મહારાષ્ટ્રના આદિવાસી બહુલ ગઢચિરોલી જિલ્લામાંથી એક હૃદયદ્રાવક અને સરકારી તંત્રની ઘોર બેદરકારી છતી કરતી ઘટના સામે આવી છે. જપતલાઈ ગામમાં આવેલી સરકારી અનુદાનિત આદિવાસી આશ્રમ શાળામાં પથારીઓની અછતને કારણે ફ્લોર પર ચટાઈ પાથરીને સૂતેલી 6 માસૂમ વિદ્યાર્થીનીઓને એક ઝેરી સાપે ડંખ માર્યો હતો. આ ઘટનામાં 8, 12 અને 14 વર્ષની 3 આશાસ્પદ આદિવાસી વિદ્યાર્થીનીઓના મોત નિપજ્યાં છે, જ્યારે અન્ય 3 વિદ્યાર્થીનીઓ હોસ્પિટલમાં જિંદગી અને મૌત વચ્ચે ઝોલાં ખાઈ રહી છે. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે આક્રોશ જગાડ્યો છે અને આદિવાસી રહેણાંક શાળાઓની ભયાનક વાસ્તવિકતા ખુલ્લી પાડી દીધી છે.
આશ્રમ શાળામાં પથારી ન હોવાથી નીચે સૂતી હતી
આ ઘટના 10 ઓગસ્ટ ની મોડી રાત્રે બની હતી. 1992 થી ચાલી રહેલી આ આશ્રમ શાળામાં વર્તમાન સમયમાં 233 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. શાળામાં ક્ષમતા કરતાં વધુ બાળકો હોવા છતાં અને વર્ષો જૂની હોવા છતાં, અહીં હોસ્ટેલમાં રહેતા બાળકો માટે પથારી કે પલંગની કોઈ જ વ્યવસ્થા નહોતી. માસૂમ બાળકો બિનઆરોગ્યપ્રદ રીતે જમીન પર જ ચટાઈ પાથરીને સુવા માટે મજબૂર હતા. શાળાના જ એક શિક્ષકે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે, તેઓ લાંબા સમયથી પ્રિન્સિપાલ સમક્ષ પથારીઓની અછત અંગે રજૂઆત કરી રહ્યા હતા. પરંતુ, તંત્ર તરફથી દર વખતે એક જ આશ્વાસન મળતું હતું કે સપ્ટેમ્બરમાં ‘પોળા’ નો તહેવાર પૂરો થયા પછી બાળકોને પથારીઓ ફાળવવામાં આવશે. અફસોસ કે આ પથારીઓ આવે તે પહેલાં જ 3 દીકરીઓનો મોતને ભેટી હતી.

ઘટનાની રાત્રે હોલની અંદર 65 જેટલી છોકરીઓ સૂતી હતી. ખુલ્લી રહેલી બારીમાંથી કોમન ક્રેટ પ્રજાતિનો અતિ ઝેરી સાપ અંદર ઘૂસ્યો અને જમીન પર સૂતેલી 6 વિદ્યાર્થીનીઓને ડંખ મારી દીધો. સાપ કરડતા જ બાળકોની ચીસાચીસથી હોલ ગુંજી ઊઠ્યો હતો, પરંતુ લાપરવાહીની હદ તો ત્યારે થઈ જ્યારે આટલી મોટી હોસ્ટેલમાં રાત્રે સુરક્ષા માટે કોઈ પુરુષ કે મહિલા વોર્ડન હાજર જ નહોતા.
આ પણ વાંચોઃ પ્રિન્સિપાલે ધમકાવતા આદિવાસી વિદ્યાર્થી સ્કૂલના ત્રીજા માળેથી કૂદી ગયો
બગડેલા રસ્તા અને 10 કિમી નું અંતર કાપતા સમયસર સારવાર ન મળી
ઝેર શરીરમાં ફેલાવા લાગ્યું હોવા છતાં કમનસીબીએ બાળકોનો પીછો ન છોડ્યો. સૌથી નજીકની હોસ્પિટલ શાળાથી 10 કિમી દૂર આવેલી હતી. ચોમાસાના કારણે ગ્રામીણ વિસ્તારના રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં હતા, જેના લીધે ઈમરજન્સીમાં બાળકોને હોસ્પિટલ પહોંચાડવામાં ઘણો વિલંબ થયો હતો. સમયસર તબીબી સારવાર ન મળવાને કારણે 2 છોકરીઓએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો. જ્યારે 3 જી બાળકીએ હોસ્પિટલના રસ્તે આખરી શ્વાસ લીધા હતા.
સાપના ડંખથી ગંભીર રીતે ઘવાયેલી 12 વર્ષીય દીપિકા મડાવા નામના બાળકીની હાલત નાજુક બનતા તેને તાત્કાલિક એરલિફ્ટ કરીને નાગપુરની GMCH હોસ્પિટલના PICU માં દાખલ કરવામાં આવી છે, જ્યાં હાલ તેની હાલત સ્થિર દર્શાવાઈ રહી છે. અન્ય એક છોકરી હજુ પણ વેન્ટિલેટર પર જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. આ ભયાનક દ્રશ્ય પોતાની આંખો સામે જોનાર અન્ય 15 થી વધુ વિદ્યાર્થીનીઓ ભારે આઘાતમાં સરી પડી છે અને તેમને કાઉન્સેલિંગ હેઠળ રાખવામાં આવી છે.

મુખ્યમંત્રીએ લાઈસન્સ રદ કરી તપાસના આદેશો આપ્યા
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે 11 ઓગસ્ટના રોજ આ સરકારી સહાયતા પ્રાપ્ત આશ્રમ શાળાનું લાઈસન્સ કાયમી ધોરણે રદ કરવાનો આદેશ આપ્યો છે. ગઢચિરોલીના કલેક્ટર અને આદિવાસી વિકાસ વિભાગની ટીમે શાળાની મુલાકાત લઈને તપાસ હાથ ધરી છે, જેમાં સુરક્ષા અને મૂળભૂત સુવિધાઓની ગંભીર ક્ષતિઓ સામે આવી છે. પ્રિન્સિપાલ, વોર્ડન અને શાળા ચલાવતા ટ્રસ્ટને કારણ દર્શાવો નોટિસ ફટકારવામાં આવી છે.
માસૂમ આદિવાસી બાળકીઓની કિંમત માત્ર 5 લાખ!
સરકારે મૃતક બાળકીઓના પરિવારોને 5-5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. પરંતુ સ્થાનિક ગ્રામજનો અને આદિવાસી સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો છે. સ્થાનિકોનો સીધો સવાલ છે કે, શું માસૂમોના જીવની કિંમત માત્ર 5 લાખ રૂપિયા જ છે? જો શાળામાં સમયસર પથારીઓ આપવામાં આવી હોત અને બારીઓ સુરક્ષિત હોત, તો આ 3 દીકરીઓ આજે જીવતી હોત. આ ઘટનાએ વિદર્ભ અને સમગ્ર મહારાષ્ટ્રની 500 થી વધુ આશ્રમ શાળાઓના થર્ડ-પાર્ટી ઓડિટની પોલ ખોલી નાખી છે.
આ પણ વાંચોઃ જંગલમાં રહેતી આદિવાસી વિદ્યાર્થીનીએ NEET પાસ કરી, હવે ડોક્ટર બનશે











