લગ્નની સિઝન શરૂ થતાની સાથે જ કથિત વિશ્વગુરુ આપણા દેશના જાતિવાદી તત્વોના મનમાં પડેલી જાતિવાદી ગંદકીએ ફરી ઉછાળો મારવાનું શરૂ કરી દીધું છે. થોડા દિવસ પહેલા એક વિકલાંગ દલિત વરરાજાને જાતિવાદી તત્વોએ ઘોડી પર બેઠેલા જોઈને તેને ધક્કો મારીને નીચે પાડી દીધા હતા અને જાનૈયાઓને પણ માર માર્યો હતો. હવે વધુ એક આવી ઘટના બની છે, જેમાં દલિત વરરાજા ઘોડી પર બેસતાની સાથે જ જાતિવાદી તત્વોએ જાન પર હુમલો કરી દીધો હતો.
મામલો મધ્યપ્રદેશના સાગર જિલ્લાનો છે. અહીંના નરયાવલી વિસ્તારના ખૈજરા માફી ગામમાં મંગળવાર અને બુધવારની મધરાતે જાતિવાદી તત્વોએ એક દલિત વરરાજાની જાન પર જીવલેણ હુમલો કરી દીધો હતો. જેમાં અનેક જાનૈયા ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ, અહીંના દલિત અહિરવાર સમાજની એક જાન પર ગામના જાતિવાદી તત્વોએ એટલા માટે હુમલો કર્યો કારણ કે વરરાજા ઘોડી પર બેસીને જાન લઈને નીકળી રહ્યા હતા. જાતિવાદી માનસિકતા ધરાવતા ગામલોકોથી એક દલિત વરરાજા ઘોડી પર બેસીને નીકળે એ સહન નહોતું થયું, આથી તેમણે લાકડી અને ડંડા વડે જાનૈયાઓ પર હુમલો કરી લગ્નની ખુશીઓને માતમમાં ફેરવવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો:‘તારે રૂપિયાની શું જરૂર?’ કહી ભાજપ નેતાએ દલિત યુવકના રૂપિયા લઈ લીધાં
મામલો શું હતો?
પ્રાપ્ત વિગતો અનુસાર, રાત્રે આશરે એક વાગ્યાના સુમારે જ્યારે જાન નીકળી રહી હતી, ત્યારે અચાનક જાતિવાદી તત્વોએ રસ્તો રોકી લીધો હતો. માથાભારે તત્વોએ વરરાજાને ઘોડી પરથી નીચે ઉતરવા માટે દબાણ કર્યું હતું, પરંતુ વરરાજાના પરિવારે વિરોધ કરતા જ આરોપીઓએ મારામારી શરૂ કરી દીધી હતી. હુમલાખોરોએ જાનૈયાઓની સાથે કન્યા પક્ષના લોકોને પણ નિશાન બનાવ્યા હતા. આ હિંસક હુમલામાં આશરે 10 જેટલા લોકો લોહીલુહાણ થયા હતા, જેમને તાત્કાલિક સારવાર અર્થે સાગરની બુંદેલખંડ મેડિકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ભીમ આર્મીના હસ્તક્ષેપ બાદ લગ્ન સંપન્ન થયા
આ ઘટનાની જાણ થતા જ ભીમ આર્મીના પ્રદેશ ઉપાધ્યક્ષ ધર્મેન્દ્ર અહિરવાર અને જિલ્લા પ્રમુખ ચંદ્રશેખર અહિરવાર સહિતના હોદ્દેદારો રાત્રે 2 વાગ્યે ગામમાં પહોંચી ગયા હતા. તેઓએ પોલીસ તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો અને હુમલાખોરો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. ભીમ આર્મીના હસ્તક્ષેપ અને પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે આખરે વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને લગ્નની વિધિઓ સુરક્ષિત રીતે પૂર્ણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: દલિત મહિલા પ્રોફેસરને ‘અર્બન નક્સલ’ કહી સામાજિક બહિષ્કાર કરાયો

દમોહમાં પણ આવી જ ઘટના બની હતી
નોંધનીય છે કે, મધ્યપ્રદેશમાં દલિતો પર અત્યાચારની આ કોઈ પહેલી ઘટના નથી. હજુ એક અઠવાડિયા પહેલા દમોહના બિજોરી પાઠક ગામમાં પણ એક દિવ્યાંગ દલિત વરરાજાને ઘોડી પરથી નીચે પટકી દેવામાં આવ્યો હતો. ત્યાં પણ દબંગોએ જાનૈયાઓ પર હુમલો કરી મહિલાઓના દાગીના લૂંટી લીધા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા હતા. સાગરની આ ઘટનાએ ફરી એકવાર સામાજિક સમાનતાના દાવાઓ સામે પ્રશ્નાર્થ ચિન્હ ઉભું કર્યું છે. હાલમાં પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: નેપાળનું લુમ્બીની દલિત અધિકાર બિલ પાસ કરનાર પ્રથમ પ્રાંત બન્યું











