ગૌશાળાને આમ તો લોકો મૂંગા પશુઓની સેવાનું કેન્દ્ર માનતા હોય છે. પરંતુ રાજસ્થાનમાં ગૌશાળાઓ દ્વારા જે કરવામાં આવ્યું છે તે જાણીને તમારો માણસાઈ પરથી વિશ્વાસ ઉઠી જશે. અહીં 38 ગૌશાળાઓએ મરેલી ગાયોના નામે કરોડો રૂપિયાની સરકાર સહાય મેળવીને રૂપિયા ચાંઉ કરી ગયા હતા. આંકડો એટલો મોટો છે કે, હવે સરકારને આ રકમ પરત લેવામાં પણ ફાંફા પડી રહ્યાં છે.
રાજસ્થાનમાં ગૌશાળાઓને મળતી સરકારી સહાયમાં કરોડો રૂપિયાની ગંભીર ગેરરીતિઓ થઈ હોવાનો ખુલાસો એક સત્તાવાર ઓડિટમાં થયો છે. ઓડિટર જનરલના અહેવાલ મુજબ, વર્ષ 2023-24 દરમિયાન ગૌશાળાઓએ એવી ગાયોના નામે પણ સરકાર પાસેથી કરોડો રૂપિયાની સહાય મેળવી લીધી, જે કાં તો વર્ષો પહેલા મરી ચૂકી હતી અથવા તો વાસ્તવમાં ગૌશાળાઓમાં હાજર જ નહોતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ ગૌશાળાઓએ કાગળ પર ગાયોના આંકડા ખૂબ વધારીને દર્શાવ્યા હતા અને તેના આધારે સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ મેળવી લીધી હતી.

એપના રેકોર્ડ અને વાસ્તવિકતામાં મોટો તફાવત
આ સમગ્ર કૌભાંડની વિગતો આપતા અહેવાલમાં જણાવાયું છે કે, તપાસ ટીમે જ્યારે ગૌશાળાઓની ઓચિંતી મુલાકાત લીધી અને ચકાસણી કરી, ત્યારે ત્યાં હાજર ગાયોની સંખ્યા સત્તાવાર આંકડા કરતાં ઘણી ઓછી જોવા મળી હતી. ગૌશાળાના સંચાલકોએ દર્શાવેલી સંખ્યા અને ‘ભારત પશુધન એપ’ પર નોંધાયેલા રેકોર્ડ વચ્ચે મોટો તફાવત સામે આવ્યો છે.
સૌથી આશ્ચર્યની વાત એ છે કે, જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારના ગ્રાઉન્ડ વેરિફિકેશન કે તપાસ વગર જ આંખો બંધ કરીને આ સરકારી ગ્રાન્ટ જાહેર કરવામાં આવતી રહી. એટલું જ નહીં, ઇનવેલિડ (અમાન્ય), ઇનએક્ટિવ (નિષ્ક્રિય) અથવા તો જે ગાયો પર રજિસ્ટર્ડ ટેગ પણ નહોતા લાગ્યા, તેના નામે પણ સરકારી નાણાં ચૂકવી દેવાયા. આ સહાયના નિયમ મુજબ, મોટી ગાય માટે દૈનિક 40 રૂપિયા અને નાની ગાય માટે દૈનિક 20 રૂપિયા લેખે ચૂકવણું કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ 14 ગૌરક્ષકોને સજા સંભળાવનાર મુસ્લિમ જજને ધમકી મળી, સુરક્ષા વધારાઈ
આ ચર્ચિત ગૌશાળાઓના નામ આવ્યા સામે
અહેવાલ મુજબ, રાજસ્થાનની 38 ગૌશાળાઓએ તેમના અરજીપત્રકોમાં અંદાજે 1.31 લાખ જેટલી ગાયો વધારે દર્શાવી હતી. આ કૌભાંડમાં જયપુર અને અન્ય જિલ્લાઓની પ્રખ્યાત ગૌશાળાઓના નામ પણ સામેલ છે. પિંજરાપોલ ગૌશાળા (જયપુર) નામની સંસ્થાએ નિયમ કરતાં આશરે 1.81 કરોડ રૂપિયા વધુની ગ્રાન્ટ મેળવી લીધી હતી. હિંગોનિયા ગૌશાળાને અંદાજે 1.41 કરોડ રૂપિયાની ખોટી સહાય આપવામાં આવી હતી. શ્રી બ્રજ કામદ સુરભી વન શોધ સંસ્થાન (ડીગ) જિલ્લાની એકમાત્ર ગૌશાળા હોવા છતાં, અહીં સૌથી મોટી ગેરરીતિ આચરવામાં આવી અને તેને અધધ 16.36 કરોડ રૂપિયાનું ચૂકવણું કરી દેવાયું. શ્રી ગોપાલ ગોવર્ધન ગૌશાળા પથમેડા (જાલોર) ગૌશાળાને પણ નિયમ વિરુદ્ધ 10.95 કરોડ રૂપિયા જારી કરવામાં આવ્યા. આ ઉપરાંત ભરતપુરની 3 અને સીકરની 6 ગૌશાળાઓ પણ આ કૌભાંડી યાદીમાં સામેલ છે.

વસૂલાતના આદેશ છતાં પણ તંત્ર લાચાર
આ ઓડિટ રિપોર્ટ આવ્યા બાદ રાજ્યના ગૌપાલન વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. વિભાગે તાત્કાલિક એક્શન મોડમાં આવીને આ 38 ગૌશાળાઓ પાસેથી કુલ 57.36 કરોડ રૂપિયાની રિકવરી કરવાનો કડક આદેશ આપ્યો છે. આ અંતર્ગત 29 મે 2026ના રોજ તમામ કૌભાંડી ગૌશાળાઓને સત્તાવાર નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં નિર્ધારિત સમય મર્યાદામાં નાણાં જમા કરાવવા જણાવાયું છે. નોટિસમાં એવી ચેતવણી પણ અપાઈ છે કે જો રકમ જમા નહીં થાય, તો ગૌશાળાઓની આગામી તમામ વહીવટી અને નાણાકીય મંજૂરીઓ પર કાયમી રોક લગાવી દેવાશે.
જો કે, આટલી કડક ચેતવણી છતાં પણ અત્યાર સુધી કોઈ સંતોષજનક વસૂલાત થઈ શકી નથી. બીજી તરફ, ગૌશાળાના સંચાલકોએ આક્ષેપો નકારતા બચાવ કર્યો છે કે આ કોઈ નકલી ગ્રાન્ટનું કૌભાંડ નથી, પરંતુ માત્ર કાગળો અને દસ્તાવેજોની ટેકનિકલ ખામી છે, જે અંગે તેમણે તપાસ સમિતિને સ્પષ્ટતા કરી દીધી છે.
આ પણ વાંચોઃ જૂનાગઢમાં મહંત ગૌશાળામાંથી સાયબર ફ્રોડનું નેટવર્ક ચલાવતો ઝડપાયો?











