમિટીએ પેન્ડિંગ રાખવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો: એક મહિલા, જેમણે રાષ્ટ્રપતિ પદની ઓફર કલા ખાતર નકારી હતી











