બિહારના લખીસરાય જિલ્લામાં આવેલા પ્રખ્યાત અશોક ધામ શિવ મંદિરમાં 17 ઓગસ્ટની સવારે 6:45 વાગ્યે શ્રાવણ મહિનાના સોમવાર નિમિત્તે દર્શન કરવા પહોંચેલા શ્રદ્ધાળુઓ પર કાળ ફરી વળ્યો હતો. મંદિરમાં અચાનક મચેલી ભગદડમાં 7 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા છે, જ્યારે 12 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે શિવજીની એક જલધારી ચઢાવવા માટે હજારોની સંખ્યામાં ઉમટી પડેલી ભક્તોની ભીડ, વહીવટી તંત્રની નિષ્ક્રિયતા અને મંદિર ટ્રસ્ટના કથિત બેદરકારીને કારણે આજે ફરી એકવાર 7 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે લખીસરાયના સદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં ઘણાની હાલત નાજુક દર્શાવાઈ રહી છે.

અંધશ્રદ્ધાનું ભીડતંત્ર અને વહીવટી નિષ્ફળતા
પ્રાથમિક અહેવાલો અને ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા મુજબ, શ્રાવણના સોમવારે મંદિર પરિસરમાં અપેક્ષા કરતા ક્યાંય વધુ ભીડ જમા થઈ ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મંદિરના પ્રવેશદ્વાર પાસે એક ઢોળાવ વાળા રસ્તા પર 100 થી વધુ લોકોએ અંદર જવા માટે વાંસના બેરિકેડ્સ પર ભારે ધક્કામુક્કી કરી હતી. પાછળથી આવતા ભક્તજનોના ભારે ધક્કાને કારણે બેરિકેડિંગ તૂટી પડ્યું હતું અને લોકો એકબીજા પર પડવા લાગ્યા હતા.
આ પણ વાંચોઃ પુરી જગન્નાથમાં ફરી ભાગદોડઃ 3 મોત, 50થી વધુ ઘાયલ
બીજી તરફ, સુરક્ષા અધિકારીઓ અને તંત્ર દ્વારા અફરાતફરી પાછળ વીજળીનો વાયર કે થાંભલો પડી જવાની અને કરંટ લાગવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. SDPO શિવમ કુમારના જણાવ્યા મુજબ વીજળીનો થાંભલો પડવાના કારણે અફરાતફરી મચી હતી. પરંતુ મૂળ પ્રશ્ન એ છે કે દર વર્ષે શ્રાવણ મહિનામાં હજારો લોકો ભેગા થતા હોવા છતાં સુરક્ષા અને વીજ લાઇન માટે આગોતરું આયોજન કેમ કરવામાં આવતું નથી?
ધર્માંધતા અને અંધશ્રદ્ધાનો ભોગ બનતી જનતા
આપણા દેશમાં ધર્મ અને ભક્તિના નામે વિવેકબુદ્ધિ નેવે મૂકી દેવાની હોડ જામી છે. પૂજા-અર્ચના અને ધાર્મિક વિધિઓના નામે કોઈ પણ પ્રકારની સુરક્ષા કે શિસ્ત વગર હજારોની સંખ્યામાં ઉમટી પડવું એ જ મોટું જોખમ બની ગયું છે. લોકોમાં ધાર્મિક કટ્ટરતા અને અંધશ્રદ્ધા એટલી હદે વધી ગઈ છે કે તેઓ પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા ભૂલીને ભીડતંત્રનો ભાગ બની જાય છે.

જ્યારે ઢોળાવ વાળો રસ્તો હોય અને સુરક્ષાકર્મીઓની ગેરહાજરી હોય, ત્યારે પણ એકબીજાને કચડીને આગળ વધવાની જે માનસિકતા છે તે દર્શાવે છે કે આપણે એક સભ્ય સમાજ તરીકે કેટલા પાછળ છીએ. ભક્તિના નામે આચરવામાં આવતી આંધળી દોડ આખરે નિર્દોષ લોકોનો ભોગ લે છે.
આ પણ વાંચોઃ હરિદ્વારના મનસા દેવી મંદિરમાં ભાગદોડ, 6 ભક્તોના મોત
बिहार स्थित लखीसराय के अशोकधाम मंदिर में भगदड़ जैसी स्थिति में 7 लोगों की मौत की खबर है। सभी मृतक महिलाएं बताई जा रही हैं।
एक अफ़वाह, भारी भीड़ और व्यवस्था पर दबाव ने कई परिवारों को उजाड़ दिया।#Lakhisarai #Bihar #AshokDham #Stampede #PublicSafety pic.twitter.com/7UOgFt7wS8
— Rohit Saval (@SavalRohit) August 17, 2026
અગાઉની ઘટનાઓમાંથી ના શીખ્યા કોઈ પાઠ
અશોક ધામ મંદિર પરિસરમાં આવી જીવલેણ ભગદડ પહેલીવાર નથી મચી. આ અગાઉ 12 ઓગસ્ટ 2019 ના રોજ પણ શ્રાવણ મહિના દરમિયાન જ અહીં ભગદડ મચી હતી, જેમાં 1 શ્રદ્ધાળુનું મોત થયું હતું અને 15 થી વધુ લોકો ઘાયલ થયા હતા.
2019 ની ઘટના બાદ પણ વહીવટી તંત્ર કે મંદિર ટ્રસ્ટે કોઈ બોધપાઠ લીધો નહીં. જો ભૂતકાળની હોનારતમાંથી પાઠ ભણીને યોગ્ય ક્રાઉડ મેનેજમેન્ટ, ઈમરજન્સી એક્ઝિટ અને મજબૂત બેરિકેડિંગની વ્યવસ્થા કરવામાં આવી હોત તો આજે 7 શ્રદ્ધાળુઓએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો ન હોત. જિલ્લા મેજિસ્ટ્રેટ શૈલેન્દ્ર કુમારે સ્વીકાર્યું છે કે ભીડ અપેક્ષા કરતાં ઘણી વધારે હતી, જે તંત્રની ગુપ્તચર અને પ્લાનિંગ વિભાગની ઘોર નિષ્ફળતા છતી કરે છે.
આ પણ વાંચોઃ મહાદેવ મંદિરમાં વાંદરા કૂદતા ભક્તોમાં ભાગદોડ, 2 ના મોત, 29 ઘાયલ
તંત્રની બેદરકારી અને શ્રદ્ધાળુઓની લાચારી
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, જે સમયે આ દુર્ઘટના ઘટી ત્યારે ત્યાં ભીડને નિયંત્રિત કરવા માટે કોઈ સુરક્ષાકર્મી કે પ્રશાસનિક અધિકારી હાજર નહોતા. જે લોકો પડી રહ્યા હતા તેમને કચડીને લોકો આગળ વધી રહ્યા હતા. એક દુઃખી પિતાએ જણાવ્યું કે તેમની પત્ની ભીડમાં દબાઈ ગઈ હતી અને તેમની પુત્રી હજુ સુધી લાપતા છે.
ધર્મના નામે દુકાનો ચલાવતું મંદિર તંત્ર અને માત્ર કાગળ પર વામણા દાવો કરતું સરકારી તંત્ર – આ બંને નિર્દોષ લોકોના મોત માટે જવાબદાર છે. જ્યાં સુધી ધર્માંધતા અને અંધશ્રદ્ધા છોડીને નાગરિકો પોતે જાગૃત નહીં થાય અને વહીવટી તંત્ર જવાબદારીપૂર્વક કામ નહીં કરે, ત્યાં સુધી આ રીતે શ્રદ્ધાના નામે બલિદાન લેવાતા રહેશે.
આ પણ વાંચોઃ બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં ભાગદોડ: 8 મહિલાઓના મોત











